તું ભરણપોષણનો કેસ પાછો ખેંચે લેજે નહીંતર સારાવટ નહીં રહે

  • April 16, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતી પરિણીતાને પતિએ બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.બાદમાં પરિણીતાએ ભરણપોષણનો કેસ કરતા તું આ કેસ પાછો ખેંચી લેજે નહીંતર સારાવટ નહીં રહે તેમ કહી ધમકી આપી હતી.આ અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.


મૂળ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની વતની અને હાલ જેતપુરમાં રહેતી દિવ્યાબેન (ઉ.વ 27) નામની પરિણીતાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામોદ ગામે રહેતા પતિ અનિલ વિનોદભાઈ રાઠોડ, સસરા વિનોદભાઈ રાઠોડ, સાસુ હંસાબેન, જેઠ મયુર, જેઠાણી અલ્પાના નામ આપ્યા છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તા. 7/2/2018 ના અનિલ રાઠોડ સાથે થયા હતા.લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. લગ્ન બાદ શરૂઆતના બે ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ ઘરના નાના-મોટા કામકાજ બાબતે પતિ સહિતના સાસરીયાઓ ઘરકંકાશ કરવા લાગ્યા હતા અને ઝઘડો કરતા હતા. તેમજ મેણાટોળા મારી ગાળો આપતા હતા અને કહેતા હતા કે, તારા પિયરમાંથી તું કંઈ કામ શીખીને આવી નથી તને કંઈ આવડતું નથી તારા બાપે તને કંઈ શીખડાવ્યું નથી તેમ કહી મેણાટોણા મારતા હતા. જેઠ અને જેઠાણી દીકરીના જન્મ વખતે નાની નાની બાબતોએ ઝઘડો કરતા હતા તથા સાસુ સસરા પણ ગાળો આપી કહેતા હતા કે અમારે તો હવે તું જોઈતી જ નથી. તું તારા બાળકોને લઈને જતી રહે અને તાળીઓ પાડીને તારૂ અને તારા બાળકોનું પૂરું કરજે. જેઠ મયુર પણ કહેવા લાગ્યો હતો કે, અમારે હવે તારીખે તારા બાળકોની કોઈ જરૂર નથી તું અનિલને છૂટાછેડા આપી દે તેમ કહી મેણાટોણા મારતા હોય પતિ અને લગ્નજીવન દરમિયાન અવારનવાર ગાળો આપી મારકૂટ કરતો હતો અને કહેતો હતો કે, મારે તારી કંઇ જરૂર નથી તું અને તારા બાળકો લઈને તારા માવતર જતી રહેજે. મારૂ કોઈ કશું બગાડી નહીં લે તેમજ પતિ અવારનવાર દવા પીવાની ધમકી આપી માવતર પક્ષને ખોટા ગુનામાં ફીટ કરી દેવાનું કહેતો હતો તેમજ અવારનવાર ઢીકાપાટુનો માર મારતો હતો.


11 માસ પૂર્વે પરિણીતા તથા તેના બંને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારથી પરિણીતા અહીં માવતરના ઘરે ઓશીયાળુ જીવન પસાર કરે છે જેથી તેને કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો જેની મુદત તારીખ 1/4 ના જેતપુર કોર્ટમાં હોય તે મુદતમાં પતિ આવ્યો ન હતો અને સીધો ઘરે આવી ઝઘડો કરી કહેવા લાગ્યો હતો કે, તું કોર્ટમાંથી ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેજે નહીંતર સારાવટ નહીં રહે તેમ કહી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ આ મામલે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application