જામનગર આરોગ્ય વિભાગ દ્વારા માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી ૮ બાળકોનું રસીકરણ

  • June 19, 2024 10:03 AM 

સરકાર દ્વારા ૦-૨ વર્ષના બાળકોને બાળ ક્ષય, લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી ની વિનામૂલ્યે રસી અપાય છે


રાજ્યના તમામ જિલ્લાઓમાં  આવેલા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો  પર લોકોને આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં માટે રાજ્ય સરકારના વિવિધ પ્રોગ્રામ તેમજ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તે અંતર્ગત જામનગર જિલ્લાના વિસ્તારો જેમાં દરેડ ખોલી વિસ્તાર, ચેલા પટી ઝુંપડપટ્ટી વિસ્તાર,  ચેલા ગામ, દડિયા નારાણપુર ઈંટનો ભઠ્ઠી વિસ્તારમા પોતાના બાળકોનું રસીકરણ કરાવવા માટે સહમત ન હોય તેવા પરિવારના ઘરે જઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૮ બાળકોના માતા-પિતાને રસીકરણ અંગેની ગેરમાન્યતા દુર કરી સાચી સમજણ આપી તેઓ સહમત થતા સ્થળ પર જ ૮ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 


સમગ્ર રાજ્યમાં તમામ નાગરિકો માટે વિનામૂલ્યે રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે. માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ શિબિરો કરી લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. રસીકરણ કાર્યક્રમ હેઠળ ૦ થી ૨ વર્ષ સુધીનાં બાળકોને છ પ્રાણઘાતક રોગો જેવાકે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી વગેરે સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવે છે. પ્રસુતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે. પરંતુ રસીકરણ અંગે વિવિધ અફવાઓ, લોકોની જૂની ગેરમાન્યતાઓને કારણે લોકો તેમના બાળકોનું રસીકરણ કરાવતા નથી.


તેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જીગ્નેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના  પ્રવીણ પટેલના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી  ચિરાગ પરમાર, એફ.એચ.એસ કાજલબેન રાવલીયા, એફ.એચ.ડબલ્યુ હેતલબેન અને  અમીરુનબેન દ્વારા રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application