કિંગ કોહલીની ગેરહાજરી છતાં પણ પુજારા અને રહાણેની વાપસી છે મુશ્કેલ, જાણો શું છે કારણ?

  • January 23, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. ત્યારે એ વાત જાહેર થઇ ગઇ છે કે આ શ્રેણીની પ્રથમ બે મેચમાં કિંગ કોહલી અંગત કારણસર નહી રમે. ત્યારે સવાલ એ છે કે પસંદગીકારો વિરાટના સ્થાને કયા ખેલાડીને પસંદ કરશે. આવી સ્થિતિમાં શું અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારા કે અજિંક્ય રહાણેની વાપસી શક્ય છે? તો આ પશ્ન માટે હકારાત્મક જવાબ જણાતો નથી.


વાસ્તવમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વિરાટના ખસી ગયા બાદ ટીમમાં હજુ 15 ખેલાડીઓ છે. જો અહીં વિરાટના સ્થાનની જાહેરાત કરવામાં આવે તો પણ પ્લેઈંગ-11ની પસંદગી હાલની 15 સભ્યોની ટીમમાંથી જ કરવાની રહેશે. તેને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ વિરાટના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી શકે છે. વિરાટની ગેરહાજરીમાં શુભમન ગિલ ત્રીજા સ્થાન પર આવી શકે છે અને મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરનું સ્થાન કન્ફર્મ માનવામાં આવી શકે છે.


વિરાટના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવે તો પણ રહાણે કે પુજારા માટે વાપસી કરવી એ મુશ્કેલ છે. આ બંનેની જગ્યાએ બીસીસીઆઇ  હાલમાં ભારત એ ટીમમાં સામેલ યુવા ખેલાડીને તક આપવા ઇચ્છે છે. અહીં રજત પાટીદારનો દાવો સૌથી મજબૂત જણાય છે.


સૌ પ્રથમ વાત કરીએ અજિંક્ય રહાણેની તો રણજી ટ્રોફીની આ સિઝનમાં અજિંક્ય રહાણે સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. તેણે છેલ્લી બે રણજી મેચની ત્રણ ઇનિંગ્સમાં માત્ર 16 રન બનાવ્યા હતા. એટલું જ નહીં બે વખત તો તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તેની વાપસી હાલના સંજોગોમાં અશક્ય જણાય છે.


ચેતેશ્વર પુજારા છેલ્લે ગત વર્ષે જૂનમાં યોજાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જોવા મળ્યો હતો. આ પછી તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો અને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ તેને તક મળી ન હતી. જોકે રણજી ટ્રોફીમાં પુજારાનું સારું પ્રદર્શન રહ્યું છે. તેણે ત્રણ રણજી મેચની 5 ઇનિંગ્સમાં 444 રન બનાવ્યા છે. અહીં તેણે બેવડી સદી પણ ફટકારી છે. જો કે, તેની બેવડી સદી ઝારખંડની કેટલીક નબળી ટીમ સામે આવી હતી.


મહત્વનું છે કે પુજારા સારા ફોર્મમાં છે પરંતુ બીસીસીઆઈ તેને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ પહેલા થોડો વધુ સમય આપી શકે છે. મતલબ કે પ્રયાસ એ થઈ શકે છે કે પૂજારા વધુ રણજી મેચ રમે અને તેના લયને નિયમિત કરે. જો આ સમયગાળા દરમિયાન પૂજારા રણજીમાં કેટલીક વધુ સારી ઇનિંગ્સ રમે છે તો છેલ્લી ત્રણ મેચ માટે તેનું સ્થાન બનાવી શકે છે. પરંતુ જો હવે તેને વિરાટના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવે છે અને તેને પ્લેઈંગ-11માં તક નહીં મળે તો તેના હાથમાં કઈ જ રહેશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application