જામનગરમાં જવેલર્સના શો રૂમમાંથી ૪.૩૯ લાખના દાગીનાની ચોરી

  • April 12, 2024 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના મેહુલનગરમાં આવેલ આશીર્વાદ જવેલર્સ નામના શોરૂમમાં છેલ્લા છ મહીનાના ગાળા દરમ્યાન સોનાના દાગીનાની ચોરી થઇ હતી, આ અંગે ૪.૩૯ લાખના દાગીના ઉઠાંતરી કરી ગયાની શોરૂમના કારીગર સામે શંકા દર્શાવતી ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આ દીશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના મેહુલનગર ક્રિસ્ટલ કોર્નરમાં આવેલ આશીર્વાદ જવેલર્સ નામના શોરૂમમાં છેલ્લા છએક મહીનાના સમયગાળામાં પ્રતિક નામનો શખ્સ સોનાના ૩ ચેઇન, સોનાના ૨ પેડલ, બે જોડી બુટી, સોનાની ૬ બુટી, જુદા જુદા વજનની મળીને કુલ ૪.૩૯.૮૫૦ના દાગીના ચોરી કરી ગયો હતો. આ અંગેની વિગતો ઘ્યાન પર આવતા સોની વેપારી દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મેહુલનગર ટેલીફોન એક્ષચેન્જ પાસે મહાવીરપાર્ક સોસાયટીમાં રહેતા સોની ભવ્ય રસિકભાઇ પાલા દ્વારા ગઇરાત્રીના સીટી-સી ડીવીઝનમાં જામનગરની સિઘ્ધનાથ સોસાયટી, આરાધના એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૧ ખાતે રહેતા પ્રતિક અશોક કુબાવત નામના શખ્સ સામે આઇપીસી કલમ ૩૮૧ મુજબ ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ દવે ચલાવી રહયા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, બે-ત્રણ દિવસ પહેલા ઉધોગનગરના કારખાનાના કારીગરે જુદા જુદા સમય દરમ્યાન પિતળના ૧૫ લાખની કિંમતના મિજાગરાની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી, જે મામલો તાજો છે ત્યાં જવેલર્સના શોરૂમમાંથી કારીગર કળા કરી ગયો છે, ફરીયાદના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application