મંત્રી રાઘવજી પટેલની બ્રેઈન સ્ટ્રોક બાદ તબિયત સ્થિર, એરએમબ્યુલન્સ દ્વારા અમદાવાદ કે મુંબઈ લઈ જવા અંગે વિચારણા

  • February 11, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ડોક્ટરોએ રવિવારે જાણકારી આપી છે કે તેમની હાલત સ્થિર છે. 65 વર્ષીય કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગનો હવાલો ધરાવે છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળાએ જણાવ્યું હતું કે, જામનગરમાં શનિવારે રાત્રે સાડા દસ વાગ્યે રાઘવજી પટેલને મગજની જમણી બાજુએ દુખાવો થયો હતો આ બાદ તેમને જામનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી તેમને રાજકોટ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


તેમને આજે સવારે 4:00 વાગ્યાની આસપાસ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ICUમાં સારવાર હેઠળ  છે.  હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્જન ડૉ.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, “હાલમાં રાઘવજીભાઇ પટેલ તબિયત સ્થિર છે, રાઘવજીભાઇ પટેલનું બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે.” સૂત્રો મુજબ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે તેમને એરએમબ્યુલન્સ દ્વારા અમદાવાદ કે મુંબઈ લઈ જવા અંગે પરિવારજનો દ્વારા વિચારણા ચાલી રહી છે.


રાઘવજી પટેલ જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. સપ્ટેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. રાઘવજી પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વલ્લભ ધારવિયાએ તેમનો પરાજય અપાવ્યો હતો જો કે, બાદમાં ધારવિયાના રાજીનામાને કારણે રાઘવજી પટેલે 2019ની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application