ઈરાન અને ઈઝરાયેલ સાથે ભારતનો વિસ્તૃત વેપાર, ઓઇલથી લઈને શસ્ત્રોની આયાત અને નિકાસ પર થઈ શકે છે ગંભીર અસર

  • April 17, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષના કારણે ફરી એકવાર રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધની જેમ વિશ્વમાં ચિંતામાં વધારો થવા લાગ્યો છે. જો ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરે અને બંને દેશો વચ્ચે તણાવ વધે તો વૈશ્વિક સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ શકે છે અને ઘણા દેશોને અસર થઈ શકે છે. જો ભારતની વાત કરીએ તો બંને દેશો સાથે ભારતનો મોટો વેપાર છે અને જો આયાતને અસર થશે તો મોંઘવારી વધવાનો ભય છે. 

મધ્ય પૂર્વમાં તણાવથી વિશ્વની ચિંતા વધી છે કારણ કે અહીંથી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની આયાત કરવામાં આવે છે. જો આપણે ખાસ કરીને ભારત તરફ નજર કરીએ તો, દેશ વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની 85 ટકાથી વધુ જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો એક ભાગ પણ ઈરાન પાસેથી લે છે. જો કે ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાતમાં ચોક્કસપણે ઘટાડો થયો છે.

જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન ભારત-ઈરાનનો વેપાર 13.13 અબજ ડોલરનો હતો, જેમાંથી ભારતની આયાત 8.95 અબજ ડોલરની હતી અને આમાં 4 અબજ ડોલરથી વધુના ક્રૂડ ઓઈલની આયાત કરવામાં આવી હતી. વર્ષ 2019-20માં ઈરાન સાથે ભારતના વેપારમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલની આયાત 2018-19માં 13.53 બિલિયન ડોલરની સરખામણીમાં ઘટીને માત્ર 1.4 બિલિયન ડોલર રહી હતી. ભારતે 2018-19માં લગભગ 23.5 મિલિયન ટન ઈરાની ક્રૂડ ઓઈલની આયાત કરી હતી.

હવે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધવાની સંભાવના છે તો તેની અસર ભારતની આયાત અને અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર થશે અને તેલની કિંમતોમાં વધારો થશે તો દેશના વિદેશી મુદ્રા ભંડારને પણ અસર થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા હતા અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન પણ તે 100 ડોલરને પાર કરી ગયા હતા.


ક્રૂડ સિવાયના આ માલની આયાત

માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં, પણ ભારત ઈરાન પાસેથી અન્ય ઘણી વસ્તુઓની આયાત કરે છે અને યુદ્ધની શક્યતાએ આ આવશ્યક ચીજવસ્તુઓના વેપારને લઈને ચિંતા વધારી દીધી છે. ઈરાનથી ક્રૂડ ઓઈલ ઉપરાંત ડ્રાય ફ્રૂટ્સ, કેમિકલ અને કાચના વાસણો ભારતમાં આવે છે. જો આપણે ભારતથી ઈરાન પહોંચતા મોટા માલની વાત કરીએ તો ઈરાન બાસમતી ચોખાનો મોટો આયાતકાર છે. નાણાકીય વર્ષ 2014-15થી ઈરાન ભારતીય બાસમતી ચોખાનો બીજો સૌથી મોટો આયાતકાર છે અને તેણે નાણાકીય વર્ષ 2022-23માં 998,879 મેટ્રિક ટન ભારતીય ચોખાની ખરીદી કરી હતી. બાસમતી ચોખા ઉપરાંત ભારત ઈરાનમાં ચા, કોફી અને ખાંડની નિકાસ પણ કરે છે.



મોટાભાગના હથિયારો ઈઝરાયેલથી થાય છે આયાત

ભારતનો વેપારી ભાગીદાર માત્ર ઈરાન જ નહીં પરંતુ ઈઝરાયેલ પણ છે. વર્ષ 2023માં ઈઝરાયેલ સાથે ભારતનો વેપાર 89000 કરોડ રૂપિયા હતો. ભારત ઈઝરાયેલને કાપેલા હીરા, જ્વેલરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ સામાન સપ્લાય કરે છે. ઇઝરાયેલ ભારતને મોટી માત્રામાં લશ્કરી હથિયારોની નિકાસ કરે છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષોમાં, ભારતે ઇઝરાયેલમાંથી લગભગ 3 બિલિયન ડોલરના મૂલ્યના લશ્કરી હાર્ડવેરની આયાત કરી છે, જેમાં રડાર, સર્વેલન્સ અને કોમ્બેટ ડ્રોન અને મિસાઇલનો સમાવેશ થાય છે. રશિયા, ફ્રાન્સ અને અમેરિકા પછી ભારત સૌથી વધુ હથિયાર ઈઝરાયેલ પાસેથી ખરીદે છે. શસ્ત્રો ઉપરાંત, ભારત ઇઝરાયેલમાંથી મોતી, કિંમતી પથ્થરો, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, ખાતર, રાસાયણિક ઉત્પાદનોની પણ આયાત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application