કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં 'દંગલ', આપના મંત્રી અને નેતાની અટકાયત

  • March 26, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબ સરકારના શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સની કરાઈ અટકાયત 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા મંજૂરી ન મળતા પણ આપ કાર્યકર્તાઓ પીએમ આવાસનો ઘેરાવ કરવા માટે નીકળી પડ્યા હતા. જે બાદ પોલીસે પીએમ આવાસની આસપાસ કલમ 144 લગાવી દીધી છે.


કેજરીવાલ ઇડીની કસ્ટડીમાંથી સરકાર ચલાવી રહ્યા છે. આજે તેમણે બીજો સરકારી આદેશ જારી કર્યો. તેમણે આરોગ્ય મંત્રાલયને સૂચના આપી કે મોહલ્લા ક્લિનિક્સમાં ગરીબો માટે દવાઓની કોઈ અછત ન હોવી જોઈએ. લોકોને મફત પરીક્ષણ અને દવાઓ પૂરી પાડવામાં આવે. કેજરીવાલે 24 માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જારી કર્યો હતો. તેમણે જળ મંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.


દિલ્હી ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વિરોધને કારણે નવી દિલ્હી અને મધ્ય દિલ્હી વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને સતત ચેતવણી આપી રહી છે કે કલમ 144 લાગુ છે. પ્રદર્શનની મંજૂરી નથી. જો આંદોલનકારીઓ આગળ નહીં વધે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકારના શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સ પટેલ ચોક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 2 પાસે હડતાળ પર બેઠા છે. જો કે, દિલ્હી પોલીસે હરજોત સિંહ બેન્સ સહિત ઘણા આપ નેતાઓની અટકાયત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application