આચાર્યએ કારમાં છ વર્ષની વિદ્યાર્થિનીને અડપલાં કર્યા વિરોધ કરતાં મારી નાખી

  • September 23, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની માસૂમ ધોરણ-1ની વિદ્યાર્થિનીની મળેલી લાશનો ભેદ ઉકેલી પોલીસે શાળાના આચાર્યની ધરપકડ કરી છે. આચાર્યએ પોતાની કારમાં માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં કારમાં જ વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને શાળામાં મૂકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
દાહોદ જિલ્લા તેમજ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે ત્રણ દિવસ પહેલાં તોયણી ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી ધોરણ-1માં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીની લાશ સાંજે છ વાગે રહસ્યમય સંજોગોમાં મળી હતી. પોલીસે બાળકીના મૃતદેહનું પીએમ કરાવતા તેનું મોંઢૂ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવતા આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાંચો અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકની માતાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે દિવસે પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ નટે સાથે તેમની કારમાં મોકલી હતી. બાદમાં પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પૂછપરછ કરી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ગાડીમાંથી ઉતરીને ક્યાં ગઇ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો, સાંજે શાળા છૂટયા બાદ હું મારા ઘેર જતો રહ્યો હતો.
આચાર્યની વાત પોલીસને ગળે ઉતરતી ન હતી જેથી તેના મોબાઇલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ આચાર્યની ઉંડાણપૂર્વક ફરી પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડયો હતો અને તેણે પોતે જ બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે બાળકીને ગાડીમાં બેસાડયા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી જેથી તેનું તેને ચૂપ કરવા મોઢૂં દબાવી દેતાં તે બેભાઇ થઇ ગઇ હતી અને બાદમાં ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં બાળકીને લઇ આવ્યો હતો. શાળા છૂટયા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે તેમજ તેની સ્કૂલ બેગ, ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતાં. પોલીસે બાદમાં આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી હતી.


આચાર્યએ બાળકીની હત્યા બાદ કાર ગોધરા વોશ કરાવી
માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારનાર આચાર્ય ગોવિંદ નટે પુરાવાનો નાશ કરવા માટે પોતાની કારની ગોધરા વોશ કરવા માટે પણ લઇ ગયો હતો. મૃત બાળકીને પોતાની કારમાં શાળામાં આચાર્ય લઇ ગયો અને શાળામાં કાર પાર્ક કરી ત્યારે કારના કાચ અડધા ખુલ્લા રાખ્યા હતા જેથી આવતા જતાં શિક્ષકો સહિત શાળાના બાળકો આ જુએ તો કહી શકાય કે ખબર નહી બાળકી કેવી રીતે કારમાં આવી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application