'છોટીકાશી'માં ઐતિહાસિક જનમેદની વચ્ચે 44 મી રામ-સવારીનું ભવ્યાતિભવ્ય સમાપન

  • April 07, 2025 10:18 AM 

હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન


છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ ગઈકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે 44 મી ભવ્યાતિભવ્ય રામ સવારી નિકળી હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના ૧.૦૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં રામભક્તોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર છોટી કાશી ''રામમય" બન્યું હતું.


જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ચુમાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ તેમજ અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિ ના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ, તેમજ અન્ય ટ્રસ્ટીગણ વિગેરેએ પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું, આ વેળાએ હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથ ના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર મનીષભાઈ કનખરા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા વગેરે હાજર રહ્યા હતા, અને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રીરામ - લક્ષ્મણ - જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતુંં.


આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીરામ - લક્ષ્મણ - જાનકીની મુખ્ય પાલખી સાથેનો ગુલાબી રંગથી સુશોભીત સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ફલોટ્સને ભગવા તેમજ ભગવા રંગથી અને ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડીજે સીસ્ટમ - પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત,શિવ સેના, તાડીયા હનુમાન મિત્ર મંડળ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, પ્રણામી યુવક મંડળ, ઓમ યુવક મંડળ, આહીર સેના, ભોયરાજ યુવા સંગઠન, સરસ્વતી યુવક મંડળ,રાજા મેલડી ગ્રૂપ, ડી જે શિવાય ગ્રૂપ સહિતના ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ જોડાયા હતા. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.


આ ઉપરાંત રામ સવારીના નિર્ધારીત સમગ્ર રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા - સરબત - છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.​​​​​​​


બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પછી, ચૈતન્ય વાસણ ભંડાર, તક્ષશિલા પરશુરામ ધામ, જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ, મોબાઇલ ઝોન (હવાઇ ચોક), હવાઇ ચોક મિત્ર મંડળ, હાલારી ભાનુશાળી જ્ઞાતિ, વિશ્વકર્મા મહાસંઘ, સતી માતા મિત્ર મંડળ, બ્રહ્મદેવ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, શકિત યુવક મંડળ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, શ્રી હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શીવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, ઓમ યુવક મંડળ, પતંગીયા ફળી મિત્ર મંડળ, બર્ધન ચોક વેપારી ગ્રૂપ નિરવભાઇ, બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય કંસારા મંડળ, સુખરામદાસ ગ્રૂપ, સીંધી માર્કેટ વેપારી એસોસીએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુની શેરી ગ્રૂપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો., ગણેશ મરાઠા મંડળ, શહેર ભાજપ પરિવાર, શિવ શકિત હોટલ ગ્રૂપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), ગણેશફળી મિત્ર મંડળ, કોમી એકતા ગ્રૂપ (અલુ પટેલ), પંકજ સોઢા ફાઉન્ડેશન, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબા મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, રવેચી ગ્રુપ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, બનાસ અલ્પાહર (નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશ્યલ ગ્રુપ - પંચેશ્વર ટાવર, ઓમ કાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, સમસ્ત કોળી સમાજ પરિવાર, રામજી મંદિર લોહાણા મહાજન જ્ઞાતિ - પંચેશ્વર ટાવર દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં - સરબત - પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલ હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે તેમજ પ્રસાદ મેળવવા માટે અનેક રામભકતોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને શહેરમાં રામમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.


મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત ચુમાલીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી. જેના કન્વીનર તરીકે ધવલભાઈ નાખવા તથા સહ કન્વીનર તરીકે વ્યોમેશ લાલ તેમજ ભાર્ગવભાઈ પંડ્યાની નિયુકતી કરવામાં આવી હતી. જેમની આગેવાનીમાં રાજેન્દ્રસિંહ સોઢા, જીગર રાવલ, ચંદ્રવદન ત્રિવેદી, પદુભા જાડેજા,  પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, મનોજભાઇ પરમાર, નંદલાલભાઇ કણઝારીયા, જીતુભાઇ ઝાલા, વૈભવ રાવલ, રાહુલ ચૌહાણ, જય બખતરીયા, વિજયસિંહ જાડેજા, હાર્દિક ગોપીયાણી, વિશાલ પંડયા, અમર દવે, જસ્મીન વ્યાસ, યોગેશ ઝાલા, મિતેશ મહેતા, યોગેશ જોશી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા સહિતના ૫૧ સભ્ય કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું. 


આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રીરામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ સમયે લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, તેમજ અન્ય લોહાણા અગ્રણીઓ મનોજ અમલાણી, નિલેશભાઈ ઠક્કર, અનિલભાઈ ઠક્કર, માલવ સુખપરિયા તેમજ લોહાણા મહાજન જ્ઞાતિના અન્ય અગ્રણીઓ તથા બહેનો વગેરેએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.​​​​​​​


જામનગરમાં ગઈકાલે નીકળેલી રામસવારીમાં બહેનોની વિશાળ સંખ્યામાં હાજરી

જામનગર શહેરમાં ગઈકાલે નીકળેલી રામ સવારી દરમિયાન શોભાયાત્રાના તમામ રૂટ પર આ વખતે બહેનોની વિશેષ સંખ્યામાં હાજરી જોવા મળી હતી. જામનગરની સંસ્થા રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રૂપ દ્વારા શોભાયાત્રામાં અલગથી ફ્લોટ્સ તૈયાર કરાયો હતો, અને 12 ફૂટના વિશાળ કદના હનુમાનજીને શોભાયાત્રના સમગ્ર રૂટ પર જોડવામાં આવ્યા હતા, જેઓની સાથે તમામ બહેનોએ રામધૂન બોલાવી હતી, અને ગુલાબી રંગના સાફા અને લાલ કલરની સાડી અથવા ડ્રેસમાં સજ્જ થઈને જોડાયા હતા, જે દ્રશ્ય ખૂબજ અદભુત લાગતું હતું. આ ઉપરાંત હિન્દુ સેના, રાજા મેલડી ગ્રુપ, ઓમ યુવક મંડળ, ભોયરાજ યુવા સંગઠન વગેરે સંસ્થાના ફલોટની સાથે પણ મોટી સંખ્યામાં બહેનો રામધૂન બોલાવતા અથવા તો રાસ લેતા જોવા મળ્યા હતા, અને ૪૪મી રામ સવારીમાં નારી શક્તિના વિશેષ રૂપે દર્શન થયા હતા.

રાજા મેલડી ગ્રુપ દ્વારા વિરાટ કદના ભગવાન શ્રીરામ-હનુમાનજી અને વાનર સેનાને પણ જોડવામાં આવ્યા

જામનગરની સંસ્થા રાજા મેલડી ગ્રુપ દ્વારા જુદા-જુદા ચાર ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા, જેમાં એક ફલોટમાં ભગવાન શ્રીરામના વિશાળ કદના સ્વરૂપો તૈયાર કરીને મૂકવામાં આવ્યા હતા, અને અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ સ્થાપિત થઈ છે, એજ પ્રકારના આબેહૂબ ૧૨ ફૂટથી વિશાળ કદના રામ સમગ્ર શોભાયાત્રાના રૂટ પર  જોડાયેલા રહ્યા હતા, જેના દર્શનનો અને રામભક્તોએ લાભ લીધો હતો. જેઓની સાથે વિશાળ કદના હનુમાનજી પણ જોડાયા હતા, જયારે વાનરોની સેના સમગ્ર શોભાયાત્રાના રૂટ પર અનેક પ્રકારના કરતબો રજૂ કરતી જોવા મળી હતી, જે નજારો નિહાળીને પણ અનેક રામભક્તો અભિભૂત થયા હતા.

પંચેશ્વર ટાવર વિસ્તારમાં સૌપ્રથમ વખત કોળી સમાજ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરાયું

જામનગરના કોળી સમાજ દ્વારા પંચેશ્વર ટાવર વિસ્તારમાં રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કોળી જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા દ્વારા વિશાળ કદનો માત્ર ગુલાબના ફૂલનો જમ્બો હાર બનાવ્યો હતો, અને  મુખ્ય રથમાં બિરાજમાન રામ-લક્ષ્મણ અને જાનકીની પ્રતિમાને હાર પહેરાવીને પોતાની રામભક્તિ રજૂ કરી હતી. સાથો-સાથ પંચેશ્વર વિસ્તારમાં ભવ્ય લાઇટિંગ સાથેનો ફ્લોટ્સ તૈયાર કરીને ભવ્ય આતશબાજી કરાઈ હતી, જ્યારે મોટા પ્રમાણમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નાના ભૂલકાઓ દ્વારા ભગવાન શ્રીરામની સ્તુતિ સાથેના પ્રયોગો કરાયા

આ શોભાયાત્રાના પ્રારંભે રાધે સ્કેટિંગ ગ્રુપવાળા જ્યોતિબેન જોઈસરની રાહબરી હેઠળ નાના ભૂલકાઓએ ભગવાન શ્રીરામની સ્તુતિ સાથે સ્કેટિંગ પર જબરજસ્ત રાસ રજૂ કર્યો હતો અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યોતિબેન અને તેની પુત્રી તથા અન્ય સહયોગીઓની મદદથી નાના ભૂલકાઓએ સ્કેટિંગના માધ્યમથી ભગવાન શ્રીરામની સ્તુતિનો રાસ રજૂ કર્યો હતો. આ વેળાએ શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા, અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

રામના દરબારમાં સૌ કોઈ સરખા: કોંગ્રેસ-ભાજપના આગેવાનો એકસાથે રામધૂન બોલાવતા નજરે પડ્યા

જામનગરમાં ૪૪ ની શોભાયાત્રાના પ્રારંભે જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ સહિત અન્ય શહેર ભાજપના અગ્રણીઓ રામ સવારીમાં જોડાયા હતા, અને રામધૂન બોલાવી હતી. તેઓની સાથે સાથે વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતભાઇ વાળા, તથા અન્ય તમામ લોકોએ 'રામના દરબારમાં સૌ એક સરખા' તેની પ્રતીતિ કરાવી હતી, અને એક સાથે રામધૂન બોલાવતા નજરે પડ્યા હતા. અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું.

મહાદેવ હર સિકયોરિટી ગ્રૂપની ટીમે ભગવાન રામજીની પાલખીને સુરક્ષા કવચ પૂરું પાડ્યું

જામનગરમાં ૪૪ મી રામ સવારીમાં મહાદેવ હર સોક્યોરિટી ગ્રૂપની ટિમ ઉત્સાહભેર જોડાઈ હતી અને ૨૦ જવાનો સતત ખડે પગે રહ્યા હતા. રામ સવારીની શોભાયાત્રાના પ્રારંભથી લઈને મોડી રાત્રી સુધી તમામ જવાનો ભગવાન રામચંદ્રજીની પાલખી સાથે જોડાઈને રામ ભક્તિરૂપે ફરજ બજાવી હતી.

હાલારના સાંસદ પૂનમબેન માડમે પાલખી પૂજન કરી રામ સવારીની પૂર્ણાહુતિ કરાવી

'છોટી કાશી'માં ગઈકાલે ૪૪ મી રામસવારી યોજાઈ હતી, જે રામસવારીનો પ્રારંભ બાલા હનુમાનજીના મંદિરેથી પાંચ વાગ્યે થયો હતો, ત્યારબાદ નગર ભ્રમણ કરીને રાત્રિના ૧૨.૩૦ વાગ્યા બાદ પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિર પાસે પૂર્ણ થઇ હતી. જયાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા, અને ભગવાન શ્રીરામ-લક્ષ્મણ અને જાનકીની પ્રતિમાનું પૂજન કરીને શોભાયાત્રાની પુર્ણાહુતી કરાવી હતી. તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને પાલખીનું પૂજન કર્યું હતું.

રામ-સવારીમાં સાંસદ પૂનમબેન માડમે નારી શક્તિના દર્શન કરાવ્યા

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ગઈકાલે શહેરમાં યોજાયેલી રામ સવારીમાં ઉત્સાહભેર જોડાયા હતા, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાં સૌપ્રથમ ભગવાન રામ-લક્ષ્મણ-જાનકીની પાલખીનું પૂજન કર્યું હતું, ત્યારબાદ તેઓએ કોળી સમાજ દ્વારા આયોજિત ફ્લોટ્સ પાસે શક્તિનું સ્વરૂપ એવા ખુલ્લી તલવાર લઈને નારી શક્તિના દર્શન કરાવ્યા હતા. તે વેળાએ અનેક ગ્રામભક્તોએ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારબાદ પૂનમબેન માડમ દ્વારા પંચેશ્વર ટાવરના ચોકમાં જયશ્રી રામનો નારો ગજવ્યો હતો, ત્યારે સમગ્ર પંચેશ્વર ટાવર વિસ્તારમાં રામમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા ચાંદીબજારના ચોકમાં રામસવારીનું ભવ્ય સ્વાગત

સમગ્ર ચાંદી બજારના ચોકને રોશનીથી ઝળહળતો કરાયો: ૨૫ ફૂટના કદના ભગવાન શ્રીરામનું કટ-આઉટ સૌનું આકર્ષણનું કેન્દ્ર

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શહેર ભાજપ પરિવાર દ્વારા સમગ્ર ચાંદી બજાર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચાંદીબજારની ફરતે ચોકમાં મંડપ લાઇટીંગ ઉભા કરીને શોભાયાત્રાના રૂટને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરી દેવાયો હતો. આ ઉપરાંત ચાંદી બજાર સર્કલની મધ્યમાં ૨૫ ફૂટના કદનું ભગવાન શ્રીરામનું મોટું કટાઉટ લગાવાયું હતું, અને તેની ફરતે પણ રોશની કરાઈ હતી. જે સૌ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, અને તેની સાથે અનેક લોકોએ સેલ્ફી પણ પડાવી હતી.

આ સ્થળે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીની રાહબરી હેઠળ જામનગર દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉત્તર વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, ઉપરાંત પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઈ આલ, પૂર્વ ચેરમેન, મનીષભાઈ કનખરા અને આકાશભાઈ બારડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ઉપપ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા તેમજ પૂર્વ મહામંત્રીઓ અને શહેરના અન્ય હોદેદારો ઉપરાંત શહેર ભાજપના નગર સેવકો જુદા-જુદા સેલ અને મોરચાના હોદ્દેદારો, તમામ વોર્ડના પ્રમુખો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને રામ સવારીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું, જેમાં ગણેશ મરાઠા મંડળનો પણ સહયોગ રહ્યો હતો, અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આતશબાજી દ્વારા રામ સવારીનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને સમગ્ર ચાંદી બજારને ધજા-પતકા અને રોશનીથી સજજ કરવામાં આવ્યો હતો.

શોભાયાત્રા દરમિયાન સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો

જામનગર શહેરમાં ગઈકાલે તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો, ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સૌપ્રથમ વખત શોભાયાત્રાની સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના પી.આઈ. બી.એન.ચૌધરી અને તેઓની ટુકડી દ્વારા સમગ્ર શોભા યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાની ગોઠવણ કરીને હવામા ડ્રોન ઉડાવીને સમગ્ર વિસ્તારનું મોનીટરિંગ કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application