બીસીસીઆઇએ કિંગ કોહલીના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, આ ખેલાડી જોડાયો ટીમ ઇન્ડિયામાં

  • January 24, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા. 25 જાન્યુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાવાની છે. જેમાં પ્રથમ બે મેચમાં કિંગ કોહલી જોવા નહીં મળે. ત્યારે બીસીસીઆઈએ આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે વિરાટ કોહલીના સ્થાન પર અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી છે. વિરાટ કોહલીની જગ્યાએ તેના સાથી ખેલાડી રજત પાટીદારને આરસીબીમાં તક મળી છે. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટમાં રમવા માટે ઉપલબ્ધ નથી. વિરાટ કોહલીની જગ્યા લેવાની રેસમાં સરફરાઝ ખાનનું નામ પણ સામેલ હતું. પરંતુ સરફરાઝ ખાન અત્યારે ભારત એ સાથે જોડાયેલા રહેશે.


હૈદરાબાદમાં પ્રથમ બે ટેસ્ટ માટે રજત પાટીદાર પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. એક અહેવાલ મુજબ રજત પાટીદારને તેના શાનદાર ફોર્મનો લાભ મળ્યો છે અને સરફરાઝ ખાનને બદલે ટીમ ઈન્ડિયામાં તે સમાવિષ્ટ થતા સારી એવી તક મળી છે. ઈન્ડિયા એ તરફથી રમતા રજત પાટીદારે ઈંગ્લેન્ડ લાયન્સ સામે 151 રનની ઈનિંગ રમી હતી. ગયા મહિને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ રજત પાટીદારે ઇન્ડિયા એ માટે 111 રનની ઇનિંગ રમી હતી. શાનદાર ફોર્મના કારણે રજત પાટીદારને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી ગઇ છે.


એટલું જ નહીં રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે વિરાટ કોહલીના સ્થાને ચેતેશ્વર પૂજારાને ટીમમાં જગ્યા મળી શકે છે. કેમ કે, પૂજારાએ રણજી ટ્રોફીમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું અને તાજેતરમાં જ તે બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. પરંતુ હવે પુજારા માટે ટીમ ઈન્ડિયાના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. આ તરફ અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં પણ અજાયબી કરી શક્યો નથી. તેથી તેના પરત ફરવાની કોઈ જ શક્યતા જણાતી નથી. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર જેવા યુવા ખેલાડીઓ પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પણ અહીં મહત્વનું એ પણ બની રહે છે કે, આ બંને ખેલાડીઓ આ શ્રેણીમાં પ્રદર્શન કરી શકશે નહીં તો તેમના માટે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું ઘણું મુશ્કેલ બની જશે. હાલ તો કિંગ કોહલીના વિકલ્પ તરીકે બીસીસીઆઇએ રજત પાટીદાર પર ભરોસો મૂક્યો છે. આ સાથે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા માટે રસ્તા બંધ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application