જામનગર શહેરમાં વાદળીયુ વાતાવરણ: તાપમાન ૩૬.૬ ડીગ્રી
ગઇકાલે બપોર બાદ જિલ્લાનાં કેટલાક ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો: કાલ સુધી વાદળીયુ વાતાવરણ રહેશે તેવી શકયતા
જામનગર સહિત સમગ્ર હાલારમાં આગાહી મુજબ કેટલાક ગામડાઓમાં ગઇકાલ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાલાવડ પંથકમાં તો કેટલાક સ્થળોએ ઝાપટા વરસતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી. સૌરાષ્ઠ્રમાં કેટલાક શહેરોમાં તાપમાન ૪૨ થી ૪૩ ડીગ્રી રહ્યું હતું. બિહારના સાસારામ અને ઓડીશાના બેલાંગીરનું તાપમાન ૪૮ ડીગ્રી રહ્યું હતું. હજુ પણ એકાદ બે દિવસ વાતાવરણમાં થોડોઘણો પલ્ટો આવશે અને ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે.
કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૬.૬, લઘુતમ તાપમાન ૨૮, હવામાં ભેજ ૬૯, અને પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી.
કાલાવડ વિસ્તારમાં મેઘરાજાએ અનેક સ્થળોએ ઝાપટા વરસાવ્યા હતા, અન્ય ગામડાઓમાં પણ વાદળો છવાયા હતા. ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર, કલ્યાણપુર, જામરાવલ, ભાટીયા, ફલ્લા, ખંભાળીયા અને દ્વારકા શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળો બંધાયા હતા. આજ સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળીયુ વાતાવરણ છે અને ગમે ત્યારે ઝાપટા આવે એવી શકયતા છે ત્યારે ગઇકાલે રાજકોટમાં ૪૨.૯ ડીગ્રી, અમરેલી ૪૨, સુરેન્દ્રનગર ૪૩.૮ ડીગ્રી તાપમાન રહ્યું હતું. અને આજે પણ કેટલાક ગામડાઓમાં વાદળો છવાયા છે.