નામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ

  • February 24, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ૨૮ સમૂહ લગ્નનું આયોજન કરી આયોજકો ફરાર થઇ ગયાના કિસ્સામાં પ્ર.નગર પોલીસે ત્રણ આયોજકોની ધરપકડ કર્યા બાદ રવિવારે રાત્રે ચોથા આયોજકને પણ ઝડપી લીધો હતો. આ ચારેય આયોજકોના પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રાલા હજુ સુધી પકડાયો નથી.પોલીસની પુછપરછમાં આ ઝડપાયેલા આ શખસોએ છત્રાલાએ તેમને પણ અંધારામાં રાખી છેલ્લે સુધી બધી વ્યવસ્થા થઇ જશે તેમ કહી બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાનું રટણ કર્યું હતું.ઝડપાયેલા આ શખસો માત્ર નામ કમાવવા જ સાથે રહ્યા હતાં કે તેમને પણ આર્થિક લાભ મળ્યો છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.આ ઉપરાંત મુખ્ય સૂત્રધાર સહિત બેને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે.

શહેરના રેલનગર વિસ્તારમાં શનિવારે ૨૮ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી ૨૮ કન્યા અને ૨૮ વરરાજા ઉપરાંત તેમના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા બાદ આયોજકો ફરાર થઇ ગયાની જાણ થતાં ઉહાપોહ મચી ગયો હતો. સ્થળ પર દોડી ગયેલી પોલીસે ૬ લગ્ન કરાવ્યા હતાં. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આયોજકોમાં સામેલ દિપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠ્ઠલાપરાની ધરપકડ કરી હતી. દરમિયાન રવિવારે મોડી રાત્રે ચોથા આયોજક દિલીપ ગિરધરલાલ વરસડા (ઉ.વ.૪૫, રહે. રેલનગર)ને પણ પોલીસે ઝડપી લીધો હતો.

આ ચારેય આરોપીઓને પીએસઆઈ ડી.પી. ગોહેલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યા છે. પૂછપરછમાં ચારેય આયોજકોએ પોતે માત્ર પોતાનું નામ થાય તે માટે આ કાર્યમાં જોડાયાનું રટણ કર્યું છે. તેમણે પોલીસને એમ પણ કહ્યું કે તેઓ સમૂહ લગ્નની આગલી રાતથી લઇ વહેલી સવાર સુધી વ્યવસ્થામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં પરોઢિયા સુધી મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રાલાના સંપર્કમાં હતાં. બાદમાં તેનો મોબાઇલ ફોન અચાનક સ્વીચ ઓફ થઇ ગયો હતો.

જેને કારણે તેઓ પણ મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. સવાર સુધી આયોજન રદ થયાની જાણ ન હતી. આ સ્થિતિમાં ચારેય આયોજકો ખરેખર સાચુ બોલી રહ્યા છે કે કેમ તેનો મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રાલા ઝડપાયા પછી જ ખુલાસો થશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઝડપાયેલા ચારેય આયોજકોને કોઇ આર્થિક લાભ થયો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રાલાનું કોઇ લોકેશન મળી રહ્યું નથી. સુત્રધાર ચંદ્રેશ અને આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી હાર્દિક શીંશાગીયાની શોધખોળ પોલીસે યથાવત રાખી છે. પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં ટીમ તપાસ ચાલવી રહી છે.


છત્રોલાનો હોસ્પિટલમાં એડમિટ હોવાનો દાવો તેના બચાવનો સ્ટંટ હોવાની શંકા

શનીવારે સમૂહલગ્નમાં ૨૮ કન્યા અને ૨૮ વરરાજા ઉપરાંત તેમના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા બાદ આયોજકો ફરાર થઇ ગયાની જાણ થતાં આ કિસ્સાએ રાજયભરમાં ચકચાર જગાવી હતી. જે દિવસે આ કૌભાંડ સામે આવ્યું તે સમયે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાએ સોશિયલ મીડિયામાં એવો ફોટો મુકયો હતો જેમાં તે હોસ્પિટલમાં એડમીટ હોય તેવું નજરે પડતું હતું.પરંતુ આ બાબતે પોલીસે તપાસ કરી હતી પણ ચંદ્રેશ દાખલ હોય તેવી કોઇ માહિતી મળી ન હતી.જેથી આ તેને બચવા માટેનો સ્ટંટ હોય તેવી શંકા સેવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application