વેરાવળ: હિરણ-૨ ડેમનાં બકેટ વિસ્તારમાં મરામત વખતે ૪ ટ્રેકટરો પાણીમાં ધસી ગયા

  • March 20, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલ હિરણ-૨ ડેમના બકેટ વિસ્તારમાં મરામત કામગીરી વખતે ચાર ટ્રેકટરો પાણીમાં ધસી જવાની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલ હિરણ-૨ સિંચાઈ યોજના ડેમના દરવાજા ખોલતા જે પાણીનો ધોધ પડે છે તે બકેટ વિસ્તારમાં પાણીના ધોધના કારણે થયેલ નુકસાનીનો અંદાજ લગાવવા અને તેનું મરામત કામ કરાવવા અર્થે સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બકેટ વિસ્તારમાંથી પાણી ઉલેચવા માટે ૧૮થી વધુ ટ્રેક્ટરો દ્વારા પંપિંગ મશીન મૂકી પાણીને ઉલચવાની કામગીરી છેલ્લા  એકાદ સપ્તાહથી ચાલી રહી છે. દરમ્યાન જે જગ્યા પર ટ્રેક્ટર પાર્ક કરેલા હતા તે ભેખડ નીચેથી ધસી જતા ચાર ટ્રેક્ટર પાણીમાં ધસી ગયા હતા. જો કે કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાયો ન હતો અને કોઈ જાનહાની પણ થયેલ ન હતી જે ટ્રેક્ટરો પાણીમાં ધસી ગયા હતા તેને ક્રેન મારફતે બહાર કાઢવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. 

હાલ કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થયેલ નથી માત્ર જમીન ધસી જવાના કારણે ચાર જેટલા ટ્રેક્ટર પાણીમાં ધસી જતા માત્ર ટ્રેકટરોમાં સામાન્ય નુકસાની થયેલ હોવાનું જાણવા મળેલ છે. અચાનક થયેલ અકસ્માતના પગલે ઘડીભર સ્થળ ઉપર ઉત્તેજના પ્રસરી ગઈ હતી પરંતુ કોઈ જાનહાનિ ન થયાનું માલુમ પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application