પીએમના આગમનના પગલે હાલારમાં જડબેસલાક બંદોબસ્ત

  • February 23, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સરકીટ હાઉસમાં કિલ્લેબંધી : પીએમ રુટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત : દ્વારકામાં એસપીજીના આઇજી, ડીજીપી, આઇજી, ૯ એસપી, ૨૫ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસકર્મીઓ તૈનાત : ડ્રોન કેમેરાથી બાઝ નજર : બોટ પેટ્રોલીંગ : અલગ અલગ સ્થળોએ સધન ચેકીંગ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની હાલારની મુલાકાતે આવી રહયા છે, જામનગર સરકીટ હાઉસ ખાતે રાત્રે રોકાણ અને રોડ-શો થશે તેમજ દ્વારકા સિગ્નેચર બ્રિજ, સભા, દ્વારકાધિશ મંદિર સહિતના સ્થળોએ આયોજન ઘડી કાઢવામાં આવ્યા છે જેના કારણે વહિવટી અને પોલીસ તંત્ર સજજ થયું છે, અલગ અલગ સ્થળોએ ચેકીંગ, પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે તેમજ બંને જીલ્લામાં પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ચોકે ચોકે પોલીસમેન મુકવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ અને એસપીજીની ખાસ ટુકડી દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે, બેટ દ્વારકા ખાતે ખાસ વ્યવસ્થા અને બોટ પેટ્રોલીંગ કરાશે.
તા. ૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવશે અને રોડ-શોનો કાર્યક્રમ થનાર છે, તેમજ અહીંના સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે જેના પગલે પોલીસ દ્વારા ફલેગમાર્ચ, પેટ્રોલીંગ તેમજ એસપીજીના આઇજીનું જામનગરમાં આગમન થયુ હતું અને તમામ સ્થળોએ નિરીક્ષણ કરી સુરક્ષા ચક્રની ચકાસણી કરવામાં આવી હતી, ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે, ગઇકાલે પીએમ ઓફીસના એસપીજી, કમાન્ડો ટીમના આઇજી રાજીવ રંજન ભગત, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ , ડીવાયએસપી ઝાલા, ડીવાયએસપી વાઘેલા, એલસીબી, એસઓજીની ટુકડી સહિતનાઓએ સરકીટ હાઉસનું નિરીક્ષણ કર્યુ હતું, જુદા જુદા વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તા. ૨૪ના બપોરના ૩ થી તા. ૨૫ સવારના ૯ વાગ્યા સુધી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ કરવાનું જાહેરનામું પ્રસિઘ્ધ કરાયું છે, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ પોલીસ દ્વારા હાથ ધરાયું છે, દરમ્યાનમાં તા. ૨૫ના રોજ દ્વારકા ખાતેના પીએમના કાર્યક્રમના પગલે પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, રાજયના પોલીસવડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડેય, એએસપી રાઘવકુમાર જૈન, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી, સમીર શારડા, દ્વારકા પીઆઇ ટી.સી. પટેલ તથા અન્ય અધિકારીઓ દ્વારા મિટીંગો યોજી હતી અને સુરક્ષા વ્યવસ્થા બાબતે કાર્યક્રમ સ્થળ અને અન્ય વિસ્તારોનું નિરીક્ષણ કરાયુ હતું.
દ્વારકા ખાતે કાર્યક્રમના પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એસપીજીના આઇજી, રેન્જ આઇજી, ઉપરાંત રાજયના અન્ય જીલ્લામાંથી ૯ જેટલા પોલીસવડા, અન્ય જીલ્લામાંથી ૨૫ ડીવાયએસપી, ૬૦ પીઆઇ, ૭૦ જેટલા પીએસઆઇ, ૧૫૦૦ જેટલા પોલીસકર્મીઓ, જીઆરડી, હોમગાર્ડ જવાનો સહિતનો કાફલો બંદોબસ્તમાં જોડાયો છે અને તમામ સ્થળે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવામાં આવી છે.
આ ઉપરાંત સિગ્નેચર બ્રિજ પાસેના વિસ્તારોમાં બોટ પેટ્રોલીંગ મારફત ખાસ સુરક્ષા વ્યવસ્થાની સાથે બેટ દ્વારકા મંદિરે દર્શન કરવાના હોય, બેટના અનેક વિસ્તારોમાં ઘરની અગાસીઓ પર દુરબીન સાથે પોલીસકર્મીની વ્યવસ્થા કરાઇ છે તેમજ તા. ૨૫ના રોજ મુલાકાત વખતે લોકોને અગાસીઓ પર ન આવવા તથા રોજે રોજ બેટ દ્વારકામાં લોકોના ઘરે આવતા મહેમાનોની યાદી પણ પોલીસ દ્વારા મંગાવીને ચેક કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application