જામનગરના વકીલ હારુન પલેજા હત્યા કેસના બે આરોપીઓ હાઇકોર્ટ દ્વારા જામીન મુક્ત

  • March 10, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના આરોપીઓને મૃતક સાથે દુશ્મનાવટ નહિ હોવાની અને બનાવ વખતે ફરિયાદીની હાજરી નહીં હોવાના મતલબની રજૂઆતો થઈ 


જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરાજાહેર હત્યા નીપજાવવા અંગેના અતિ ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ  સહિતના આરોપીઓ પૈકી બે શખ્સની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે.


આ અંગેની હકીકત મુજબ, જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને એડવોકેટ હારુન પલેજા કે જેઓની બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મિલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજવામાં આવી હતી. એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઈક પર પોતાના ઘેર જઈ રહ્યા હતા, જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેના પર છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાના બનાવમાં  કોર્પોરેટર નૂરમામદ ઓસમાણભાઈ પલેજાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં  કાકા એડવોકેટ હારુન પલેજાની હત્યા નીપજાવવા અંગે 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.


તેમાં બેડી વિસ્તારના બસીર જુસબ સાઈચા, ઈમરાન નૂર મહંમદ સાઈચા, રમજાન સલીમભાઈ સાઈચા, સિકંદર રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુસેન કકકલ, સુલેમાન હુસેન કકકલ, ગુલામ જુસબ સાઈચા, એજાજ ઉંમર સાઈચા, મહેબૂબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા અને સબીર ઓસમાન ચમડીયા સામે ગુનો નોંધ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસે સબીર ઓસમાણ ચમડીયા અને ઉંમર ઓસમાણ ચમડીયા સહિત 11 શખ્સોની ધરપકડ કરી હતી.  આ બનાવના કારણમાં પંચવટી વિસ્તારની  શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયાનું પોલીસમાં જાહેર થયું છે.


દરમિયાન જામનગર સેશન્સ કોર્ટ દ્વારા શબ્બીર ઓસમાણ ચમડીયા અને ઉંમર ચમડીયાની જામીન અરજી રદ કરતા તેમણે હાઇકોર્ટમાં જામીન પર છૂટવા અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં પોલીસના ચાર્જથી તદ્દન વિરુદ્ધની હકીકતો હોવાનું પ્રાથમિક રીતે જણાઇ આવતું હોય, તેમજ  ફરિયાદી બનાવ સ્થળે હાજર હોવાનું જણાઇ આવતું નથી, આરોપીઓને મૃતક સાથે કોઈ દુશ્મનાવટ ન હોવા સહિતની રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે સબીર ચમડીયા અને ઉમર ચમડીયાને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કામમાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સેલર વિરાટ પોપટ અને ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા અને એચ.કે. ચનીયારા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application