સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે? સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલે કેમ આ એક્ટ હેઠળ કર્યા લગ્ન?

  • June 26, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બોલિવૂડમાં થતા લગ્ન હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ફિલ્મ સ્ટાર્સ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની સાથે એક ખાસ એક્ટની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણકે અલગ-અલગ ધર્મના કારણે બંનેએ કોઈ પણ ધર્મના રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે.


કેટલીકવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યાં લોકો તેમની પસંદગીના ધર્મ અથવા જાતિની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. આવા કિસ્સાઓમાં સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે?


સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 એ લોકોને ભારતમાં લગ્ન કરવાનો કાયદેસર અધિકાર આપે છે. જેઓ તેમના પોતાના જીવનસાથીની પસંદગી કરે છે, તેમના ધર્મ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના. આ કાયદો આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિ લગ્નોને સરળ અને કાનૂની માન્યતા પ્રદાન કરે છે.


સોનાક્ષી સિંહાએ કાયદેસર લગ્ન કેમ કર્યા?


જ્યારે સોનાક્ષી સિન્હાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેના ધર્મને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ભાજપના સાંસદ પિતા શત્રુઘ્ન સિંહા પણ શરૂઆતમાં આ સંબંધ અને લગ્નના નિર્ણયથી નારાજ દેખાતા હતા. સતત સવાલો ઉઠી રહ્યા હતા કે શું સોનાક્ષી સિન્હા પોતાનો ધર્મ બદલશે? ત્યારે સોનાક્ષી અને ઝહીરે મધ્યમ માર્ગ પસંદ કર્યો અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી લીધા. જે બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોનાક્ષી સિંહા પોતાનો ધર્મ નહીં બદલે.


જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન કરવાનો કાયદો


આ કાયદા હેઠળ કોઈપણ ધર્મ અથવા જાતિની વ્યક્તિને કોઈપણ અન્ય ધર્મ અથવા જાતિની વ્યક્તિ સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા છે. આ અંતર્ગત લગ્ન કરવાની પ્રક્રિયા સરળ છે. તેને કોઈ ધાર્મિક વિધિની જરૂર નથી. આ કાયદા હેઠળ લગ્ન કરવા માટે વરની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને કન્યાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.


લગ્નના એક મહિના પહેલા નોટિસ આપવી જરૂરી


જો કોઈ યુગલ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા ઈચ્છે છે, તો તેણે જિલ્લા લગ્ન અધિકારીને 30 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. ઉપરાંત લગ્નની નોંધણી કરાવવી જરૂરી છે. આ પછી લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.


સ્પેશિયલ મેરેજ એક્ટનું મહત્વ


આ કાયદો જાતિ અને ધર્મના આધારે ભેદભાવ ઘટાડવામાં મદદ કરે છે અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપે છે. આ અંતર્ગત વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. આ કાયદા હેઠળ લગ્ન કરનાર યુગલને તમામ કાયદાકીય અધિકારો પણ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application