અયોધ્યામાં પ્રાયશ્ચિત પૂજાથી પ્રાણપ્રતિષ્ઠાની થઇ છે ઔપચારિક શરૂઆત, જાણો પ્રાયશ્ચિત વિધિ વિશે

  • January 16, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા. 22 જાન્યુઆરીના ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે આજથી જ ખાસ ધાર્મિક વિધિની શરૂઆત થઇ ગઇ છે. એટલે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં 22મી જાન્યુઆરી સુધી જાપ અને મંત્રોની ગુંજ સાંભળવા મળશે. આપને જણાવી દઇએ કે, રામમંદિર સમારોહની શરૂઆત પ્રાયશ્ચિત પૂજાથી થઇ છે. કહેવાય છે કે આ પૂજાથી જ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ઔપચારિક શરૂઆત થઇ છે. આજે એટલે કે મંગળવારે સવારે 9:30 કલાકથી પ્રાયશ્ચિત પૂજા શરૂ કરવામાં આવી છે. આ પૂજા આશરે પાંચ કલાક સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે. 121 બ્રાહ્મણો આ તપ આરાધના રૂપી પ્રાયશ્ચિત પૂજન પૂર્ણ કરશે. આ પ્રાયશ્ચિત પૂજનથી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત માનવામાં આવશે. તો ચાલો જાણીએ કે શું છે આ પ્રાયશ્ચિત પૂજા અને રામ મંદિર અનુષ્ઠાનમાં શું નિયમો છે?


પ્રાયશ્ચિત પૂજા શું છે?

વાસ્તવમાં, પ્રાયશ્ચિત એ પૂજનની વિધિ છે, જેમાં પ્રાયશ્ચિત શારીરિક, આંતરિક, માનસિક અને બાહ્ય એમ સર્વે પ્રકારે કરવામાં આવે છે. ધાર્મિક જાણકારો અને પંડિતોના મતે, બાહ્ય પ્રાયશ્ચિત માટે 10 વિધિ સ્નાન કરવામાં આવે છે. જેમાં પંચ દ્રવ્ય ઉપરાંત અનેક ઔષધીય સામગ્રી અને ભસ્મ સહિત અન્ય સામગ્રીથી સ્નાન કરવામાં આવે છે. એટલું જ નહીં, બીજું પ્રાયશ્ચિત ગૌદાન અને સંકલ્પ પણ છે. આમાં યજમાન ગૌદાન દ્વારા પ્રાયશ્ચિત કરે છે. કેટલાક દ્રવ્ય દાન દ્રારા પણ પ્રાયશ્ચિત થાય છે, જેમાં સોનાનું દાન પણ સામેલ છે.


પ્રાયશ્ચિત પૂજા અર્થ

પ્રાયશ્ચિત પૂજાનો અર્થ એવો પણ થાય છે કે મૂર્તિ અને મંદિર બનાવવા માટે વપરાતી છીણી અને હથોડીનું આ પૂજામાં પ્રાયશ્ચિત કરવામાં આવે છે અને તેની સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. પ્રાયશ્ચિત પૂજા પાછળની મૂળ ભાવના એ છે કે યજમાન દ્વારા જાણ્યે કે અજાણતાં થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું. વાસ્તવમાં, આપણે ઘણી પ્રકારની ભૂલો કરીએ છીએ જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો, તેથી શુદ્ધિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે પ્રાણપ્રતિષ્ઠા પહેલા પ્રાયશ્ચિત પૂજાનું મહત્વ વધી જાય છે.


પ્રાયશ્ચિત પૂજા કોણ કરે છે?

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય કરવા માટે અનુષ્ઠાન કે યજ્ઞ કરવાની પરંપરા છે. કોઈપણ ધાર્મિક વિધિ કે યજ્ઞ કે પૂજામાં ફક્ત યજમાન જ બેસે છે. તેથી જ યજમાનને પ્રાયશ્ચિત પૂજા કરવાની હોય છે. પંડિતો આમાં માત્ર માધ્યમ છે, જેઓ મંત્રોચ્ચાર કરે છે.


ધાર્મિક અનુષ્ઠાનના નિયમો

જ્યારે કોઈ પણ શુભ અથવા પુણ્ય કાર્ય માટે કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવે છે, ત્યારે તેનું પાલન કરનારાઓએ કુલ 12 નિયમોનું પાલન કરવું આવશ્યક રહે છે.

1. જમીન પર સૂવું

2. બ્રહ્મચર્યનું પાલન કરવું.

3. મૌન વ્રત ઘારણ કરવું અથવા બહુ ઓછું બોલવું.

4. ગુરુની સેવા કરવી

5. દિવસમાં ત્રણ વખત સ્નાન કરવું.

6. પાપ કરવાથી બચવું.

7. આહાર શુદ્ધિ

8. અનુષ્ઠાનના સમયે નિત્ય દાન કરવું

9. સ્વાધ્યાય

10. પ્રસંગોપાત પૂજા કરવી

11. ઇષ્ટ ગુરુમાં વિશ્વાસ રાખો

12. ભગવાનના નામનો જાપ કરવો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application