પરીક્ષા પે ચર્ચા : બાળકના 'રિપોર્ટ કાર્ડ'ને 'વિઝિટિંગ કાર્ડ' ન બનાવો : પીએમ મોદી

  • January 29, 2024 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાનની માતા-પિતાઓને ટકોર ; બાળકોમાં મિત્રો પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન હોવી જોઈએ ; ફોનના વપરાશ અને લેખનની આદત પર પણ વડાપ્રધાને આપી બાળકોને સલાહ 

આજે પરીક્ષાઓ પર ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ બાળકોને પરીક્ષાના તણાવમાંથી છૂટકારો મેળવવાની સલાહ આપી અને આવી ઘણી ટિપ્સ પણ આપી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને અનેક ગુરુમંત્રો આપ્યા અને તેમણે વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ તેમના બાળકોના એકેડેમિક પર્ફોમન્સ અને તેના રિપોર્ટ કાર્ડને તેમનું વિઝિટિંગ કાર્ડ ન બનાવે. પીએમ મોદીએ કહ્યું કે સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ, બાળકોમાં મિત્રો પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન વિકસવી જોઈએ. 


પીએમે કહ્યું કે બાળકે અન્ય લોકો સાથે સ્પર્ધા કરાવના બદલે પોતાની સાથે, જ્યાં તે મજબૂત છે તે સ્થાનેથી દરેકની મદદ કરવી જોઈએ અને જો કોઈ મિત્ર અન્ય  વિષયમાં તે ચાપ છે તેની મદદ લેવી જોઈએ. આનાથી બંને સાથે મળીને પરીક્ષાના તણાવને દૂર કરી શકે છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'મેં લોકોને સતત ફોન પર વાત કરતા જોયા છે. તમે ભાગ્યે જ મારા હાથમાં મોબાઇલ ફોન જોશો કારણ કે મને ખ્યાલ છે કે માહિતી મેળવવા માટે મારે તેના પર કેટલો સમય પસાર કરવો પડશે, પરંતુ આજકાલ દરેક સાથે એવું નથી. આજકાલ એક પરિવારના ચાર સભ્યો ઘરના જુદા જુદા ખૂણામાં બેસીને એકબીજાને મેસેજ ફોરવર્ડ કરતા રહે છે.બિનજરૂરી પ્રાઈવસીના કારણે તેઓ કોઈને પણ પોતાના ફોનને સ્પર્શવા દેતા પણ નથી.


કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પીએમ મોદીને પૂછ્યું, આટલા કામ અને દબાણ વચ્ચે તમે કેવી રીતે સકારાત્મક રહો છો ?, જેના જવાબમાં પીએમે રસપ્રદ રીતે કહ્યું કે આ સારી વાત છે કે વિદ્યાર્થીઓ જાણે છે કે વડાપ્રધાનને પણ ઘણા દબાણનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે હું પડકારોને પણ પડકારું છું. હું હંમેશા માનું છું કે ગમે તે થાય, ૧૪૦ કરોડ દેશવાસીઓ મારી સાથે છે. લાખો પડકારો છે અને કરોડો લોકો તેના માટે ઉભા છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ કહ્યું કે દરેક વ્યક્તિ વતી હું પીએમ નરેન્દ્ર મોદીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તેઓ રાષ્ટ્રના શિલ્પી છે. ૨૦૪૭ સુધીમાં તમારા નેતૃત્વમાં દેશનો વિકાસ થશે. આજે પરીક્ષા પે  ચર્ચા એક જન આંદોલન બની ગઈ છે. ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


વડાપ્રધાન મોદીની બાળકો, માતા-પિતા અને ટીચર્સને સલાહ  :

પીએમ મોદીએ કહ્યું કે હું દરેક પડકારને પડકારું છું, પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈને હું ઊંઘતો નથી. હું દરેક પડકાર માટે વ્યૂહરચના બનાવું છું. મોબાઈલ પર ગમે તેટલી મનપસંદ વસ્તુઓ આવતી હોય, તેના માટે અલગ સમય નક્કી કરવો ખૂબ જ જરૂરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે શિક્ષકોએ બાળકો સાથે ભળી જવું જોઈએ. તમારે વર્ગમાં આરામદાયક વાતાવરણ બનાવવું જોઈએ જેથી બાળકો તમારામાં રસ લે. શિક્ષકનું કામ માત્ર નોકરી કરવાનું કે નોકરી બદલવાનું નથી, તેનું કામ જીવનને ઉન્નત કરવાનું અને તેને શક્તિ આપવાનું છે. આવા શિક્ષકો જ પરિવર્તન લાવે છે.

વડાપ્રધાને કહ્યું કે આપણે નિર્ણાયક બનવાની આદત કેળવવી જોઈએ. અનિશ્ચિતતા ખૂબ જ ખરાબ છે. તેમાંથી બહાર આવવું જરૂરી છે. ઉપરાંત બાળકોને લખવાની પ્રેક્ટિસ કરવાની આદત પર પણ વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે, તમે જેટલું લખશો તેટલી ઝડપ વધશે અને તમારી  ભૂલો સમજાશે.
​​​​​​​

પીએમ નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં કહ્યું કે વિદ્યાર્થીઓ પહેલા કરતા વધુ ઇનોવેટિવ બન્યા છે, આ કાર્યક્રમ મારા માટે પણ એક કસોટી સમાન છે. પીએમે માતા-પિતાને કહ્યું કે તમારે કોઈપણ બાળકની તુલના અન્ય કોઈ સાથે ન કરવી જોઈએ કારણ કે તે તેના ભવિષ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

કેટલાક માતા-પિતા તેમના બાળકના 'રિપોર્ટ કાર્ડ'ને તેમનું 'વિઝિટિંગ કાર્ડ' માને છે, આ યોગ્ય નથી. વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યું કે સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણારૂપ છે, પરંતુ સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application