ઔરંગઝેબની કબર દૂર કરો: ભાજપ, કોંગ્રેસ, શિવસેના, એમએનએસ અને શિવાજીના વંશજોનો એક જ સુર

  • March 10, 2025 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણીએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કોંગ્રેસ, શિવસેના, એમએનએસ બધાએ સર્વાનુમતે તેને ટેકો આપ્યો છે.


મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે પણ ઔરંગઝેબની કબર દૂર કરવા માંગીએ છીએ પરંતુ તે એક સુરક્ષિત સ્થળ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) તરફથી રક્ષણ મળ્યું હતું. આનો જવાબ આપતાં કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દર વખતે કોંગ્રેસને દોષ આપવો યોગ્ય નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પોતાનો નિર્ણય જાતે લેવો જોઈએ.


શિવેન્દ્રરાજે ભોંસલેએ આ મુદ્દે સ્પષ્ટતા કરી, ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં ન રહેવી જોઈએ. આમાં કોઈને ખોટું લાગવા જેવું કંઈ નથી. આ સાથે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાલા નંદગાંવકરે આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે શિવાજી મહારાજને પરેશાન કરનારા અને સંભાજી મહારાજની હત્યા કરનારા ઔરંગઝેબની કબરની કોઈ જરૂર નથી. તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવું જોઈએ.


અબુ આઝમીએ ઔરંગઝેબનો બચાવ કરતા કહ્યું હતું કે હું 17મી સદીના મુઘલ સમ્રાટ ઔરંગઝેબને ક્રૂર, જુલમી કે અસહિષ્ણુ શાસક માનતો નથી. આજકાલ ફિલ્મો દ્વારા મુઘલ સમ્રાટની વિકૃત છબી બનાવવામાં આવી રહી છે.


જોકે, આ નિવેદન પછી રાજકારણ ગરમાયું હતું, ત્યારે અબુ આઝમીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે હું શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરુદ્ધ બોલવાનું વિચારી પણ શકતો નથી. અબુ આઝમીએ કહ્યું કે મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ઔરંગઝેબ વિશે, મેં ફક્ત તે જ કહ્યું છે જે ઇતિહાસકારો અને લેખકોએ કહ્યું છે. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષ વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી.


તેણે કહ્યું કે હું એટલો મોટો નથી. મેં જે કંઈ કહ્યું તે ખરેખર કેટલાક ઇતિહાસકારોનું નિવેદન હતું. જો મારા આ નિવેદનોથી કોઈને દુઃખ થયું હોય, તો હું બિનશરતી માફી માંગુ છું અને મારું નિવેદન પાછું લઉં છું. ઔરંગઝેબ પરની ટિપ્પણી બદલ મહારાષ્ટ્રના થાણેમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.


રાવણ પછી ઔરંગઝેબ સૌથી મોટો દુષ્ટ હતો: ભાજપના નેતા

ભાજપના નેતા સુધીર મુંગંટીવારે કહ્યું મેં અફઝલની કબર પરથી અતિક્રમણ દૂર કર્યું હતું, તો આ મુદ્દા પર મારો અભિપ્રાય કેવી રીતે અલગ હોય શકે? મહા વિકાસ ઘાડી સરકાર કબરને જાળવી રાખવા માંગતી હતી, જ્યારે અમારી સરકાર તેને દૂર કરવાના પક્ષમાં છે. ઔરંગઝેબ જેવા આક્રમણખોરનો મહિમા ન થવો જોઈએ. રાવણ પછી તે સૌથી મોટો દુષ્ટ હતો. શિવસેનાના નેતા શંભુરાજે દેસાઈએ કહ્યું કે અમારી સરકાર ઔરંગઝેબની કબર દૂર કરવાના પક્ષમાં છે. મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓ આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application