મોટી માટલી પાસે બે બાઇક અથડાતા બે વ્યકિતના મોત

  • January 15, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપરમાં દિવસે ગોઝારો અકસ્માત : બે દિવસમાં ચાર એકસીડન્ટ: લતીપર રોડ પર વાહનની ઠોકરે અજાણ્યા યુવાનનો ભોગ લેવાયો : ખડધોરાજી પાસે કાર-બાઇક અકસ્માતમાં બે યુવાન ઘાયલ : વામ્બે આવાસ પાસે બાઇકની હડફેટે મહિલાને ફ્રેકચર

જામનગર જિલ્લામાં વાહન અકસ્માતના જુદા જુદા ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયાછે જેમાં ત્રણ વ્યકિતના મૃત્યુ થયા છે અને ત્રણને ઇજા થઇછે.  જેમાં કાલાવડ પંથકમાં મકરસંક્રાંતિના સપરમાં દિવસે ગોઝારો અકસ્માત બન્યો હતો, મોટી માટલી નજીક એકટીવા અને બાઈક સામસામે અથડાઈ પડતાં બંને વાહન ના ચાલકોના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જયારે ધ્રોલના લતીપર રોડ પર વાહનની ઠોકરે અજાણ્યા પુરુષનો ભોગ લેવાયો હતો, ખડધોરાજી બસ સ્ટેન્ડ પાસે કારે બાઇકને ઠોકર મારતા બે યુવાન ઘવાયા હતા અને જામનગરના વામ્બે રોડ પર બાઇક ચાલકે મહિલાને હડફેટે લઇને ઇજા પહોચાડી હતી.
જામનગરમાં રહેતા રામજીભાઈ નરસીભાઈ વસોયા ગઇકાલે હરીપર ગામે પોતાના સંબંધીને ત્યાં પ્રસંગના કામે ગયા હતા, અને ત્યાંથી પોતાનું મોટરસાયકલ  નં. જીજે૧૦એએ-૯૨૧૫ લઈને જામનગર પરત આવવા માટે નીકળ્યા હતા.
જે દરમિયાન ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે બપોરના સમયે મોટી માટલી ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલા જીજે૧૦સીજે-૯૦૨૯ નંબરના એકટીવાના ચાલકે પોતાનું વાહન બાઈક સાથે અથડાવી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક રામજીભાઈ નરશીભાઈ વસોયા તેમજ એકટીવા સ્કૂટરના ચાલક જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા આશિષ દિનેશભાઈ દોલતાણી કે જે બન્નેને ગંભીર ઇજાઓ થઈ હતી, અને બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક રામજીભાઈના ભત્રીજા હરીપર ગામે રહેતા સાગર રમેશભાઈ વસોયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો છે, જ્યારે સાગર વસોયાની ફરિયાદના આધારે એકટીવા સ્કુટરના ચાલક આશિષ સામે બેદરકારી પૂર્વક વાહન ચલાવવા અંગે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતને લઈને બંને મૃતકોના પરિવારમાં ભારે કરુણાંતીકા છવાઇ હતી.
બીજા બનાવમાં ધ્રોલ-ટંકારા હાઇવે હરિપર ગામ નજીક ગત તા. ૧૨ના રોજ અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોડની સાઇડમાં ચાલીને જઇ રહેલા ૩૫ થી ૪૦ વર્ષના અજાણ્યા પુરુષને હડફેટે લઇ ઇજા પહોચાડતા પ્રથમ ધ્રોલ સરકારી હોસ્પીટલમાં અને ત્યાર બાદ જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે હરિપર ગામમાં રહેતા ભીખુ નાનજીભાઇ ભંડેરીએ ધ્રોલ પોલીસમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી, પોલીસ દ્વારા ફરીયાદ આધારે ઓળખ મેળવવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.
અન્ય એક બનાવમાં કાલાવડના નિકાવા ગામ ખાતે રહેતા આકાશ સુરેશભાઇ સોલંકી (ઉ.વ.૨૭) એ બે દિવસ પહેલા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં હેરીયર ફોરવ્હીલ કાર નં. જીજે૩એનએફ-૧૫૫૬ના ચાલક રાજકોટના પ્રેમચંદ પટેલની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીએ તેના હવાલાવાળી કાર બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી ફરીયાદીની બાઇકને ખડધોરાજી બસ સ્ટેન્ડ પાસે પાછળથી હડફેટે લઇને અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીને શરીરે મુંઢ ઇજા તથા જય કિશનભાઇ રાઠોડ (ઉ.વ.૧૭) ને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોચાડી હતી.
વધુ એક બનાવમાં જામનગરમાં રાજીવનગર કોલોનીમાં રહેતા સવિતાબેન કનુભાઇ રાઠોડ ગત તા. ૧૩ના રોજ ચાલીને વામ્બે આવાસ રોડ પર પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ નં. જીજે૧૦એએફ-૫૩૫૨ના ચાલકે બેદરકારીથી ચલાવીને ફરીયાદીની સાથે ભટકાડી પછાડી દઇ શરીરે ફ્રેકચર સહિતની ઇજા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application