અયોધ્યા પહોંચ્યા 'રામાયણ'ના 'રામ', 'સીતા' અને 'લક્ષ્મણ', અયોધ્યાના ધાર્મિક માહોલને નિહાળી ખુશ થયેલા આ અભિનેઓએ શું પ્રતિક્રિયા આપી? જાણીલો

  • January 17, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશ જેની રાહ જોઈ રહ્યો છે તે ઐતિહાસિક ક્ષણ માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણ માટે ઘણા પ્રખ્યાત સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અભિનેતા અરુણ ગોવિલ, માતા સીતાની ભૂમિકા ભજવનારા દીપિકા ચિખલિયા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનારા સુનિલ લહેરી હાલ અયોધ્યા ખાતે પહોંચ્યા છે.


રામાયણ સિરીયલના રામ એટલે કે અરુણ ગોવિલે તેના ફેન્સને અયોધ્યાની તેમની યાત્રાની એક નાની ઝલક બતાવી છે. અહીં પહોંચતાની સાથે જ તેણે મકર સંક્રાંતિના ખિચડી પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ સાથે તેમણે ત્યાં પહોંચવાનો વિડિયો પણ શેર કર્યો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચેલા અરુણે ત્યાં મીડિયા સાથે ખાસ વાત કરી હતી. અરુણ ગોવિલે કહ્યું હતું કે, અયોધ્યાનું રામમંદિર આપણું રાષ્ટ્રીય મંદિર સાબિત થશે. જે સંસ્કૃતિ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં લુપ્ત થઈ ગઈ હતી. આ મંદિર ફરી એક સંદેશ આપશે. જે આપણી સંસ્કૃતિને મજબૂત બનાવશે. આ એક વારસો છે જે આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે, તે આપણું ગૌરવ બનશે, આપણી ઓળખ બનશે.


વધુમાં તેમણે કહ્યું હતું કે, ભગવાન રામનું મંદિર બનશે તેવી ધારણા હતી, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આ પ્રકારે ભવ્ય આયોજન થશે તેવી ધારણા નહોતી. સમગ્ર દેશ ભગવાન રામનું નામ લઇ રહ્યો છે. જે લોકો ભગવાન રામને માને છે, ત્યાં આટલી ખુશીનો માહોલ છે. અંતમાં અયોધ્યાની આ ખુશી ભરેલી ક્ષણને સાક્ષાત નિહાળવાની ખુશી પણ અરુણ ગોવિલે વ્યક્ત કરી હતી.


આ તરફ 'સીતા મૈયા' એટલે કે દીપિકા ચિખલિયાએ પણ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની ખુશી વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે, "અમારી છબી લોકોના હૃદયમાં વસી ગઈ છે, રામ મંદિરના નિર્માણ પછી પણ મને નથી લાગતું કે તેમાં કોઈ ફેરફાર થશે. રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા યોજાવા જઇ રહી છે, ત્યારે લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે." દીપિકા ચિખલીયાએ અયોધ્યામાં જગત ગુરુના આશીર્વાદ લીધા. જોકે અયોધ્યા મુલાકાતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

જયાં ભગવાન રામ અને માતા સીતા હોય ત્યાં લક્ષ્મણ ન હોય તેવું બને જ નહીં. જીહા, લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનિલ લહેરી પણ આ તકે અયોધ્યા અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા સાથે જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી રહ્યો છું અને મને જે ખબર નહોતી તે જાણવાની તક મળી રહી છે. દેશમાં સર્જાયેલું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ સકારાત્મક છે અને તે વિશ્વને ખૂબ જ સકારાત્મક લાગણી આપશે."


આ વેળા ભગવાન રામને નકારનારાઓને સુનીલ લહેરીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તે લોકો અજ્ઞાની છે જે ભગવાન રામને નકારે છે. જ્યાં સુધી તેઓ રામાયણ વાંચતા નથી ત્યાં સુધી તેઓ જાણતા નથી કે રામ શું છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. રામાયણ આપણને શીખવે છે કે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. આપને જણાવી દઇએ કે, પ્રાણ પ્રતિષ્ઠા સિવાય આ સ્ટાર્સ આલ્બમ 'હમારા રામ આયેંગે'ના શૂટિંગમાં પણ ભાગ લેશે. આ ગીત સોનુ નિગમે ગાયું છે. આ શૂટિંગ ગુપ્તાર ઘાટ, હનુમાનગઢી અને લતા ચોક ખાતે થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application