જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ હટાવવા સરકરની વિચારણા : અમિત શાહ 

  • March 27, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીઓકે ભારતનું અભિન્ન અંગ, નાગરિક વિસ્તારોમાંથી સૈન્ય પાછી ખેચી પોલીસ તંત્રને કાયદો અને વ્યવસ્થાની સોપાશે જવાબદારી : ગૃહમંત્રી 


કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (એએફએસપીએ)ને પાછો ખેંચવા પર વિચાર કરી રહી છે. એક કાશ્મીરી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સૈનિકો પાછી ખેંચવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની યોજના ધરાવે છે.


ગૃહમંત્રીએ કહ્યું, "અમારી યોજના સૈનિકોને પાછી ખેંચવાની અને તમામ જવાબદારી જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવાની છે. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે." એએફએસપીએ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર ગૃહમંત્રીએ કહ્યું, 'અમે એએફએસપીએ હટાવવા વિશે પણ વિચારીશું. અમે કાશ્મીરના યુવાનો સાથે વાત કરીશું, નઈ કે એવા સંગઠનો સાથે નહીં જેમના મૂળ પાકિસ્તાનમાં છે.


અમિત શાહે કહ્યું કે ભાજપ અને સમગ્ર સંસદ માને છે કે પીઓકે ભારતનો અભિન્ન અંગ છે. મુસ્લિમ ભાઈઓ પણ ભારતીય છે અને પીઓકેમાં રહેતા હિન્દુ ભાઈઓ પણ ભારતીય છે અને પાકિસ્તાને જે જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે તે પણ ભારતની છે. તેને પાછું મેળવવું એ દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય છે. આજે પાકિસ્તાન ભૂખમરો અને ગરીબીથી ઘેરાયેલું છે અને ત્યાંના લોકો પણ કાશ્મીરને સ્વર્ગ તરીકે જુએ છે. હું બધાને કહેવા માંગુ છું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે.


અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર શાહે કહ્યું કે, મોદી સરકારે પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના ઓબીસીને અનામત અને મહિલાઓને એક તૃતીયાંશ આરક્ષણ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું, 'પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત આપવામાં આવ્યું છે. અમે એસસી અને એસટી માટે જગ્યા બનાવી છે. ગુર્જરો અને બકરવાલોનો હિસ્સો ઘટાડ્યા વિના પહાડીઓને 10 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકોને રહેવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.


જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિવિધ સંગઠનો અને વ્યક્તિઓએ એએફએસપીએ હટાવવાની માંગ કરી છે. શાહે કહ્યું કે સપ્ટેમ્બર પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વચન છે અને તે પૂરું થશે. જો કે, આ લોકશાહી માત્ર ત્રણ પરિવારો પુરતી સીમિત નહીં હોય. તેમણે કહ્યું કે આ લાભો પાયાના સ્તર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર પ્રતિબદ્ધ છે.

કાશ્મીરમાં લાંબા સમયથી એએફએસપીએ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો સરકાર તેને દૂર કરવાની દિશામાં કોઈ પગલું ભરે છે, તો તે એક મોટો નિર્ણય હશે. મોદી સરકાર દ્વારા સુરક્ષા સ્થિતિમાં સુધારાને કારણે 2015માં ત્રિપુરા અને 2018માં મેઘાલયમાંથી એએફએસપીએ હેઠળ ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશનને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યું હતું. ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન સમગ્ર આસામમાં 1990થી અમલમાં હતું. 01 એપ્રિલ, 2022 થી, આસામના 9 જિલ્લાઓ અને એક જિલ્લાના એક પેટા વિભાગ સિવાય સમગ્ર આસામ રાજ્યમાંથી એએફએસપીએ હટાવવામાં આવ્યું હતું.  


એએફએસપીએ એ એક કાયદો છે જે 'અવ્યવસ્થિત વિસ્તારોમાં' લાગુ કરવામાં આવે છે. એએફએસપીએ અવ્યવસ્થિત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોના જવાનોને "જાહેર વ્યવસ્થા જાળવવા" માટે જો જરૂરી હોય તો શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની વ્યાપક સત્તા આપે છે. આ કાયદો 11 સપ્ટેમ્બર 1958ના રોજ બનાવવામાં આવ્યો હતો. તે સૌપ્રથમ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યું હતું. 90ના દાયકામાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વધ્યો ત્યારે અહીં પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.


શું છે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ ?

એએફએસપીએ સુરક્ષા દળોને અમર્યાદિત સત્તા આપે છે. સુરક્ષા દળો કોઈની પણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે, બળનો ઉપયોગ કરી શકે છે અથવા તો કોઈને ગોળી મારી શકે છે. જોકે, બળનો ઉપયોગ કરતા પહેલા અને ગોળીબાર કરતા પહેલા ચેતવણી આપવી જરૂરી છે. જો સુરક્ષા દળો ઈચ્છે તો તેઓ કોઈપણને રોકીને તલાશી લઈ શકે છે. આ કાયદા હેઠળ સુરક્ષા દળોને કોઈના પણ ઘર કે પરિસરમાં તલાશી લેવાનો અધિકાર મળે છે. જો સુરક્ષા દળોને લાગે છે કે આતંકવાદીઓ અથવા તોફાનીઓ કોઈ મકાન કે ઈમારતમાં છુપાયેલા છે તો તેઓ તેને તોડી પણ શકે છે. આ કાયદામાં સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સુરક્ષા દળો સામે કોઈ કેસ દાખલ કરી શકાશે નહીં અને કાર્યવાહી પણ કરી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application