કબૂતરને ચણ નાખવાની આદત ભારે પડી, સુરતના વૃદ્ધે ગુમાવ્યો જીવ

  • January 17, 2024 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આપણામાં ગરીબોને કે પશુ પંખીઓના પેટનો ખાડો પૂરવાથી પુણ્ય મળે તેવી ધાર્મિક માન્યતા છે. મોટી સંખ્યામાં લોકો કુતરાઓને રોટલી ખવડાવતા હોય છે અથવા પક્ષીઓને ચણ નાખતા હોય છે.  પણ જો તમે પણ કબૂતરને ચણ નાખો છો તો તમારે  સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે કબૂતરના ચરકથી ફેલાતું ઈન્ફેક્શન ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. 

સુરતના ઘોડદોડ રોડ પાસે નંદનવન સોસાયટીમાં રહેતા પંકજ દેસાઈની પક્ષીઓને ચણ નાખવાની આદતના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કબૂતરના ચરકથી ફેફસાંમાં ઇન્ફેક્શન થતાં 68 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે.

પંકજ દેસાઈને 2 વર્ષ પહેલા હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું. તેમને  કબૂતરના ચરકથી હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાની બીમારી થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. તેમને સામાન્ય ઉધરસ બાદ ધીમે-ધીમે ફેફસામાં ઈન્ફેક્શન વધી ગયું અને થોડા જ સમયમાં ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું. 


તેઓ છેલ્લા 2 વર્ષથી આ બીમારીથી પીડાઈ રહ્યા હતા,  હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાના કારણે ફેફસામાં ઈન્ફેક્શન વધી જતાં તેઓનું અવસાન થયું છે.  કબૂતરને ચણ નાખવાની આપણને સામાન્ય લાગતી પ્રવૃત્તિના લીધે વૃદ્ધનું મોત નીપજતા ભારે ચકચાર મચી ગઇ છે. આ મામલે ફેફસાના રોગોના નિષ્ણાતો જણાવે છે કે, કબૂતરના પીછાં અને ચરકમાં એક પ્રકારનો એન્ટીજન હોય છે જે હવા દ્વારા શ્વાસ વાટે અમુક લોકોના ફેફસામાં જઈને સોજો લઈ આવે છે જે લાંબા ગાળે ન્યુમોનીયા કરે છે. જેને હાઈપર સેન્સિટિવિટી ન્યૂમોનિયા કહેવાય છે. આ ન્યૂમોનિયા ધીમે ધીમે ફેફસાં ડેમેજ કરે છે. જે લોકોના ફેફસાં પહેલાથી ડેમેજ હોય અને મોટી ઉંમરના લોકોએ કબૂતરથી દૂર રહેવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application