પંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પૂર્ણ થવા આડે માત્ર બે દિવસ છતાં ગરમાવો નથી

  • February 12, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી અને જિલ્લા તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આગામી તારીખ 16 ના રોજ રવિવારે યોજાનારી છે. મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થઈ જતા હોય છે તે મુજબ હવે પ્રચાર માટે માત્ર બે દિવસ બાકી રહ્યા હોવા છતાં ખાસ ગરમાવો પ્રચારમાં આવ્યો નથી. રાજકીય નિરીક્ષકો આ માટે ચૂંટણીમાં કોઈ સ્થાનિક મહત્વના મોટા મુદ્દાઓનો અભાવ અને આંદોલનની ગેરહાજરી કારણભૂત ગણી રહ્યા છે.
ચૂંટણી પહેલા જ જૂનાગઢ મહાનગરપાલિકાની આઠ બેઠકો ભાજપ્ની તરફેણમાં બીનહરીફ થઈ ગઈ છે. આ ઉપરાંત ચાર નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા બહુમતી પ્રાપ્ત કરી લીધી હોવાથી હવે બાકીની બેઠકોમાં તારીખ 16 ના રવિવારે ચૂંટણી થશે.
નીરસ પ્રચાર હોવા છતાં જુનાગઢ કુતિયાણા જેતપુરમાં ચૂંટણીઓ રસપ્રદ બની છે. જૂનાગઢમાં આઠ બેઠકો બિનહરીફ કરવા ઉપરાંત ભાજપે ગિરીશ કોટેચાને ટિકિટ આપવાના બદલે તેના પુત્ર પાર્થને ટિકિટ આપી છે.
કુતિયાણા નગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ઢેલીબેનનું શાસન છે. તેના પરિવારમાં જ ચાર સભ્યોને આ વખતે ભાજપે ટિકિટ આપી છે. ઢેલીબેનના પુત્ર વિક્રમ ઓડેદરા, સિસ્ટર જીવીબેન કડછા અને પુત્રવધુ રામભિબેનને ભાજપે ટીકીટ આપી છે. સામે બાજુ ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈએ પણ રાજકારણમાં ડેબ્યૂ કરીને ચૂંટણી જંગમાં ઝપલાવ્યું છે.
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા ને ભાજપ્નો મેન્ડેટ મળ્યો નથી અને આ બેઠક પર ટિકિટ ફાળવણી પૂર્વે મોટો અસંતોષ બહાર આવ્યો હતો. પરિણામ શું આવે છે તેના પર સૌ કોઈની નજર ટકી રહી છે. આ ઉપરાંત ભાયાવદરમાં પણ વ્યાપક પ્રમાણમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેથી અહીં ભાજપ્ની શું સ્થિતિ થાય છે તે પણ જોવાનું રહેશે. જામજોધપુરમાં પણ ભાજપ્ના ટોચના નેતાને ટિકિટ ન મળતા તેણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે અને તેની તાકાતના પણ પારખા થઈ જશે.
રાજ્યની 2178 બેઠક પર 5,085 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં 642 બેઠક પર 1669 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જસદણ જેતપુર ધોરાજી ભાયાવદર ઉપલેટા જામજોધપુર ધ્રોલ કાલાવડ કુતિયાણા રાણાવાવ બાટવા માણાવદર માંગરોળ વિસાવદર વંથલી ચોરવાડ લાઠી જાફરાબાદ રાજુલા ચલાલા સલાયા ભાણવડ દ્વારકા હળવદ કોડીનારમાં ચૂંટણીઓ યોજવાની છે. છેલ્લે 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે સૌરાષ્ટ્રમાં નગરપાલિકા વિસ્તારમાં મતદારોની સંખ્યા 6,65,237 હતી તે આ વખતે વધીને 7,25,286 થઈ છે. આમ મતદારોની સંખ્યામાં 60049 નો વધારો થયો છે.
પ્રચારમાં ટાઢોળું હોવાથી અને સ્થાનિક કાર્યકરો પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લા મથકોએથી નગરપાલિકા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના કાર્યકરોને પ્રચારમાં મોકલ્યા હતા પરંતુ તેમાં પણ ખાસ ગરમી આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application