૨૩૮ કરોડના કામ મંજૂર, સફાઇના નામે કડદો પકડતા ચેરમેન

  • March 07, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં કુલ રૂા.૨૩૮.૪૯ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. એજન્ડામાં રહેલી કુલ ૫૭ દરખાસ્તોમાંથી ૫૫ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. જયારે અન્ય બે દરખાસ્તોમાં સફાઇના નામે કડદો કરવાનો ઇરાદો જણાતા ચેરમેને આ ઇરાદો પકડી પાડયો હતો અને એક દરખાસ્તમાં કોન્ટ્રાકટ આપવાનું ફગાવ્યું હતું અને દરખાસ્ત મંજુર કરી હતી. જયારે બીજી દરખાસ્તમાં કચરાની હેરફેર માટે નવું વાહન ખરીદાય જાય તેટલા રૂપિયા ૫૫ લાખના ભાડેથી વાહન લેવાનું નામંજૂર કયુ હતું. સફાઇના નામે આ બન્ને દરખાસ્તો ગળકાવી દેવાનો ખેલ નાકામિયાબ થયો હતો જેનાથી મહાપાલિકા તંત્રને વાર્ષિક રૂપિયા સવા કરોડનો ફાયદો થયો હતો અને આ ગણતરી મુજબ દ્રિવાર્ષિક કોન્ટ્રાકટની ઉપરોકત બન્ને દરખાસ્ત નામંજુર કરતા બે વર્ષ મુજબ કુલ અઢી કરોડની બચત થઇ હતી.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, મહાપાલિકાની લાયબ્રેરીઓમાં સફાઇ માટે કુલ ૩૩ સફાઇ કામદારોનો દ્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવા અને તે પેટે રૂા.૭૪ લાખનો ખર્ચ મંજુર કરવા દરખાસ્ત રજૂ કરાઇ હતી. સમગ્ર શહેરની સફાઇ મહાપાલિકાના સફાઇ કામદારો દ્રારા કરાય છે ત્યારે લાયબ્રેરીની સફાઇ માટે અલગથી સફાઇ કામદારની શું જરૂર હોય? તેમ જણાતા ઉંડાણપૂર્વક આ દરખાસ્તનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને અભ્યાસના અંતે આ દરખાસ્ત મંજુર કરાઇ હતી પરંતુ ૭૪ લાખના ખર્ચે કોન્ટ્રાકટ આપવાનું નામંજૂર કરાયું હતું. મહાપાલિકાના સફાઇ કામદારો જ લાયબ્રેરીમાં સફાઇ કરવા માટે જાય તેવું મંજૂર કરાયું હતું. કોન્ટ્રાકટ આપવાનું નામંજુર કરતા મહાપાલિકાને ૭૪ લાખનો ફાયદો થશે. આ ઉપરાંત નાકરાવાડી લેન્ડ ફીલ સાઇટ ખાતેથી કચરાની હેરફેર માટે ક્રાઉલર ડોઝર પ્રકારનું વાહન રૂા.૫૫ લાખના ભાડેથી લેવાની દરખાસ્ત હતી જે અંગે તપાસ કરતા આટલી રકમમાં તો મહાપાલિકા વાહન ખરીદી શકે તેમ જણાતા આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી

સર્વેશ્ર્વર ચોકના વોંકળામાં વધુ ૧.૮૩ કરોડના ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ
સર્વેશ્ર્વર ચોકમાં વોંકળાના નવા સ્લેબનું કામ ચાલી રહ્યું છે તેમાં અગાઉ ચારેક કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો ત્યારબાદ વધુ ૧.૮૩ કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે દરખાસ્ત આવી હતી. આ દરખાસ્તમાં કયા કારણોસર ખર્ચમાં વધારો થયો તેનું કોઇ જસ્ટીફીકેશન નહીં જણાતા હાલના તબકકે અભ્યાસ અર્થે આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. કયા કારણોસર ખર્ચ વધે તેમ છે તેની સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ જ દરખાસ્ત મંજૂર કરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application