વૃક્ષારોપણ અને તેનું જતન ફકત્ત વિશ્વ પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ નિરંતર રહેવું જોઇએ...

  • June 01, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સદભાવના ગૃપ-જામનગરની અપીલ: હજુ વધુ ગરમી સહન ન કરવી હોય તો, જાગી જાવ, વૃક્ષ વાવો અને તેનું જતન કરો, નહીંતર... નવી પેઢી ઓક્સીજનના બાટલા ઉપર નભશે...!

સમગ્ર દેશ સહિત જામનગરમાં પણ આ વખતની ભયંકર અને અસહ્ય ગરમીને સૌ કોઇ તોબા પોકારી ઉઠ્યા છે અને તેમાં પણ નિષ્ણાંતોના મતે તો આવી ભયાનક ગરમી તો ફકત્ત ટ્રેલર છે અને આવનારા વર્ષોમાં આથી પણ વધારે ગરમી પડશે અને તેને સહન કરવી જ પડશે, ત્યારે આગામી તા.5મી જૂનના રોજ ઉજવતા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ને અનુલક્ષીને જામનગરના સદભાવના ગૃપ અને તેના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજા દ્વારા અપીલ કરાઇ છે કે, હાલમાં હયાત અને નવા રોપાતા વૃક્ષોનું જતન ફકત્ત વિશ્ર્વ પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ નિરંતર રહેવું જોઇએ અને આવું થશે તો જ આપણે આપણી આવનારી પેઢીને કુદરતી પ્રકોપથી બચાવી શકીશું. આવનારી પેઢી ઓક્સીજનના બાટલા ઉપર ન નભે અને તેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે તો ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે વૃક્ષ વીવીશું અને તેનું જતન કરીશું...


હાલની આકરી અને ભયંકર ગરમી વિષે વાત કરીએ તો, હાલના પ્રદુષણના કાર્બનના થરથી ગરમી વધતી જાય છે, આપણે પર્યાવરણનું નિકંદન કરીને સીમેન્ટના જંગલ ઉભા કર્યા પરંતુ તેની સાથે સાથે હરીયાળીના વિકાસને ગણકારતા ભૂલી ગયા હોય તેવું લાગી રહયું છે.


તેથી જ ‘સદભાવના ગૃપ’ દ્વારા અપીલ કરાઇ છે કે, હજુ વધુ ગરમી સહન ન કરવી હોય તો....હવે જાગી જાવ!, હજુ સમય છે,  કુદરતનું આ છેલ્લુ એલાર્મ અને ચેતવણી છે, નહીંતર પૃથ્વી ઉપર પ્રકૃતિનો સોથ વાળ્યો તેમ જ માનવજાતનો સોથ વળશે તેમાં બે મત નથી...


હાલ કાળઝાળ અને અસહ્ય હોય તેવો તાપ આકાશમાંથી વરસાદની જેમ વરસી રહ્યો છે. નદી-સરોવર અને દરીયાનુ પાણી જાણે ખાદ્યતેલની જેમ ઉકળી રહ્યું છે. મનુષ્ય સહિત પશુ-પંખી -જળચર - નભચર તમામ જીવ વ્યાકુળ બની ગયા છે.


તો, આવો ઇશ્ર્વર સ્મરણ સાથે શીતળતા આપતા, પક્ષીઓના આધાર, જમીનનુ ધોવાણ અટકાવતા, ભેજ ને મુળ સુધી જાળવનાર, ફળ-છાયો અને આંખને ટાઢક આપતા વૃક્ષોરોપણ કરીએ અને તેનો કાળજીપૂવર્ક ઉછેર કરીએ. તો જ થોડું-ઘણું માનવજાત સહિત દરેક જીવો માટે કઇંક કર્યાનો સંતોષ થશે અને આજથી જ પરીવાર સહિત વૃક્ષોના છોડ લઇ યોગ્ય જગ્યાએ તેનું રોપણ (વાવી)  અને તેને સુરક્ષિત રાખી દરરોજ પાણી પીવડાવવાના સંકલ્પ લેવાનો આ ઉત્તમ સમય આજ છે.


એક અંદાજ પ્રમાણે હાલારના બંને જીલ્લામાં પચાસ હજારથી વધુ વૃક્ષોના નાશ કરી આપણે રઘવાયા થઇને હાલ આ આકરી ગરમીમાં વૃક્ષનો શિતળ છાયો શોધીએ છીએ અને જો ક્યાંય વૃક્ષ મળે તો તેના છાયડે હાશ થાય છે. કેમ કે વૃક્ષ છાયો તો આપે જ છે સાથે સાથે પ્રાણવાયુ (ઓકસીજન) પણ આપે છે. અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. જેથી આપણને નડતર રૂપ વાયુ પોતે ગ્રહણ કરી લે છે.


આ સંતુલન કુદરતે ગોઠવ્યુ છે, પરંતુ હવે આ સંતુલન ખોરવાયુ છે અને સાથે સાથે વાહનો અને કારખાનાઓના ધુમાડા, પ્લાસ્ટીક બળે અને તેમાંથી નીકળતા ઝેરી વાયુ, રસાયણો, દુર્ગંધો, થી હવામાં કાર્બન જેવા ખતરનારક અને માનવજાત માટે ઝેરી તત્વો વધ્યા છે. તેની સામે વૃક્ષોનો તો શોથ વાળી દેવાયો છે. તેથી એ બધા ઝેરી તત્વો  આપણી ઉપર દિવસ-રાત ઝળુંબતા જ રહે છે તેમાંય જંતુનાશકો અને ઇન્જેક્શનથી પકાવેલા અનાજ-શાકભાજી-ફળ જેના સ્વાદ જતા રહ્યા છે.


લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા સમગ્ર દુનિયામાં તા.5 જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવાય છે,  સંયુક્ત રાષ્ટ્રસંઘ પર્યાવરણ દિવસે કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સૂત્ર આપે છે. જેનાં અનુસંધાનમાં અગાઉ વિષય હતો ‘હરિત અર્થતંત્ર’...એટલે કે એક એવી અર્થ વ્યવસ્થા જેના ફળસ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય, પરંતુ પર્યાવરણ જાળવવા હવે એક દિવસની ઉજવણીથી કામ ચાલે તેમ નથી વિપતીઓ ભરડો લેવા જઇ રહી છે.

જીવન સાથે જોડાયેલા આ કુદરતી ખલેલ સામે શક્ય એટલુ સંતુલન સાધવા સદભાવના ગૃપ જામનગરના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજાએ એક લાખની સંખ્યામાં વૃક્ષારોપણનો સંકલ્પ લીધો છે.


સદભાવના ગૃપ જામનગરના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજાનો સંકલ્પ: એક લાખ જેટલા વૃક્ષારોપણ કરીશું

દરેક વ્યક્તિ ઓછામાં ઓછા બે વૃક્ષ વાવી તેને ઉછેરે તેવો નમ્ર અનુરોધ કરાયો

જીવન સાથે જોડાયેલા આ કુદરતી ખલેલ સામે શક્ય એટલુ સંતુલન સાધવા સદભાવના ગૃપના જામનગરના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજા અને તેમના ગૃપના પ્રયાસથી અત્યાર સુધી હજારો વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અને અને આગામી દિવસોમાં પણ આ વૃક્ષારોપણનું કાર્ય થતું રહેશે. સદ્દભાવના ગ્રુપ દ્વારા એક લાખની સંખ્યામાં વૃક્ષારોપણનો સંકલ્પ લીધો છે અને તેમાંથી નોંધપાત્ર સંખ્યામા વૃક્ષારોપણ થયા છે ત્યારે હજુય દરેક વ્યક્તિ ઓછામાં ઓછા બે વૃક્ષ વાવી તેને ઉછેરે તેવો નમ્ર અનુરોધ કરતા તેમણે ઉમેર્યુ છે કે કુદરતના પ્રકોપ સામે એક તો કેમ  ટકવું પર્યાવરણ કેમ જાળવવુ અને બીજુ ભાવિ પેઢીને શું આપવુ?? તેવો દિલ ઢંઢોળતો પ્રશ્ર્ન જો સૌ ને વિહવળ કરતો હોય તો મોટા થઇ ઘેઘૂર છાયો આપે તેવા વિવિધ વૃક્ષો દરેક વ્યક્તિ વાવે તે જરૂરી છે. નહિતર ભાવિ પેઢી ઓક્સીજન સીલીન્ડર ખભે લઇ ફરશ, તે કલ્પના પણ ડરામણી છે, તો આપણે આપણી ભાવી પેઢીને શું આપવુ છે?? તેવો વેધક સવાલ સદભાવના ગૃપના પ્રમુખ ધર્મરાજસિંહ એસ. જાડેજાએ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application