ભાણવડ ખાતે રાડિયા પરિવાર દ્વારા ત્રિપુરા માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

  • April 26, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. 4 મે ના રોજ મહાપૂજાના પરંપરાગત કાર્યક્રમો


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે બિરાજમાન રાડિયા પરિવારના કુળદેવી શ્રી ત્રિપુરા માતાજીના દર બારમાં વર્ષ થતી પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં આગામી તારીખ 4 મે ના રોજ અનેકવિધ પરંપરાગત કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક તેમજ દેશ-વિદેશના રાડિયા પરિવારના મોટી સંખ્યામાં કુટુંબીજનો જોડાશે.


સૂર્યવંશી રઘુવંશી લોહારાણા ક્ષત્રિય વંશજ લોહાણા પહેલા નાના રાજ્યો ધરાવતા હતા. એક વચની પ્રભુ શ્રી રામ, વીર દાદા જસરાજ, સિકંદરને માત આપનાર પોરસ, અકબરને માત આપનારા મહારાણા પ્રતાપ પણ સૂર્યવંશી રાજા હતા. આવા શૂરવીર અનેક નુખ ધરાવતા લોહાણા જાતિના અનેક નુખ પૈકી સુરાપુરા શ્રી લાલજી (લાલાઅભા)ના પરિવાર, રાડિયા પરિવાર તરીકે ઓળખ ધરાવે છે. જે કુળદેવી માં શ્રી ત્રિપુરા માતાના, માં શ્રી ભવાનીના ગોઠીઓ છે.


જેઓ શ્રી માં ત્રિપુરા માતાકીની ભાણવડ મુકામે શ્રી ત્રિપુરા મંદિરમા માતાજીનું કળશ સ્વરૂપમાં પરાપૂર્વથી પરંપરા મુજબ પૂજન કરતા આવ્યા છે. પરિવારના પૂર્વજોને મુખ્ય પુરોહિતના આદેશને અનુસરીને આપણે દર અગિયાર વર્ષ પૂર્ણ થયે વૈશાખ સુદ આઠમના રોજ કળશ સ્વરૂપમાં બિરાજમાન માં શ્રી ત્રિપુરાનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાપન સાથે નવચંડી યજ્ઞ કરવાની પરંપરા સૈકાઓથી ચાલી આવે છે.


વર્ષ 2025 ના વૈશાખ સુદ આઠમ રવિવારના તા. 4 મે 2025 ના રોજ આ શુભ દિવસે અગિયાર વર્ષ પૂર્ણ થતા અગાઉની પરંપરા મુજબ માં શ્રી ત્રિપુરા માતાજીની મહાપૂજા ખૂબ જ આનંદપૂર્વક ઉજવવા દેશ-વિદેશમાંથી રાડિયા પરિવારના અનેક સભ્યો આ સુખદ પ્રસંગમાં સહભાગી થવા એકત્રીત થઈ, ખૂબ જ આનંદપૂર્વક ઉજવવા એકત્ર થશે. આ પ્રસંગમાં જોડાવા માટે દરેક રાડિયા, ગાડીત, કામદાર પરિવારજનોને સહૃદય અપીલ કરવામાં આવી છે.


આ ધર્મોત્સવ દરમિયાન માતાજીને પરિવારના પુત્રો, પુત્રીના લગ્ન પ્રસંગ અંગે કુટુંબની માતાએ રાખેલી દૂધની માનતા, માતાજીના પ્રસાદ લેતા પહેલા ભોજનમાં દૂધ ન લેવાની માનતા કાજેના નૈવેદ્ય સ્વરૂપે ગાય માતાના દૂધને પ્રસાદરૂપે ચોખાની ઢગલી ઉપર ચાંદીના કળશમાં ધરાવવામાં આવે છે અને યજ્ઞ પૂર્ણ થયે માતાજીની આરતી બાદ દૂધનો પ્રસાદ ચોખા સાથે પરિવારના દરેક માતા આરોગી, પોતાના સંતાનો સાથે રાખેલી તેમની માનતા પૂર્ણ કરે છે.


સુરાપુરાના તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા અડદના વડા તથા સુરાપુરાને તેમની ગાયોના ધણ બચાવવા કાજે ભાણવડથી પોરબંદર શીતલા ચોક પહોંચી યુદ્ધમાં લડતા શહીદી સમયે તેમને પાણી પીવડાવી, અંતિમ સમયે પોતે પણ શહાદત વહોરી લઈ લીધેલ, તે ખારવી જ્ઞાતિના બહેન કે જેને સુરાપુરાએ પોતાની બહેન તરીકે સંબોધ્યા હતા, તેવી બહેનની શહાદતને યાદ રાખવા માટે આજે પણ પરિવારના દરેક સભ્યો તેમને ખારવી ફૂઈ તરીકે તેમની માતાજી મંદિરે ડેરીમાં સ્થાપન કરી તેમની પૂજા કરે છે અને મહાપૂજાના દિવસે તેમના માનમાં ખીચડી પ્રસાદ સ્વરૂપે ધરાવી, પ્રસાદ તરીકે પરિવારના દરેક સભ્યો ભાવપૂર્વક આરોગી, ધન્યતા અનુભવે છે.


સુરાપુરાની ખાંભી હાલ ભાણવડના નગર ગેઈટ તથા પોરબંદર શિતળા ચોક ખાતે આવેલી છે. જેની પરિવાર દ્વારા નિયમિત પૂજા થતી રહે છે. આ શુભ પ્રસંગ કુળદેવી માં શ્રી ત્રિપુરા માતાજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાપન, માતાજી પ્રત્યે પરિવારની આસ્થા દર્શાવવા કાજે પવિત્ર હોય છે.


આ ભવ્ય મહાપૂજાની પૂર્વસંધ્યાએ શનિવાર તા. 3 મે ના દિવસે બહારથી આવતા રાડિયા પરિવારના સભ્યોને અહીં ઉતારો આપવા તેમજ ભાણવડ અને બહારથી આવેલા તમામ પરિવારજનોને માટે ભોજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થા તેમજ દિવસ દરમિયાન મહાપૂજા મહોત્સવમા કળશ સ્થાપન, હવન તથા આરતી માટે સહાયક યજમાન પદે ભાગ લેવા ન્યોછાવર લઈને લક્કી ડ્રોનું આયોજન અને ત્યાર બાદ શનિવારે રાત્રે બાળાઓ દ્વારા સ્વાગત, માતાજીના ગીતો ત્યાર બાદ દાતાઓ, મહેમાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત સન્માન કરવામાં આવશે. આ સાથે માતાજીના નવા મંદિરના નિર્માણ અંગેની ચર્ચા સહિતના આયોજનો માટે પરિવારના કાર્યકરો, હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવી રહ્યા છે. સુરાપુરા અને શ્રી ખારવી ફુઈની સહાદતને યાદ રાખી તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા મહાપૂજાનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application