તિહારમાં ઇન્સ્યુલિન અને ડોક્ટરની સલાહ મામલે કેજરીવાલને મોટો ફટકો

  • April 22, 2024 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હીની અદાલતે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે તિહાર જેલમાં તેમને ઇન્સ્યુલિન આપવા અને દરરોજ 15 મિનિટ માટે ડોકટરને ઓનલાઈન મળીને સલાહ લેવાની મંજૂરી માંગી હતી. કથિત આબકારી કૌભાંડ કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિયમિતપણે 15 મિનિટ સુધી પોતાના અંગત ડૉક્ટરની સલાહ લેવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. રાઉસ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની માંગને ફગાવી દીધી છે.


કાવેરી બાવેજાએ પોતાના આદેશમાં કહ્યું કે કેજરીવાલને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે. કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે ખાસ સંજોગોમાં જેલ પ્રશાસને એઈમ્સના ડાયરેક્ટર દ્વારા ગઠિત મેડિકલ બોર્ડની સલાહ લઈને સારવાર પૂરી પાડવી જોઈએ. આ સાથે કોર્ટે AIIMSને મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ બોર્ડ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ કરશે.


કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન આપવાનો નિર્ણય પણ મેડિકલ બોર્ડ લેશે. આ સિવાય અરવિંદ કેજરીવાલ જેલમાં તેમનો આહાર અને કેવો વર્કઆઉટ કરશે? આ બધું મેડિકલ બોર્ડ દ્વારા જ નક્કી કરવામાં આવશે.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને છેલ્લા કેટલાક દિવસોથી હોબાળો ચાલી રહ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જાણીજોઈને તેમની તબિયત બગાડી રહ્યા છે. EDએ દાવો કર્યો હતો કે કેજરીવાલ જેલમાં કેરી, બટેટા, પુરી અને મીઠાઈઓ ખાતા હતા જેથી તેમનું શુગર લેવલ વધી ગયું હતું. ED તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ તેમની તબિયતના આધારે જામીન ઈચ્છે છે.



તેના પર આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેજરીવાલ 20 વર્ષથી વધુ સમયથી સુગરની સમસ્યાથી પીડિત હતા અને જેલમાં તેમણે જે મીઠાઈઓ ખાધી હતી તે સુગર ફ્રી હતી. AAPએ આરોપ લગાવ્યો હતો કે ED કેજરીવાલને ઘરેથી ભોજન મેળવવાથી રોકવા માંગે છે. અરવિંદ કેજરીવાલના શુગર લેવલ અંગે AAPએ દાવો કર્યો હતો કે તેમનું શુગર લેવલ ખૂબ જ ઊંચું છે અને તેઓ જેલ પ્રશાસન પાસેથી સતત ઈન્સ્યુલિનની માંગ કરી રહ્યા છે પરંતુ તેમને ઈન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application