'હું જીવિત છું', પૂનમની મૃત્યુની અટકળોનો આવ્યો અંત, અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો

  • February 03, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોન્ટ્રોવર્સીયલ એક્ટ્રેસ ફરી વિવાદોમાં ઘેરાઈ ; સર્વાઈકલ કેન્સરની જાગૃતિ માટે આ સ્ટંટ કર્યો હોવાનું અભિનેત્રીનું રટણ  



વિવાદિત અભિનેત્રી પૂનમ પાંડે જીવિત છે, ગઈકાલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયેલી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર રહસ્ય બની ગયા હતા. તેની મેનેજમેન્ટ ટીમે જાહેરાત કરી હતી કે અભિનેત્રીનું મૃત્યુ થયું છે. તેનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાય છે. જો કે આ પછી અભિનેત્રીના અંતિમ સંસ્કાર અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેમજ તેના પરિવારના સભ્યોનો પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. હવે અભિનેત્રીએ ફરી એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તે જીવિત છે.

પૂનમ પાંડેએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું, 'હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી. હું તમને અહીં જણાવવા માંગુ છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને હરાવવુ શક્ય છે. તમારે ફક્ત પરીક્ષણો કરાવવા પડશે અને એચપીવી રસી મેળવવી પડશે.

પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. પૂનમ પાંડેએ સોશ્યિલ મીડિયા પર પોતાના મોતનું આવું નાટક કરવા બદલ માફી પણ માંગી છે. તેણીએ તેની એજન્સીના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વિડિયોમાં, ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સની માફી માંગી અને જણાવ્યું હતું કે, તેણે  આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું છે.

ગઈકાલે પણ પોસ્ટ પૂનમ પાંડેના જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી અને કહેવાયુ હતું કે પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરના કારણે અવસાન થયું છે. આ રોગથી તે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહી હતી. આ પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. યુઝર્સ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. ફેંસે કહ્યું કે આ ફેક ન્યૂઝ છે. પૂનમ પાંડેના મેનેજરે કહ્યું કે આ વાત સાચી છે અને તેને અભિનેત્રીના પરિવાર તરફથી આ સમાચાર મળ્યા છે. તેણી યુપીમાં તેના વતનથી કેન્સરની સારવાર કરાવી રહી હતી અને ત્યાં તેણીનું મૃત્યુ થયું. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પૂનમ પાંડેની નજીકના લોકો માટે એ માનવું મુશ્કેલ હતું કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. પૂનમ પાંડેનો પરિવાર પણ ગુમ હતો અને તેના બોડીગાર્ડને પણ તેની બીમારી અને મૃત્યુની જાણ નહોતી. 

જો કે હવે આ બધો ડ્રામા સમાપ્ત થઈ ગયો છે. પૂનમ પાંડે જીવિત છે. સોશિયલ મીડિયા યુઝર્સનું અનુમાન સાચું નીકળ્યું. તેણીએ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુની ખોટી અફવાઓ ફેલાવી હતી. હવે તેણીએ પોતે આનું કબુલાત કરી છે અને ટ્રોલર્સના નિશાના પર છે. પૂનમ પાંડેનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે અને હવે ફરી તેની ખૂબ ટીકા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application