ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો હોવા છતાં પણ શું મમતાદીદી એકલા હાથે લડશે ચૂંટણી? ટીએમસીએ કરી બંધ બારણે બેઠક

  • January 24, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા માટે વિવિધ રાજકીય પક્ષો એક મંચ પર આવ્યા, જેને પરિણામે ઇન્ડિયા ગઠબંધનનું ગઠન થયું પરંતુ હવે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સીટ શેરીંગની વાત આવતા આનાકાની કરી રહ્યા છે. કોઇને એકબીજા સાથે મનમેળ થતો નથી. ખાસ કરીને કોંગ્રેસ વિવિધ રાજયોમાં મીટીંગ કરે છે પરંતુ કોઇ સુખદ સમાધાન આવતું નથી. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ભલેને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોય, પરંતુ લોકસભા ચૂંટણીમાં તેમના 'એકલા ચલો રે'ના સંકેત દેખાઈ રહ્યા છે. સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સંભવતઃ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર એકલા જ લોકસભાની ચૂંટણી લડી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટીએમસીના ગઢ બીરભૂમ જિલ્લામાં બંધ બારણે સંગઠનાત્મક બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓને એકલા ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા કહ્યું હતું અને બેઠકોની વહેંચણી માટે કઇ પણ વિચારણા કરવા કહ્યું નહતું.


પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે મીટિંગની વિગતો શેર કરી હતી. આથી એ જાણકારી મળી છે કે, ટીએમસીના વડા મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે સીટ શેરીંગની વાતચીત કરવાની આવશ્યકતા નથી. આ પહેલા ટીએમસી દ્રારા કોંગ્રેસને બે સીટની ઓફર કરવામાં આવી હતી. પણ કોંગ્રેસ 10 થી 12 સીટોની માંગ કરી ચૂકી છે.


એટલું જ નહીં, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મંગળવારે પશ્ચિમ બંગાળમાં 10-12 લોકસભા બેઠકોની 'ગેરવાજબી' માગણીને ટાંકીને પશ્ચિમ બંગાળમાં બેઠક વહેંચણી પર ચર્ચામાં વિલંબ કરવા બદલ કોંગ્રેસની આલોચના કરી હતી. હાલમાં મમતાની પાર્ટીએ રાજ્યમાં કોંગ્રેસને માત્ર બે સીટો ઓફર કરી છે. તૃણમૂલનો ગઢ ગણાતા બીરભૂમ જિલ્લાના પાર્ટી એકમની બંધ બારણે સંગઠનાત્મક બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ આ વાત કહી હતી. માનવામાં આવે છે કે કોંગ્રેસ આ ઓફરને નકારી શકે છે.


આ તરફ રાજ્ય કોંગ્રેસના વડા અધીર રંજન ચૌધરીએ લોકસભાની ચૂંટણી લડવાને લઈને ટીએમસી અને મમતા બેનર્જીને નિશાન સાધી મમતાદીદીને અવસરવાદી કહ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ તેમની દયા પર ચૂંટણી નહીં લડે. જો કે, પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અધીર રંજન ચૌધરીની ટીકાને નકારી કાઢી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application