સ્પીપા દ્વારા પરીક્ષા લેવામાં બે વર્ષનો વિલંબ:હવે પરિણામ જાહેર કરવામાં પણ ઢીલ

  • March 26, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સેવા સંવર્ગોમાં કર્મચારી- અધિકારીઓની ભરતી, ઉચ્ચતર પગાર ધોરણ પ્રાપ્તિ સહિતની બાબતોમાં ખાતાકીય પરીક્ષાનું આયોજન થાય તે જરૂરી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર કરીને ખાતાકીય પરીક્ષા નું સમયપત્રક બનાવી તથા તેનું આયોજન થાય તેની જવાબદારી સંબંધિત ખાતા અને વિભાગને આપવામાં આવી છે.

ગુજરાત સરકારના પંચાયત વિભાગે પણ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને સ્પીપાને વર્ષમાં ઓછામાં ઓછી બે વખત ખાતાકીય પરીક્ષા યોજવી પડશે તેવી સૂચના આપી છે. પરંતુ આવી પરીક્ષા લેવામાં બે વર્ષનો વિલંબ થયો છે. વર્ષમાં બે વખત પરીક્ષા લેવાની વાત તો દૂર રહી પરંતુ બે વર્ષે માંડ એક વખત પરીક્ષા લેવામાં આવી છે અને હવે પરિણામ જાહેર કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે.

વર્ગ-૨ ની ખાતાકીય પરીક્ષા આપનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) દ્વારા છેલ્લે સપ્ટેમ્બર 2022 માં ખાતાકીય પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી નવેમ્બર 2024 માં એટલે કે પછી બે વર્ષ પછી આવી પરીક્ષા યોજવામાં આવી હતી.

તારીખ 26 થી 30 નવેમ્બર 2024 માં ખાતાકીય પરીક્ષા લીધા પછી આજે ચાર મહિના જેટલો સમય પસાર થઈ જવા છતાં સ્પીપા દ્વારા હજુ સુધી આ પરીક્ષાનું કોઈ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી કે આન્સર કી પણ જાહેર કરવામાં આવી નથી. અગાઉ પરિણામો પરીક્ષા લેવાય એના ગણતરીના દિવસોમાં જાહેર કરી દેવામાં આવતા હતા પરંતુ આ સમગ્ર બાબત હવે ઢીલમાં પડી જતા હજારો અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન પગાર ધોરણ સહિતના લાભો લટકી પડ્યા છે. આ ઉપરાંત નિયત સમય મર્યાદામાં ખાતાકીય પરીક્ષા પાસ ન થાય તો સજા થતી હોય છે પરંતુ આમાં સ્પીપાના વાકે અધિકારીઓને સહન કરવું પડે તેવી નોબત આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application