સરકારે આરોગ્ય સેવાને એસ્મા હેઠળ લાવી 1100 જેટલા કર્મીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા

  • March 26, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકારે આરોગ્ય સેવાને એસ્મા હેઠળ લાવીને 1100 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે આરોગ્ય કર્મચારીઓને ટેકો જાહેર કરતા મામલો વધુ ગરમાયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્યના 12,000 કર્મચારીઓની માંગણી સ્વીકારીને બાકીના 4.62 લાખ કર્મચારીઓની અન્યાય કરી શકે નહીં.

બીજી બાજુ, આરોગ્ય કર્મચારીઓ હડતાળ પરથી પરત નહીં ફરે તો સરકાર નવી ભરતી કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. રાજ્યના પંચાયતના આરોગ્ય હસ્તકના વર્ગ-3ના કર્મચારીઓએ તેમને ટેકનિકલ ગણીને ગ્રેડ પેની માગ, કોરોનાકાળનો 120 દિવસનો પગાર સહિતની માંગણીઓને લઈને સતત 9 દિવસથી હડતાળ પાડી છે. આવા સંજોગોમાં આરોગ્ય સેવાને એસ્મા હેઠળ સમાવીને સરકારે કર્મચારીઓની હડતાળને કાયદાકીય રીતે ગેરકાયદે ઠેરવી દીધી છે.

આમ છતાં આરોગ્ય કર્મચારીઓ કામ પર પરત ન ફરતા છેવટે સરકારે 1100 થી 1200 કર્મચારીઓને ટર્મીનેટ કર્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે. દરમિયાનમાં મામલો પેચીદો બનતા કોંગ્રેસે પણ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ફરજ મોકુફ અને સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓને ફરજ પર પરત લેવાની માંગ કરી છે. બીજીબાજુ આરોગ્ય મંત્રીનું એવું કહેવું છે કે,આરોગ્ય કર્મચારીઓ સાથે વાટાઘાટો કરવા અનેક વખત બેઠક કરી છે. આ તરફ અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે તેમાં હડતાળનો મુદ્દો ઉઠાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application