અયોધ્યાના રામમંદિરે ખોલ્યા નવા દ્રાર, જાણો ધાર્મિક પર્યટનના સર્ચમાં કેટલા ટકા થયો ઉછાળો?

  • January 13, 2024 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. પણ રામમંદિરે ધાર્મિક પ્રવાસનને નવી ઊંચાઈઓ આપી છે. ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છુક લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મના આંકડાઓને ધ્યાનમાં લઇએ તો  છેલ્લા બે વર્ષમાં ધાર્મિક સ્થળો વિશે સર્ચ કરનારા લોકોની સંખ્યામાં લગભગ 97 ટકાનો વધારો થયો છે. 2021 અને 2023 વચ્ચે લોકો યાત્રાઓ માટે ધાર્મિક સ્થળોને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેમાં હાલ તો આકર્ષણનું કેન્દ્ર અયોધ્યા અને ત્યાં બની રહેલું રામ મંદિર છે.


ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ મેક માય ટ્રીપના ડેટા ધ્યાનમાં રાખીએ તો હાલમાં લોકો અયોધ્યા વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. આ આંકડો 585 ટકા વધ્યો છે. જે ધાર્મિક યાત્રા કરવા માટે લોકોની વધી રહેલી રૂચિ દર્શાવે છે. છેલ્લા બે વર્ષમાં લોકોની પ્રાથમિકતાઓ ઝડપથી બદલાઈ છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને આ વિચાર મજબૂત બની રહ્યો છે.


ઓનલાઈન પ્લેટફોર્મ મેકમાય ટ્રીપના અનુસાર, અયોધ્યા સિવાય, વર્ષ 2021 અને 2023 વચ્ચે લોકોએ સૌથી વધુ ઉજ્જૈન માટે 359 ટકા, બદ્રીનાથ માટે 343 ટકા,  અમરનાથ માટે 329 ટકા, કેદારનાથ માટે 322 ટકા, મથુરા માટે 223 ટકા,  દ્વારકાધીશ માટે 193 ટકા,  શિરડી માટે 181 ટકા, હરિદ્વાર માટે 117 ટકા અને બોધ ગયા માટે 114 ટકા સર્ચ કર્યું હતું.


અયોધ્યામાં રામમંદિર નિર્માણના નિર્ણય બાદ આ સ્થળ વિશે જાણનારા લોકોની સંખ્યા આસમાને પહોંચી ગઈ છે. જેમ જેમ રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યા વિશે સર્ચ કરનારા લોકોની સંખ્યામાં 1806 ટકાનો વધારો થયો છે. અયોધ્યા વિશે સૌથી વધુ સર્ચ 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ દિવસે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના નવીનીકરણ કરાયેલા રેલવે સ્ટેશનથી બે નવી અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.


સમગ્ર દેશમાં અયોધ્યાના રામમંદિર માટે હરખની હેલી છવાઇ છે. ત્યારે અયોધ્યાના રામમંદિરની ગુંજ વિદેશમાં પહોંચી છે. અયોધ્યાને લઈને ભારતની સરહદોની બહારથી પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં 22.5 ટકા સર્ચ અમેરિકામાંથી અને 22.2 ટકા ગલ્ફ દેશોમાંથી સર્ચ કરવામાં આવ્યું હતું. આ સિવાય કેનેડા, નેપાળ અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ અયોધ્યા અને રામ મંદિર વિશે જાણવાની ઇચ્છા ધરાવે છે. આમ, અયોધ્યાના રામમંદિરે પર્યટન માટેની નવી દિશાના માત્ર દ્રાર ખોલ્યા નથી બલ્કે લોકોમાં આકર્ષણ વધારી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application