હાલારના શિવ મંદિરોમાં બમ-બમ ભોલેનો નાદ સંભળાયો

  • March 08, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને ખંભાળીયામાં શિવ શોભાયાત્રા નિકળશે: ૧૨ જયોર્તિલીંગ સમા નાગેશ્ર્વર, રામનાથ, ખામનાથ, ભવનાથ, ખીમેશ્ર્વર, ઇન્દ્રેશ્ર્વર, સોયલેશ્ર્વર, પ્રગટેશ્ર્વર, કનકેશ્ર્વર, કિલેશ્ર્વર, ભોળેશ્ર્વર, ભીડભંજન, સિઘ્ધનાથ, જામનગરના કાશી વિશ્ર્વનાથ સહિતના મંદિરોમાં વિશેષ આરતી: સમગ્ર હાલાર મહા શિવરાત્રીની ઉજવણી: મંદિરોમાં શિવભકતોની ભારે ભીડ

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજે શિવત્વના પ્રાગટ્યના દિવસે સમગ્ર હાલારના શિવ મંદિરોમાં શિવ ભકતોની ભારે ભીડ જોવા મળી છે. બમ-બમ ભોલેના નાદ સાથે સવારના પ વાગ્યાથી પૂજા-અર્ચના થઈ છે. કેટલાં મંદિરોમાં ચાર પ્રહરની પૂજા પણ શરુ થઈ ચૂકી છે, લોકોએ ઉપવાસ કર્યા છે. મહા આરતી, દીપમાળા તેમજ જામનગર અને ખંભાળિયામાં વિશાળ શોભાયાત્રી નીકળશે અને હાલારના મંદિરોમાં ૐ નમ: સિવાયના નાદ સાથે ભકતોએ શિવને માથું ટેકવ્યું હતું.
ભગવાન શિવની આરાધના કરશે, જામનગર અને ખંભાળીયામાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે, ઠેર-ઠેર મહાઆરતી, ઘ્વજારોહણ, બટુક ભોજન, સંતવાણી, રુદ્રી, રુદ્રાભિષેક, દુગ્ધાભિષેક, અલભ્ય શિવ દર્શન, ભાંગ રુપી પ્રસાદનું વિતરણ, શિવ સ્તુતી, દિપ માળા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પુરાણોમાં કહેવાય છે કે, શિવલીંગનો પ્રાગટય દિન એટલે મહા શિવરાત્રી, ભગવાન શિવ રુદ્રની સાથે-સાથે સૌમ્ય પણ છે, એટલે જ શિવાલયોમાં ભકતો કાલી બમ-બમ ભોલેનો નાદ અને શંખઘ્વનીનો નાદ કરશે, જામનગર સહિત હાલારના અનેક મંદિરોમાં વિશિષ્ટ શણગાર, શેરડીના રસથી પુજન, શિવ મહાપુરાણ કરીને ભકતો ઉપવાસ કરી, ઓમ નમ:શિવાયનો નાદ કરશે. કેટલાક સ્થળોએ શિવની પ્રથમ પ્રહરની પુજા થઇ ચાર પ્રહર સુધી એટલે કે બીજા દિવસના સવારના ૪ વાગ્યા સુધી જળાભિષેક અને બીલીપત્ર દ્વારા પાર્વતી પતિની આરાધના કરશે.
૧૨ જયોર્તિલીંગ સમા નાગેશ્ર્વર, રામનાથ, ખામનાથ, ભવનાથ, ખીમેશ્ર્વર, ઇન્દ્રેશ્ર્વર, સોયલેશ્ર્વર, પ્રગટેશ્ર્વર, કનકેશ્ર્વર, કિલેશ્ર્વર, ભોળેશ્ર્વર, ભીડભંજન, સિઘ્ધનાથ, જામનગરના કાશી વિશ્ર્વનાથ, ઇચ્છેશ્ર્વર, મુકતેશ્ર્વર, નિલકંઠ મહાદેવ, પ્રતાપેશ્ર્વર, ગંગેશ્ર્વર, હાટકેશ્ર્વર, હજારેશ્ર્વર, બાલનાથ, પૂણેશ્ર્વર, હરેશ્ર્વર, સુખનાથ, જાગનાથ સહિતના અનેક શિવ મંદિરોમાં હર-હર મહાદેવનો નાદ સંભળાશે.
આ ઉપરાંત દ્વારકા નજીક આવેલા ૧૨ જયોર્તિલીંગ સમા નાગેશ્ર્વર મહાદેવના મંદિરે સવારના ૫ વાગ્યાથી શંભો કરોતી સબ શંભો પ્રાર્થના કરીને શિવ તત્વ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે અને વિશિષ્ટ મહાઆરતી અને અલભ્ય દર્શનનો લાભ મળશે જેમાં અલગ-અલગ મંદિરોમાં વિશિષ્ટ પુજા કરવામાં આવશે, કેટલાક લોકો શિવ શંભુ, ઓમ નમ: શિવાય, હર-હર મહાદેવ, ભોળાનાથની જય હો તેવા સુત્રો પોકારીને શિવરાત્રીની ભકિતભેર ઉજવણી કરશે. કેટલાક મંદિરોમાં લોકો દ્વારા રુદ્રી કરાવવામાં આવશે અને તમામ મંદિરોમાં બપોરે ૧૨ વાગ્યે વિશિષ્ટ આરતી કરીને થાળ જમાડવામાં આવશે. આજે ભગવાનને શેરડીનો રસ, તલ અને મધ, દહીં, દુધથી ભગવાનની પુજા કરવામાં આવશે. બિલ્વપત્ર, ફૂલો અને વિશિષ્ટ પૂજા, હોમ-હવન, લાડુ, પ્રસાદ, ભોગ-આરતી, સંધ્યા આરતી, મહાઆરતી, શાસ્ત્રોક્ત પૂજા, વેદોના ઋતુગાન, દૂધ, સૂકો મેવો, ભાંગ ઉપરાંત લઘુરુદ્ર, રુદ્રી પાઠ, મહાઆરતી અને દીપમાળા પણ કરવામાં આવશે.
આજ સવારથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ઘરોમાં પણ ઓમ નમ: શિવાયનો નાદ સંભળાશે. આજે બપોરે ૩ વાગ્યાથી હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ૪૨ વર્ષથી નિકળતી મહા પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ શોભાયાત્રામાં સંતો-મહંતો જોડાશે. સ્વયંસેવકો જભ્ભો અને પીતાંબરી ધારણ કરશે, અનેક સંસ્થાઓ દ્વારા ફલોટસ મુકવામાં આવ્યા છે, શિવ શોભાયાત્રામાં ૬૦ વાદકોનું સમુહ ડમરુ વાદન કરવામાં આવશે, ગયા વર્ષે પણ મહાકાલની નગરી ઉજૈનથી જામનગર આવી હતી અને વિશિષ્ટ ડમરુ વગાડીને શોભાયાત્રાનું આકર્ષણ બનશે. આ શોભાયાત્રા નાગેશ્ર્વરથી સિઘ્ધનાથ મંદિર, નાગનાથ ગેઇટ, કેવી રોડ, બેડીગેઇટ, રણજીત રોડ, ચાંદીબજાર, દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, હવાઇચોક, સત્યનારાયણ મંદિર થઇ પંચેશ્ર્વર ટાવર થઇ રાત્રે ૧૨ વાગ્યે ભીડભંજન પહોંચશે અને રાત્રીના મહાઆરતી કરવામાં આવશે.
આ ઉપરાંત ખંભાળીયામાં પણ ખામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ખામનાથ મંદિરેથી મહા શિવરાત્રીની વિશાળ શોભાયાત્રા નિકળશે અને ૧૦૦ વર્ષથી વધુ સમયથી આ શોભાયાત્રા ચાંદીની પાલખીમાં નિકળે છે, આ શોભાયાત્રામાં ૨૦૦ કિલોની ચાંદીની મૂર્તિ પણ રહેશે. શોભાયાત્રા રંગમહોલ સ્કુલ પાસેથી ગુગળી ચકલા થઇ પાંચ હાટડી, લુહારશાર, ઝવેરી બજાર, હર્ષદ માતા મંદિર, મેઇન બજાર, માંડવી ચોક, વિજય ચોક થઇ ખામનાથ મંદિરે બપોરે ૨ વાગ્યે પહોંચશે.
જામનગર શહેરમાં પણ અનેક શિવ મંદિરોમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, હાટકેશ્ર્વર મંદિરમાં આજે સવારે ૮ વાગ્યે નૂતન ઘ્વજારોહણ, ત્યારબાદ ૮:૩૦ વાગ્યે પાઠાત્મક લઘુરુદ્ર, શિવરાત્રી ફરાળી થાળના દર્શન, ૭:૩૦ વાગ્યે મહાઆરતી યોજાશે તેમ હાટકેશ્ર્વર સમિતિની યાદીમાં જણાવાયું છેે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application