આવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારાય

  • May 09, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આવતીકાલથી સામાન્ય માણસનું જીવન થોડું બદલાઈ શકે છે. યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટએ લોકોનું જીવન સરળ બનાવ્યું છે પણ આવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં નહી આવે માટે લોકોને મુશ્કેલી થઇ શકે. પેટ્રોલ પંપ માલિકોએ યુપીઆઈ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પૈસા ન સ્વીકારવાની જાહેરાત કરી છે.


ડિજિટલ પેમેન્ટ દ્વારા વધતી જતી સાયબર છેતરપિંડીને કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ માલિકો અને સંસ્થાઓએ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ, આ શહેરોમાં પેટ્રોલ પંપ ફક્ત યુપીઆઈ દ્વારા ચુકવણી સ્વીકારવાનું બંધ નથી કરવાના પણ તેઓએ આવતીકાલથી કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરવાની પણ ધમકી આપી છે.


વિદર્ભ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે સાયબર છેતરપિંડીના વધતા જતા કેસોને કારણે પેટ્રોલ પંપ માલિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે તેમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. છેતરપિંડી કરનારાઓ લોકોના કાર્ડ અથવા નેટ બેંકિંગ હેક કરે છે અને તેનો ઉપયોગ કરીને ચુકવણી કરે છે. પછી જ્યારે કોઈ આ બાબતે ફરિયાદ કરે છે ત્યારે પોલીસ ટ્રાન્જેક્શન કેન્સલ કરાવી દે છે.


ફેડરેશન ઓફ ઓલ મહારાષ્ટ્ર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું કહેવું છે કે આવી સાયબર છેતરપિંડીને કારણે ઘણા પેટ્રોલ પંપ માલિકોના ખાતા સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા છે. આના કારણે, એક તરફ તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ બાકીની ચુકવણી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.


નાસિકના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે. અહીં, એસોસિએશનના પ્રમુખ વિજય ઠાકરેએ જણાવ્યું હતું કે તેમને આ સંદર્ભમાં ઘણા પેટ્રોલ પંપ માલિકો તરફથી ફરિયાદો મળી છે. તેમના ડિજિટલ ટ્રાન્જેક્શન રદ કરવામાં આવે છે અને બાદમાં તેમના ખાતા બ્લોક કરવામાં આવે છે.


વિજય ઠાકરે કહે છે કે પહેલા આ રકમ ખૂબ ઓછી હતી, તેથી ઘણીવાર પેટ્રોલ પંપ માલિકો તેના પર ધ્યાન આપતા નહોતા પરંતુ હવે આવી ઘટનાઓ વધી રહી છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ અંગે ફેડરેશન ઓફ ઓલ મહારાષ્ટ્ર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અમિત ગુપ્તા કહે છે કે સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ માલિકો હવે યોગ્ય કાર્યવાહીની ખાતરી મળ્યા પછી જ ડિજિટલ પેમેન્ટ શરૂ કરશે. હવે મહારાષ્ટ્ર પેટ્રોલ પંપ એસોસિએશન આ નિર્ણયનો અમલ કરવા જઈ રહ્યું છે. કારણ કે આજના સમયમાં સાયબર છેતરપિંડી ખરેખર એક મોટી સમસ્યા બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application