હિમાચલના સીએમ સુખ્ખુ પર સંકટના વાદળો, કોંગ્રેસ હાઈકમાંડ કડક પગલાં લેવાના મૂડમાં

  • February 28, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર અને મંત્રી વિક્રમાદિત્ય સિંહે ધર્યું રાજીનામું, સીએમ ઉપર લગાવ્યા અપમાનના આરોપ 

૩૪ માંથી ૨૦ ધારાસભ્યોએ સુખુનું રાજીનામું માગ્યાની ચર્ચા

હિમાચલમાં રાજ્યસભાની એક બેઠક પર યોજાયેલી ચૂંટણી બાદ કોંગ્રેસની અંદરનો વિખવાદ સામે આવ્યો છે, અને સીએમ સુખુ સામે હાલ સંકટના વાદળો ઘેરાયા છે. ધારાસભ્યોમાં સીએમ સુખવિંદર સિંહ સુખુ પ્રત્યે હાલ ભારે નારાજગી બહાર આવી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર અને કોંગ્રેસ સરકારમાં પીડ્બ્લ્યુંડી મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું છે અને સુખુના રાજીનામાના પણ સમાચારો વહેતા થયા હતા, જે તેમણે નકાર્યા છે.

આજે પત્રકાર પરિષદમાં વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે, ‘મારું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિમાચલમાં તમામના યોગદાનથી કોંગ્રેસની સરકાર બની છે. મેં ક્યારેય સરકારના કામકાજ વિશે કશું કહ્યું નથી. મારા માટે પદ મહત્વનું નથી. લોકોનો વિશ્વાસ મારા માટે મહત્વપૂર્ણ છે. ધારાસભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આજે આપણી સામે છે. પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પણ આ મુદ્દો સતત ઉઠાવવામાં આવ્યો છે. નિર્ણયો જે રીતે લેવા જોઈએ તે રીતે લેવામાં આવ્યા નથી. માત્ર વચનો આપવામાં આવ્યા છે, તે પૂર્ણ પણ થવા જોઈએ. મેં હંમેશા મુખ્યમંત્રીનું સન્માન કર્યું છે અને એક વર્ષમાં અમે સરકારને જોરદાર સમર્થન આપ્યું છે છતાં મારું અપમાન થયું છે.’

આ વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પદ પરથી રાજીનામું આપ્યું હોવાની અટકળોએ વેગ પકડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સુખુએ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકની સામે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જો કે, આ દવાઓ પોકળ નીકળ્યા અને મુખ્યમંત્રી સુખુએ કહ્યું કે મેં કોઈ રાજીનામું નથી આપ્યુ, કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. અમારી પાસે બહુમતી છે.

આ મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે હિમાચલમાં સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હિમાચલમાં કોંગ્રેસની સરકાર યથાવત રહેશે અને ધારાસભ્યોના મંતવ્યો સાંભળવામાં આવશે. ક્રોસ વોટિંગ દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે વાત કરશે.


ભાજપના ૧૫ ધારાસભ્યો સસ્પેન્ડ

આજે સત્રની શરૂઆતમાં ભારે હોબાળો થયો હતો. જે બાદ સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ ભાજપના ૧૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.જે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વિપક્ષના નેતા જયરામ ઠાકુર, વિપિન પરમાર, રણધીર શર્મા, લોકેન્દ્ર કુમાર, વિનોદ કુમાર, હંસ રાજ, જનકરાજ, બલવીર વર્મા, ત્રિલોક જામવાલ, સુરેન્દ્ર શૌરી, દીપ રાજ, પૂર્ણ ચંદ્ર, ઈન્દર સિંહ ગાંધી, દલીપ ઠાકુર અને રણવીર નિક્કાનો સમાવેશ થાય છે. ગૃહમાં હંગામાને કારણે સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જે બાદ શાસક પક્ષના તમામ સભ્યો અને સ્પીકરે ગૃહની બહાર નીકળી ગયા હતા પરંતુ વિપક્ષના સભ્યો ગૃહની અંદર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ભાજપના ધારાસભ્યો મતદાનની માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application