જામનગરમાં જુલાઇ સુધી પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે

  • March 20, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરને ૧૪૦ એમએલડી પાણીની જરુર: સાગર, સસોઇ, ઉંડ-૧ અને નર્મદામાંથી દરરોજ ૨૫ એમએલડી અને આજી-૩માંથી ૪૦ એમએલડી પાણી લેવાય છે: રણજીતસાગરથી પમ્પહાઉસ સુધીની લાઇન થઇ ગયા બાદ વધુ ૨૦ એમએલડી પાણી મળશે: હજુ કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કરો ચાલું

ધીરે-ધીરે ઉનાળો શરુ થઇ ગયો છે ત્યારે ગયા વર્ષે સારા વરસાદને કારણે જામનગરને પીવાનું પાણી પુરુ પાડતા ચારેય ડેમોમાં થઇને આશરે જુલાઇ સુધી એકાતરા પાણી અપાય તો પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહીં રહે તેમ જાણવા મળે છે, જો થોડી પણ પાણીની ઘટ આવશે તો નર્મદામાંથી હાલ ૨૫ એમએલડી પાણી લેવાય છે તેના બદલે ૫૦થી વધુ એમએલડી પાણી લઇ શકાશે, ટુંકમાં ઉનાળા પહેલા જામનગરવાસીઓને પીવાના પાણીની કોઇપણ જાતની તકલીફ નહીં પડે તેમ વોટર વર્કસ શાખાના અધિકારીઓએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ અને ચારણીયાના જણાવ્યા મુજબ હાલમાં જામનગરને ૧૪૦ એમએલડી પીવાના પાણીની જરુર છે, જેમાં આજી-૩માંથી ૪૦ અને રણજીતસાગર, સસોઇ, ઉંડ-૧ અને નર્મદામાંથી ૨૫-૨૫ એમએલડી પાણી લેવામાં આવે છે. સસોઇ ડેમમાં હવે પીવાનું પાણી અનામત રાખવા કોર્પોરેશન દ્વારા ઇરીગેશન ખાતાને પત્ર પણ લખી દેવામાં આવ્યો છે. એટલે કે આ તમામ ડેમમાંથી પાણી લેવાય તો નર્મદામાંથી વધુ પાણી લેવાની જરુર ન પડે અને કદાચ ૧૦-૧૫ દિવસ પાણી ઘટ આવે તો નર્મદામાંથી ૨૫-૫૦ એમએલડી પાણી લઇ શકાશે.
એવું પણ જાણવા મળ્યું છે કે, પમ્પહાઉસથી સાગર સુધીની લાઇન લગભગ જુન-જુલાઇ સુધીમાં પૂરી થઇ જશે જેને કારણે ૨૦ એમએલડી પાણી વધુ લઇ શકાશે. પોદાર સ્કુલ પાસે ફીલ્ટર પ્લાન્ટ અને પાણીનો ટાંકો થઇ રહ્યો છે, નાઘેડી વિસ્તાર અને અન્ય વિસ્તારમાં આ પાણીના ટાંકાના કારણે ૫૦ હજારથી વધુ લોકોને આગામી દિવસોમાં પાણીનો લાભ મળી શકશે.
કોર્પોરેશનના બજેટમાં પણ એવું જણાવાયું છે કે, ઉંડ-૧ થી પમ્પહાઉસ સુધી ૪૨ કિ.મી.ની લાઇન રુા.૧૨૧.૧૦ કરોડના ખર્ચે મંજુર થઇ છે જેમાં ૧૩ કિ.મી.ની લાઇન પુરી થઇ ચૂકી છે. સાગરથી પમ્પહાઉસ સુધી ૧ હજાર એમ.એમ.ડાયા ૭ કિ.મી.ની પાણીની પાઇપલાઇન જુન સુધીમાં પુરી થશે જેનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે તેમજ સ્વર્ણીમ જયંતિ શહેરી વિકાસ યોજના તથા ૧૫માં નાણાપંચ યોજના હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત શહેરના બાકી રહેતા વિસ્તારોમાં અને ગોકુલનગર, સમર્પણ, મહાપ્રભુજીની બેઠક ઝોન અને ઢીચડામાં રુા.૬૦.૬૦ કરોડના ખર્ચે ૧૪૬ કિ.મી.ની પાઇપલાઇનનું કામ અ મહીનાના અંત સુધીમાં પુર્ણ થઇ જશે તેમજ જુની પાઇપલાઇનોને બદલી નાખવાનું કામ મંજુર કરાયું છે જેમાં નવી પમ્પહાઉસથી સાતરસ્તા, સમર્પણ ઇએસઆર અને સાતરસ્તાથી સોલેરીયમ સુધીની ૮ કિ.મી.ની ડીઆઇ પાઇપલાઇન આગામી દિવસોમાં થશે.
કાર્યપાલક ઇજનેર નરેશ પટેલના જણાવ્યા અનુસાાર ખંભાળીયા બાયપાસ, નાઘેડી વિસ્તારમાં ઘેર-ઘેર પાણી મળી રહે તે માટે આ વિસ્તારમાં ૩૦ એમએલડીનો ફીલ્ટર પ્લાન્ટ, ૧ કરોડ લીટરનો સમ્પ, ૧૮ લાખ કેપેસીટીનો ઇએસઆર અને પમ્પીંગ મશીનરી તેમજ મુખ્ય પાઇપલાઇન રુા.૩૨.૬૬ કરોડનું ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યું છે જેની કામગીરી ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. જુદા-જુદા પમ્પીંગ સ્ટેશનો, ડેમસાઇટ, ફીલ્ટર પ્લાન્ટ, સ્કાડા સિસ્ટમ અને ફલો મીટર લગાવવા માટે રુા.૨૧.૬૬ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં શહેરને ૧૫૫થી ૧૬૦ પાણી મળી શકશે.
ઉનાળાની સિઝન હવે શરુ થશે, જો કે જામનગર કોર્પોરેશન દ્વારા હજુ પણ ૭૫ થી ૮૦ જેટલા ટેન્કરો ચલાવવામાં આવે છે, જોડીયા ભુંગા, માધાપર ભુંગા, બેડી, સમર્પણ હોસ્પિટલનો કેટલોક વિસ્તાર, ગોકુલનગર વિસ્તારમાં હજુ પણ પીવાના પાણીના ટેન્કરો ચાલી રહ્યા છે. એ નવી પાઇપલાઇન નાખવાથી ધીરે-ધીરે બંધ થઇ જશે, શહેરની હદ ૧૩૨ કિ.મી. થઇ ગઇ છે, નવા વિસ્તારોમાં પીવાનું પાણી આપવાની જવાબદારી કોર્પોરેશનની છે ત્યારે આગામી દિવસોમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે ત્યારે શહેરને વધુ પીવાનું પાણી મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application