મણિપુરમાં ભારત માતાની હત્યા, PM મોદીની સરખામણી રાવણ સાથે,આજે સંસદમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનો

  • August 09, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા બાદ સંસદમાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાહુલે કહ્યું કે મણિપુરમાં આ લોકોએ આખા ભારતને મારી નાખ્યું છે. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલે પોતાના ભાષણ દરમિયાન તે મહિલાઓની કહાણી પણ સંભળાવી, જેમને તેઓ તેમના મણિપુર પ્રવાસ દરમિયાન મળ્યા હતા. રાહુલે હરિયાણાના નૂહમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

રાહુલ ગાંધીએ તેમના ભાષણની શરૂઆત ભારત જોડો યાત્રાથી કરી હતી, પરંતુ તે પછી તેઓ મણિપુર વિશે બોલવા લાગ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, ભારત આ દેશના લોકોનો અવાજ છે, જો આપણે આ અવાજ સાંભળવો હોય તો અહંકાર દૂર કરવો પડશે. મણિપુરની મુલાકાતનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, થોડા દિવસો પહેલા હું મણિપુર ગયો હતો. આપણા વડાપ્રધાન આજ સુધી ગયા નથી, કારણ કે મણિપુર તેમના માટે હિન્દુસ્તાન નથી. આજની વાસ્તવિકતા એ છે કે તમે મણિપુરને બે ભાગમાં વહેંચી દીધું છે.

મણિપુરમાં રાહત શિબિરોની તેમની મુલાકાતની વાર્તા સંભળાવતા રાહુલ ગાંધીએ કહ્યું, “હું મણિપુરના રાહત શિબિરમાં ગયો અને રાહત શિબિરમાં એક મહિલા મળી, જેણે મને કહ્યું કે મારી પાસે માત્ર એક જ બાળક છે, જેને સામેથી ગોળી વાગી હતી. મહિલાએ કહ્યું કે હું આખી રાત તેની લાશ સાથે સૂઈ રહી, પછી હું ડરી ગઈ અને ઘર છોડીને ચાલી ગઈ.” 


મણિપુરમાં હિંસાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની રાજનીતિએ માત્ર મણિપુરને જ માર્યું નથી, તેમની રાજનીતિએ મણિપુરમાં ભારતને માર્યું છે. ભારતની હત્યા કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જેમ મેં ભાષણની શરૂઆતમાં કહ્યું હતંમ કે ભારત એક અવાજ છે, ભારત આપણા લોકોનો અવાજ છે, તે તેમના હૃદયનો અવાજ છે. તમે મણિપુરમાં તે અવાજને માર્યો, તેનો અર્થ એ કે તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે દેશભક્ત નથી પણ દેશદ્રોહી છો. તમે ભારત માતાના રક્ષક નથી, તમે ભારત માતાના હત્યારા છો.

રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે રાવણ બે લોકોની વાત સાંભળતો હતો, એક મેઘનાથ અને બીજો કુંભકરણ... તેવી જ રીતે નરેન્દ્ર મોદી બે લોકોની વાત સાંભળે છે, એટલે કે અમિત શાહ અને અદાણી... હનુમાને લંકા બાળી નથી. હા, રાવણના ઘમંડથી લંકા બળી ગઈ હતી. રામને રાવણ દ્વારા માર્યા નહોતા, રાવણને તેના અહંકારથી માર્યો હતો. તમે આખા દેશમાં કેરોસીન ફેંકી રહ્યા છો, તમે મણિપુરમાં કેરોસીન ફેંક્યું અને પછી સળગાવી દીધું. હવે તમે હરિયાણામાં કરી રહ્યા છો, આખા દેશને સળગાવવામાં વ્યસ્ત છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application