આરબ દેશમાં ધાર્મિક એકતાનો સંદેશ આપશે BAPS મંદિર, ઉદ્ઘાટન પહેલા તૈયારીઓ પૂરજોશમાં શરુ

  • February 13, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુસ્લિમ શાસક દ્વારા બનાવવામાં આવ્યું: બૌદ્ધ ફાઉન્ડેશન દ્વારા જાણવણી

પારસી કંપની દ્વારા કન્સ્ટ્રક્શન: શીખ પ્રોજેક્ટ મેનેજર દ્વારા મેનેજમેન્ટ કેથોલિક આર્કિટેક્ટ અને જૈન અધ્યક્ષની આગેવાનીમાં થયું મંદિરનું નિર્માણ


આરબ દેશમાં ધાર્મિક એકતાનો સંદેશ આપનારું બીએપીએસ મંદિર મુસ્લિમ શાસક દ્વારા બનાવવામાં આવ્યું, બૌદ્ધ ફાઉન્ડેશન દ્વારા તેની જાણવણી, પારસી કંપની દ્વારા કન્સ્ટ્રક્શન કરાયું ,શીખ પ્રોજેક્ટ મેનેજર દ્વારા મેનેજમેન્ટ , કેથોલિક આર્કિટેક્ટ અને જૈન અધ્યક્ષની આગેવાનીમાં ભવ્યતા અને દિવ્યતા સાથે નિર્માણ પામ્યું છે. પથ્થરો પર દોરવામાં આવેલી ડિઝાઇન શાંતિ, પ્રેમ અને સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે અદ્ભુત સ્થાપત્ય સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું બીએપીએસ મંદિર ખાડી ક્ષેત્રમાં સૌથી મોટું મંદિર હશે. વડાપ્રધાન મોદી આજથી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસની મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ આવતીકાલે વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

ઉદ્ઘાટન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે 2015 પછી વડાપ્રધાનની દુબઈની આ સાતમી મુલાકાત છે. વિદેશ સચિવે કહ્યું કે પીએમ મોદી અને અલ નાહ્યાન દેશો વચ્ચે રણનીતિક સાજેદારીને વધુ ગાઢ બનાવશે, વિસ્તારિત અને મજબૂત કરવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારોને આદાન-પ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનને પણ મળશે. તેમના નિમંત્રણ પર પ્રધાનમંત્રી દુબઈમાં આયોજિત થનારી વિશ્વ સરકાર શિખર સમ્મેલન 2024માં સમ્માનિત અતિથિના રૂપમાં ભાગ લેશે અને શિખર સમ્મેલનમાં એક વિશેષ મુખ્ય ભાષણ આપશે.




ભારતીય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનો માટે તૈયાર કરાઈ ભેટ

પીએમ મોદી અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે એક કાર્યક્રમમાં દુબઈમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે. આ મંદિરને અત્યંત અદ્યતન શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. મંદિરના સત્તાધિશોના જણાવ્યા અનુસાર, આંતરિક ભાગના નિર્માણમાં 40,000 ઘમ ફૂટ સંગમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.અહેવાલો અનુસાર, દુબઈ માં 100થી વધુ ભારતીય શાળાના વિદ્યાર્થીઓ નાના પથ્થરો કંડારવામાં વ્યસ્ત છે જે રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આવનાર મહેમાનોને સંભારણું તરીકે રજૂ કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં શિલાન્યાસ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ ) હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે, જે દુબઈમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે. પ્રાચીન અને પશ્ચિમી સ્થાપત્યના સમન્વયથી બનેલ આ મંદિરનું કોતરકામ અજોડ છે. મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર 27 એકરમાં ફેલાયેલું છે. ભારતના કારીગરોએ પોતાની કારીગરી વડે આ મંદિરને કોતર્યું છે. ભારતથી લગભગ 2500 કિલોમીટર દૂર બનેલ તે વિશેષતાઓથી ભરપૂર છે. આ મંદિરની ઊંચાઈ અંદાજે 108 ફૂટ છે. તેમાં જટિલ કોતરણી અને આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.




ફેસ્ટીવલ ઓફ હાર્મની થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો

બીએપીએસ દ્વારા નિર્માણ પામેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્દઘાટન અંતર્ગત ‘ફેસ્ટીવલ ઓફ હાર્મની’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. દરમિયાન ગઈકાલે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા. ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુ. એ. ઇ. અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.


મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમો યોજાશે

તા.14.02.2024 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,જાહેર લોકાર્પણ સમારોહ

તા. 15.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા: સંવાદિતા દિન

તા.16.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા: સભ્યતા દિન

તા.17.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા: શાંતિ દિન

તા. 18.02.2024 મંદિર નોંધાયેલા મુલાકાતીઓ માટે સવારે 9 થી 12 વાગ્યા સુધી ખુલશે.

તા.19.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા: મૂલ્યોનો દિન

તા.20.02.2024 કીર્તન આરાધના

તા. 21.02 2024 પ્રેરણા દિન – મહિલા સભા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application