પાનવાડીના યુવાનની હત્યાંમાં સંડોવાયેલા બે ઝડપાયા

  • February 14, 2024 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમાં નજીવી બાબતે બે મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હતી, શહેરના નવાબંદર રોડ વિસ્તારમાંથી લાશ મળી આવતા પેનલ પીએમ થતાં રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો. પરિવારની શંકાના આધારે પોલીસે બે મિત્રોની આગવી ઢબે પૂછપરછ કરતાં કબૂલાતમાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો. પોલીસે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.



આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારના અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો ૧૯ વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ ગત ૮ ફેબ્રુઆરી ના રોજ ઘરેથી નીકળ્યા બાદ સમયે પરત નહિ આવતા પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં રામે પોતે મિત્રના ઘરે હોવાની પરિવારને જાણકારી આપી હતી, પરંતુ રાત્રિ થયા બાદ પણ રામ પરત નહિ ફરતા પરિવારે તેના મોબાઈલ પર ફરી સંપર્ક કરવાની કોશિશ કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો, રામ મિત્રના ઘરે ગયો હોવાની વાત ને લઈને પરિવારે એ વાતને સામાન્ય રીતે લીધી હતી, પરંતુ બીજા દિવસે પણ તે ઘરે પરત નહિ ફરતા પરિવાર ને ચિંતા થઈ હતી, વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેનો કોઈ પત્તો નહી લાગતા પરિવારે પોલીસ મથકે પોતાનો દીકરો રામ ભેદી રીતે ગુમ થયો હોવા અંગે ફરિયાદ લખાવી હતી. તારીખ ૧૦ ફેબ્રુઆરી ના રોજ ભાવનગર શહેરના નવાબંદર વિસ્તારમાં કોઈ યુવાનની લાશ પડી હોવા અંગેની કોઈ એ પોલીસને ટેલીફોનીક જાણ કરી હતી. બાતમી મળતા ઘોઘારોડ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ મથકે ગુમ થયા અંગેની વિગતો તપાસી પરિવાર ને જાણ કરવામાં આવી હતી જેમાં આ લાશ બે દિવસ પૂર્વે ભેદી રીતે ગુમ થયેલા રામ ભટ્ટ નામના યુવાનની હોવાનું ખુલતા પોલીસે જાણવાજોગ દાખલ કરી મૃતદેહને પીએમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ પીએમ બાદ રિપોર્ટમાં યુવાનની ગળું દબાવી ને હત્યા કરાઈ હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બનાવમાં 302 ની કલમનો ઉમેરો કરી મૃતદેહ પરિવાર ને સોંપી હત્યારાઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.


શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા મૃતક યુવાન રામ અશોકભાઈ ભટ્ટ ને મુનીદેરી વિસ્તારમાં રહેતા સન્ની હાર્દિકભાઈ ત્રિવેદી અને સુભાષનગર વિસ્તારમાં રહેતા ચેતન ઉર્ફ ડોકટર ગીરધરભાઇ વાઘેલા સાથે મિત્રતા હતી. યુવાન રામ ભટ્ટ ગુમ થયો એ પહેલા પણ તેણે પરિવાર સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં તે તેના મિત્રના ઘરે હોવાની વાત કરી હતી, પરંતુ ત્યાર બાદ દીકરાનો નવાબંદર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા તેના પિતા અશોકભાઈ ભટ્ટે દીકરાની હત્યા પાછળ તેના મિત્રો જ જવાબદાર હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી, જેથી પોલીસે બંને મિત્રોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ મિત્રની હત્યા બાદ લપાઈ છુપાઈ ને રહેતા સન્ની અને ચેતન નામના બંને મિત્રોને ઝડપી લઈ સઘન પૂછપરછ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application