બાંદા જેલમાં માફિયા મુખ્તાર અંસારીની તબિયત લથડતા આઈસીયુમાં કરાયો દાખલ

  • March 26, 2024 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માફિયાએ ભોજનમાં  ધીમું ઝેર અપાતું હોવાનો લગાવ્યો હતો આરોપ : બે દિવસ પહેલા અંસારીની સુરક્ષામાં બેદરકારી બદલ ૩ અધિકારીને કરાયા હતા સસ્પેન્ડ 

 


ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત લથડી છે. તાજેતરમાં તેણે તેના પર સ્લો પોઈઝન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તબિયત બગડતાં તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તે આઈસીયુમાં વેન્ટિલેટર પર છે. જોકે આ મામલે હજુ સુધી જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને જેલ પ્રશાસન તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર તરફથી આવો મામલો સામે આવ્યા બાદ તપાસની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 


મુખ્તાર સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. જેલમાં રહેલા મુખ્તાર સામેના કેસોની સુનાવણી ઝડપી કરવામાં આવી છે. તાજેતરમાં જ તેની સામે સાતમા કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે. મૌના ધારાસભ્ય અને મુખ્તારના પુત્ર અબ્બાસ અન્સારીએ જેલમાંથી એક સંદેશ મોકલીને તેના પિતાની હાલત વિશે પરિવારને જાણ કરી છે. અબ્બાસના ભાઈ ઓમર અંસારીએ લોકોને તેમના પિતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. પૂર્વાંચલના ડોન મુખ્તાર અંસારીએ હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં ધીમુ ઝેર આપવામાં આવી રહ્યું છે. 21 માર્ચે, મુખ્તાર અંસારી એમ્બ્યુલન્સ કેસમાં બારાબંકી સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થયો હતો. તેણે પોતાના વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી કે 19 માર્ચની રાત્રે તેના ડિનરમાં ઝેર આપવામાં આવ્યું હતું. જેના કારણે તેની તબિયત લથડી હતી. મુખ્તારે પોતાની અરજીમાં કહ્યું હતું કે એવું લાગે છે કે તેનો શ્વાસ રૂંધાઈ જશે. ખૂબ જ નર્વસ ફીલ થાય છે. મહેરબાની કરીએન મારી યોગ્ય સારવાર માટે ડૉક્ટરોની ટીમની વ્યવસ્થા કરો. 40 દિવસ પહેલા પણ તેણે તેના પર ઝેર આપવાનોઆરોપ લગાવ્યો હતો.


બારાબંકી સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવ્યા બાદ મુખ્તાર અંસારીના સ્વાસ્થ્યની તપાસ માટે બે ડોક્ટરોની પેનલ બનાવવામાં આવી હતી. ડોક્ટરોની ટીમ જેલમાં પહોંચી હતી. તેમણે મુખ્તારના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ રિપોર્ટ આવ્યા બાદ મુખ્તારને કબજિયાત અને દુખાવાની કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી. ડૉક્ટરોએ જેલ પ્રશાસનને કહ્યું કે ઉપવાસના કારણે આવું થઈ રહ્યું છે. મુખ્તાર ભૂખને કારણે અચાનક વધુ પડતો ખોરાક લેવા બાદ થતી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. જેલ પ્રશાસન દ્વારા મુખ્તાર અંસારીનો મેડિકલ રિપોર્ટને કોર્ટમાં મોકલી દેવામાં આવ્યો છે.


પિતા મુખ્તાર અંસારીની તબિયત બગડ્યા બાદ મૌના ધારાસભ્ય અબ્બાસ અન્સારીએ જૌનપુર જિલ્લાના મોહમ્મદબાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરને રેડિયો સંદેશ મોકલ્યો હતો. જેમાં તેમણે મુખ્તારના ભાઈ અને સાંસદ અફઝલ અંસારી અને તેમના પરિવારને તેમની તબિયત અંગે જાણ કરવા વિનંતી કરી છે. અબ્બાસે પોતાના સંદેશમાં કહ્યું કે તેમના પિતાની તબિયત બગડતા તેમને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી અફઝલ, ભાઈ ઉમર અંસારી અને માતા અફશાન અંસારીને આપવી. આ માહિતી બાદ મુખ્તારના બીજા પુત્ર ઓમર અંસારીએ ફેસબુક પર પોસ્ટ કરીને લોકોને પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. ઉમરે લખ્યું કે મારા પિતા મુખ્તાર અંસારીને લગભગ 6 વાગ્યે બાંદા મેડિકલ કોલેજના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત ઘણી ગંભીર છે. 


સ્લો પોઈઝન આપવાના આરોપને ફગાવી દેવાયો 

બાંદા જેલના અધિક્ષકે મુખ્તાર અંસારીને સ્લો પોઈઝન આપવાના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. તેમનું કહેવું છે કે મુખ્તાર અંસારીને ભોજન આપતા પહેલા કોન્સ્ટેબલ અને પછી ડેપ્યુટી જેલર ભોજન ખાય છે. આ પછી જ મુખ્તાર અંસારીને ભોજન આપવામાં આવે છે. જેલના 900 કેદીઓ પણ આ જ ખોરાક ખાય છે. આવી સ્થિતિમાં સ્લો પોઈઝન આપવાનો આરોપ પાયાવિહોણો છે. આ ઉપરાંત જેલ સુપ્રિટેન્ડેન્ટે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો દાવો કર્યો હતો. જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે પોલીસ અને પીએસી સીસીટીવી સાથે સમગ્ર બેરેક પર નજર રાખે છે. હું પોતે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખું છું. આવી સ્થિતિમાં મુખ્તારને કોઈ સ્લો પોઈઝન આપે તે શક્ય જ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application