જાણો રામમંદિર મહોત્સવની તૈયારીમાં લોકોના આરોગ્ય માટે સરકારે શું કર્યું આયોજન?

  • January 09, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaldigitalteamઆગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે સૌ કોઇની મીટ મંડાયેલી છે. કેમ કે, અહીં રામભગવાનના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક દિવસની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રીરામના મંદિરે આવનારા ભક્તોને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તો ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આરોગ્ય બાબતે પણ સરકારે ખાસ કાળજી લીધી છે. સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મેડિકલ અને હેલ્થ વિભાગે તૈયારીઓ તેજ કરી દીધી છે.


15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિથી અયોધ્યા ખાતે મેળાનું આયોજન કરવામાં આવશે, જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ભગવાન શ્રીરામની મૂર્તિનો અભિષેક 22મી જાન્યુઆરીએ ખૂબ જ વિશાળ પાયે થવાનો છે. આ દરમિયાન અહીં લોકોની ભારે ભીડ ઉમટી પડે તે સ્વાભાવિક છે. ત્યારે અહીં આવનારા લોકોના સ્વાસ્થ્ય અંગે પણ સરકારે વિચાર કરી ખાસ તબીબી કેન્દ્રો તૈયાર કરવા અને તબિબોની ટીમ તૈનાત કરવાનું આયોજન કર્યું છે. આથી, અયોધ્યા ખાતે અસ્થાયી તબીબી કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. 20 બેડ ધરાવતી બે હોસ્પિટલો પણ તૈયાર કરવામાં આવી રહી છે.


એટલું જ નહીં 104 ડોક્ટરોને ફરજ પર મૂકવામાં આવ્યા છે. 70 ફાર્માસિસ્ટ અને 65 વોર્ડ બોય તેમજ અન્ય સ્ટાફ સહિત આશરે 135 આરોગ્ય કર્મચારીઓ ફરજ પર મુકાયા છે. આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કડક સૂચના આપી છે કે અયોધ્યામાં લોકોને ઉચ્ચ સ્તરીય સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે. અહીં 50 એમ્બ્યુલન્સ પણ વધારવામાં આવી રહી છે.


તબીબી અને આરોગ્ય વિભાગના નિયામક ડૉ. રાજાગણપીત દ્રારા ચિકિત્સક, બાળરોગ નિષ્ણાત, સર્જન, ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેસિયોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને મહિલા તબીબી અધિકારી વગેરેને ફરજ પર રાખવામાં આવ્યા છે. અયોધ્યામાં એક મહિના માટે ફરજ સોંપવામાં આવેલા ડૉક્ટરો અને કર્મચારીઓએ 12 જાન્યુઆરીએ આ માટે અયોધ્યાના ચીફ મેડિકલ ઓફિસરની ઑફિસમાં રિપોર્ટ કરવાનો રહેશે. જેથી તેમને જરૂરિયાત મુજબ અલગ-અલગ હોસ્પિટલમાં ફરજ પર મૂકી શકાય. ખાસ તો અયોધ્યા ખાતેના જાજરમાન આયોજન સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદભવે તો તેને પહોંચી વળવા માટે તબિબોની ટીમ સંપૂર્ણ તકેદારી દાખવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application