ઉપલેટામાં ૪૫ હજારથી વધુ મતદારો ૮૭ ઉમેદવારોનું ભાવિ નકકી કરશે

  • February 14, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા નગરપાલિકાની આગામી તા.૧૬મીએ સામાન્ય ચૂંટણી સાત વર્ષ બાદ યોજાઈ રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત ૭ પક્ષો અને અપક્ષો વચ્ચે જગં જામ્યો છે. તેમાં મુખ્ય ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, એક અપક્ષ વચ્ચે જગં ખેલાશે. અગાઉ ભાજપ પાર્ટીને પાંચ બેઠકો બિનહરીફ મળી જતા તેને સરકાર બનાવવામાં ૧૪ સભ્યોની જરૂર રહેશે. જયારે કોંગ્રેસે ૨૯ ઉમેદવારોમાંથી ૧૯ સભ્યો ચૂંટાવા ફરજીયાત બનશે. આવા રાજકીય માહોલ વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોક પ્રતિનિધિને ચૂંટશે.
આગામી તા.૧૬મીને રવિવારે યોજાઈ રહેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પુરૂષ મતદારો ૨૩૦૧૮ અને મહિલા મતદારો ૨૨૧૯૮ મળી કુલ ૪૫૨૧૬ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સામાન્ય ચૂંટણીમાં ભાજપે ૩૧, કોંગ્રેસ ૨૯, આપના ૧૧, સમાજવાદી પાર્ટીના ૭, સીપીએમના ૪, અપક્ષ ૪ અને એઆઈએમઆઈએમના ૧ મળી કુલ ૮૭ ઉમેદવારો પોતાના ભાગ્ય અજમાવી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૯ બુથમાંથી ૩૦ બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં ૨૫૧ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. આ ચૂંટણીમાં એક હજારથી વધુ મતદારો ધરાવતા છ બુથ છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા ૮૩ જેટલા મતદારોએ બેલેટ પેપરથી મતદાનની માંગણી કરતા તમામનું ૧૦મી તારીખે મતદાન પત્રક રવાના કરી દેવામાં આવ્યા છે જે મતદારોએ તા.૧૭મી સાંજ સુધીમાં મામલતદાર કચેરીએ પરત કરવાના રહેશે. અથવા મત ગણતરી શરૂ થાય તે પહેલા પહોંચાડવાના રહેશે. આ ચૂંટણી દરમિયાન દિવ્યાંગો અને વૃધ્ધ મતદારો માટે મતદાન સ્થળે વ્યવસ્થા રાખવામાં આવી છે. દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો સાથે કોઈપણ પુખ્તવયની વ્યકિત મદદ માટે અંદર જઈ શકશે. કુલ ૮ વોર્ડમાં ૮૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જગં નિિત થઈ ગયો છે. વોર્ડ નં.૩ સિવાય તમામ વોર્ડમાં પોતાના ચાર ઉમેદવારને મત આપી શકશે. જયારે ત્રણ નંબરના વોર્ડમાં એક બેઠક બિનહરીફ થઈ હોવાથી ત્યાંના મતદારોને ત્રણ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જયારે સૌથી વધુ મતદાર ધરાવતો વોર્ડ નં.૧માં ૬૭૬૬ મતદાર નોંધાયા છે. જયારે સૌથી ઓછા મતદાર ૪૮૫૯ ધરાવતો વોર્ડ નં.૪ છે. આ વોર્ડમાં એક મુસ્લિમ ઉમેદવાર હોવાથી તે કોંગ્રેસના કેટલા મત લાવે છે તેના પરથી ઉમેદવારોનું ભાવિ નકકી થશે.

ભાજપ અને કોંગ્રેસ પક્ષ માટે કયા મુદ્દા અવરોધરૂપ બનશે
આગામી ૧૬મીએ નગરપાલિકાની ચૂંટણીમાં ૬ રાજકીય પક્ષો મેદાનમાં છે તેમાં ભાજપને હાલ ટાવરના રીનોવેશનમાં થયેલા બેફામ ભ્રષ્ટ્રાચાર ભુગર્ભ ગટરની અને નલ સે જલની કામગીરી નિયમો મુજબ થતી નથી અને અત્યાર સુધી ગણ્યા ગાઠયા લોકોનું જ નગરપાલિકામાં ચાલ્યું છે. જયારે કોંગ્રેસ છેલ્લ ા સાત વર્ષમાં નગરપાલિકા દ્રારા પ્રજાને થતાં અન્યાયમાં કોઈ અસરકારક રજુઆત કે આંદોલન કર્યા નથી. હાલની ચૂંટણીમાં નેતાઓ અને ઉમેદવારોએ ઘર ભરી ઘર પકડી બેસી ગયા છે. જયારે અન્ય પક્ષો વરસાદ આવે ને દેડકા બહાર આવે તેમ ચૂંટણીના રણ મેદાનમાં આવ્યા છે.

કોંગ્રેસ– સામ્યવાદી પક્ષ બેવડી ભૂમીકામાં
નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ સીપીએમની ભુમીકા બેવળી રહી છે. બન્ને પક્ષો ભાજપને ભરી પીવા મેદાને પડયા છે તેવું લોકોને ચૂંટણી પ્રચારમાં કહી રહ્યા છે પણ વોર્ડ નં.૫માં કોંગ્રેસ અને સીપીએમનું ગઠબંધન છે. જયારે વોર્ડ નં.૧ અને ૨માં આ બન્ને પક્ષો સામસામે લડી રહ્યા છે ત્યારે પ્રબુધ્ધ નાગરિકોએ વિચારમાં પડી ગયા છે આ પક્ષો શું કરવા માગે છે.

વોર્ડ નં.૬માં મતદારો મત નહીં આપી શકે

વોર્ડ નં.૬માં મતદારોએ સાત વર્ષ પહેલા પોતાના પ્રતિનિધિ ચૂંટવા મતાધિકાર મળ્યો હતો. આ વખતે કોંગ્રેસના ઉમેદવારોએ મલાઈ મેળવી પીછેહટ કરી લેતાં હજી પાંચ વર્ષ બાદ મતદારોને સ્થાનીક સ્વરાયની ચૂંટણીમાં મતાધિકાર મળશે.

૩૬ સભ્યોમાંથી ૫ બેઠકો ઉપર ભાજપ બિનહરીફ
ઉપલેટા નગરપાલિકામાં ૩૬ સભ્યોનું બોર્ડ છે. તેમાં ભાજપે અગાઉ પાંચ બેઠક બિનહરીફ મેળવી લીધી છે તેથી ભાજપને સતામાં બેેસવા ૩૧ ઉમેદવારોમાંથી ૧૪ ઉમેદવારો વિજેતા બને તે જરૂરી છે. જયારે કોંગ્રેસને ૨૯ ઉમેદવારોમાંથી ૧૯ સભ્યો ચૂંટાઈ આવે તો સતાનો સ્વાદ ચાખવા મળે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application