ખંભાળિયાના બે પીઢ સેવાભાવી આગેવાનોના હાર્ટ એટેકથી મોત

  • December 01, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘેરા શોકની લાગણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં હૃદય રોગના હુમલાના વધતા જતા બનાવોના કારણે લોકોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ખંભાળિયા શહેરમાં રહેતા બે સેવાભાવી અગ્રણીઓના ગઈકાલે હૃદયરોગના જીવલેણ હુમલાના કારણે મૃત્યુ થયાના બનાવ સામે આવ્યા છે.
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા, લાયન્સ ક્લબના સક્રિય કાર્યકર તેમજ શારશ્વત બ્રહ્મ સમાજના અગ્રણી, રેલવે સલાહકાર સમિતિમાં વર્ષો સુધી સેવા આપેલ આપી ચૂકેલા તેમજ પોલીસ સલાહકાર સમિતિના સદસ્ય મહેન્દ્રભાઈ જોશી (ઉ.વ. ૮૧) ગઈકાલે રાત્રે બસમાં વડોદરા ખાતે તેમની પુત્રી પાસે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.
આ ઉપરાંત અહીંના જાણીતા શ્રી ખામનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તેમજ વણિક અગ્રણી હેમેન્દ્રભાઈ (હેમતભાઈ) વાલજીભાઈ ધ્રુવ (ઉ.વ. ૬૯) ને પગમાં થાપાના હાડકાનું ઓપરેશન કરવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું બ્લડપ્રેશર લો થઈ જતા તેમને પેરેલીસિસનો એટેક તથા હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. જેથી જામનગર ખાતે તેમનું અવસાન થયું હતું.
જિલ્લાના પીઢ સેવાભાવી કાર્યકરોના અકાળે થયેલા અવસાનથી સમગ્ર બ્રહ્મ સમાજ અને વણિક સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application