રાજકોટ-જેતપુર વચ્ચે નેશનલ હાઈવે પર જતા લોકોને હાશકારો, ટોલ ટેક્સમાં ઘટાડો કરાયો, હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેનું આ રહ્યું લિસ્ટ

  • March 22, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-જેતપુર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સીક્સલેનના કામના કારણે રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. રસ્તાની બંને બાજુ ઠેર ઠેર થોડા થોડા અંતરે ડાઈવર્ઝન કાઢવામાં આવ્યા છે. રસ્તાની સારી ગુણવત્તાના નામે લોકો પાસેથી ટોલટેક્સ ઉઘરાવવાનું શરૂ કર્યા પછી હવે જ્યારે ખરાબ હાલત છે ત્યારે ટેક્સ બંધ કરવો જોઈએ તેવી માગણી સાથે આ વિસ્તારના લોકોએ આંદોલન ચલાવ્યું હતું અને તેનું આખરે પરિણામ આવ્યું છે. હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે પરંતુ તેમાં પણ ભેદભાવની નીતિ અપનાવવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

ટોલટેક્સમાં સરેરાશ 25% જેટલો ઘટાડો 
આજથી જ અમલમાં આવે તે મુજબ નવા નક્કી કરાયેલા ટોલટેક્સમાં સરેરાશ 25% જેટલો ઘટાડો પીઠડીયા ટોલનાકામા આપવામાં આવ્યો છે. જ્યારે ભરૂડી ટોલનાકે રાહતનું પ્રમાણ ઘણું ઓછું છે અને અમુક કેટેગરીમાં જ છે. બાજુ બાજુમાં એક જ હાઈવે પર બંને ટોલનાકા હોવા છતાં આવી ભેદભાવ ભરી નીતિ કેમ રાખવામાં આવી છે તેવા સવાલો ઉઠાવી આગેવાનો આ મામલે રજૂઆત અને ત્યાર પછી આંદોલન તરફ આગળ વધવાનું વિચારી રહ્યા છે.

હવે ક્યાં વાહનનો કેટલો ટોલ ટેક્સ ભરવો પડશે
સતાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત મુજબ ફોરવ્હીલ વન વે પીઠડીયા નાકે જે રૂપિયા 45 લેવામાં આવતા હતા તે 35 કરવામાં આવ્યા છે. જ્યારે ભરૂડી નાકે રૂપિયા 50 લેવામાં આવશે. લાઈટ કોમર્શિયલ વ્હિકલ મીની બસ જેવા કેટેગરીના વાહનો માટે રુ. 85નો દર આ બંને ટોલનાકે હતો તેમાં હવે પીઠડીયા ટોલનાકે રૂપિયા 60 અને ભરૂડીના ટોલનાકે રૂપિયા 80 લેવામાં આવશે. બસ ટ્રક જેવા ભારે કોમર્શિયલ વાહનો માટે રુ. 165 નો ટોલ ટેક્સ પીઠડીયા નાકે ઘટાડીને રૂપિયા ૧૨૫ કરવામાં આવ્યો છે.

રિટર્ન સાથે કેટલો ટોલ ટેક્સ
રિટર્નમાં કાર જીપ અને લાઈટ મોટર વ્હીકલ જેવા વાહનો માટે બંને સાઇડ ટોલ ટેક્સ રૂપિયા 95 હતો તે પીઠડીયા ટોલનાકે રૂપિયા 55 અને ભરૂડી ટોલનાકે રૂપિયા 70 કરવામાં આવ્યો છે

રાજકોટ-જેતપુર વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલે છે
રાજકોટ-જેતપુર વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ જયારથી શરૂ થયું છે, ત્યારથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે રોડમાં બન્ને બાજુ ડાયવર્ઝન બનાવાયું છે અને જે રસ્તા પર વાહન ચલાવવું પડે, તે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના પરિણામે લોકોમાં ટોલનાકા હાઇવેનું કામ ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવા માટે પણ માંગ ઉઠી હતી. આખરે રાજકોટ-જેતપુર વચ્ચે આવેલા બન્ને ટોલનાકા પર 25 ટકા જેવો ટોલનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application