કોણ છે એ ઈરાની જેની જાણકારી આપનારને અમેરિકા આપશે 167 કરોડનું ઈનામ?

  • September 27, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણીવાર આપણે સાંભળતા હોય કે આરોપીની ધરપકડ થાય તેવી માહિતી આપનાર વ્યક્તિ માટે 1 લાખ-2 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવે છે પરંતુ વિચારો કે વ્યક્તિનો ગુનો કેટલો મોટો હશે તેના પર 1-2 લાખ રૂપિયાના બદલે 167 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે .


અમેરિકાએ હાલમાં જ ઈરાની વ્યક્તિ પર 167 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાનો આરોપ છે કે આ વ્યક્તિએ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.


કોણ છે આ આરોપી?


ઈરાનના જે વ્યક્તિની અમેરિકા શોધ કરી રહ્યું છે તેનું નામ શાહરામ પોરસાફી છે. અમેરિકાએ IRGC સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. શાહરામ પોરસાફી આ સંસ્થાના સભ્ય છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે  શાહરામ પોરસાફી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ-કુદ્સ ફોર્સ (IRGC-QF) વતી હત્યાના કાવતરામાં કામ કરી રહ્યો છે.


ગુનો શું છે?


અમેરિકાએ ઈરાની વ્યક્તિ પર તેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનને નિશાન બનાવીને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે વ્યક્તિની ધરપકડ કરવા બદલ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.


અમેરિકાએ ગઈકાલે શાહરામ પોરસાફી વિરુદ્ધ અચાનક આ નોટિસ જારી કરી. કારણકે રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના જીવને ઈરાનથી મોટો ખતરો છે. આ ઉપરાંત  મનમાં એ પ્રશ્ન થાય કે ઈરાની વ્યક્તિએ કથિત રીતે ટ્રમ્પના સલાહકાર બોલ્ટનને શા માટે નિશાન બનાવ્યા તો તેની પાછળનું કારણ એ છે કે બોલ્ટન વિદેશ નીતિના માસ્ટર હતા અને તેઓ ઈરાનના ટીકાકાર છે.


2.5 કરોડના બદલામાં હત્યાનું કાવતરું


અમેરિકાનું કહેવું છે કે ઈરાની શાહરામ પોરસાફી બોલ્ટનની હત્યામાં કથિત રીતે સામેલ હતો અને તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. શાહરામ પોરસાફીએ આશરે રૂ. 2.5 કરોડના બદલામાં ઓક્ટોબર 2021 અને એપ્રિલ 2022 વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા સલાહકાર બોલ્ટનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.


યુ.એસ. અનુસાર ઈરાની વ્યક્તિએ સલાહકાર બોલ્ટન વિરુદ્ધ આ ષડયંત્ર રચ્યું હતું. જ્યારે તેણે 2018 અને 2019 વચ્ચે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કર્યું હતું. શાહરામ પોરસાફી પર આરોપ છે કે હત્યાના કાવતરાની યોજનામાં હથિયારો મળી આવ્યા હતા.


વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર


યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ઈરાની શાહરામ પોરસાફી વિરુદ્ધ 5 ઓગસ્ટ, 2022ના રોજ આરોપો દાખલ કર્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો હતો. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 1 જૂન, 2023 ના રોજ પોરસાફીને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કર્યો હતો. વૈશ્વિક આતંકવાદી જાહેર થયા બાદ પોરસાફી અમેરિકામાં કોઈપણ પ્રકારની મિલકત ખરીદી શકતો નથી અને અમેરિકન નાગરિકો સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરી શકે નહિ. જો તે દોષી સાબિત થાય છે, તો પોરસાફીને 10 વર્ષ સુધીની જેલ અને $500,000 થી વધુનો દંડ થઈ શકે છે.

ઈરાને શું કહ્યું?


અમેરિકાનું કહેવું છે કે જાન્યુઆરી 2020માં અમેરિકાએ ઈરાકમાં કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી, જેના પછી ઈરાને બોલ્ટનની હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો પરંતુ આ પ્લાન પૂરો થઈ શક્યો ન હતો. કારણકે હત્યારો ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન માટે બાતમીદાર બની ગયો હતો. અમેરિકાના આ આરોપો પર ઈરાનની ટિપ્પણી પણ સામે આવી છે. ઈરાને અમેરિકાના આ આરોપોને કાલ્પનિક ગણાવીને ફગાવી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application