ફરી અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહો, કાલથી પાંચ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારાની ચેતવણી

  • March 29, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે દિવસ પહેલા રાજકોટ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 થી 90 % આસપાસ પહોંચી ગયા પછી ગઈકાલે તેમાં જોરદાર ઘટાડો થયો હતો અને આજે બીજા દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને સાવ સામાન્ય થઈ ગયું છે. આજે રાજકોટમાં 19 કંડલામાં 28 ઓખામાં 35 વેરાવળમાં 38 દમણમાં 28 સુરતમાં 35 પોરબંદરમાં 18 ટકા ભેજ સવારે નોંધાયો હતો.


પવનની દિશા બદલાવાના કારણે સવારે વાતાવરણમાં થોડી ઠંડક હતી પરંતુ સૂર્યોદય થતાની સાથે જ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આજથી પાંચ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે એવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 37.6 વેરાવળમાં 36.6 અમરેલીમાં 36.5 ભાવનગરમાં 35.2 ભુજમાં 35.6 દ્વારકામાં 34.7 જામનગરમાં 32.4 કંડલામાં 36.4 નલિયામાં 35.5 ઓખામાં 30.4 અને પોરબંદરમાં 36.4 ડીગ્રી નોંધાયું હતું.


ગુજરાત ઉપરાંત તમિલનાડુ, પુડીચરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી તારીખ એક એપ્રિલ સુધી ગરમીના વાતાવરણ માટે યલો એલર્ટ લંબાવવામાં આવ્યું છે.


અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફના કારણે તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક કોંકણ ગોવા સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં વરસાદ પડી રહ્યો છે. આસામમાં સાયકલોનિક સર્ક્યુલેશન હોવાથી આસામ અરુણાચલ પ્રદેશ સહિતના પૂર્વોતરના રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application