મુખ્યમંત્રી દ્વારા દ્વારકાના હર્ષદ ખાતે રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક "હરસિદ્ધિ વન"નું લોકાર્પણ

  • August 09, 2024 11:05 AM 

"એક પેડ માઁ  કે નામ" અભિયાન હેઠળ સવા સાત કરોડ વૃક્ષો વાવી ગુજરાત દેશમાં બીજા ક્રમે: ભૂપેન્દ્ર પટેલ: "માતૃવન"ના નિર્માણ અર્થે મુખ્યમંત્રીતેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ: પ્રકૃતિ જતનમાં યોગદાન આપનારા સેવાભાવીઓને "વન પંડિત પુરસ્કાર" તેમજ તાલુકા તથા ગ્રામ પંચાયતોને પુરસ્કાર વિતરણ: આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ વૃક્ષો વવાશે: પ્રોજેક્ટ લાયન અંતર્ગત રાજ્યમાં સિંહો માટે વિશ્વ કક્ષાની હોસ્પિટલ નિર્માણ કરાશે


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી "એક પેડ માઁ કે નામ" અભિયાનની સાથે ૭૫મા વન મહોત્સવ- ૨૦૨૪નો પ્રારંભ કરાવ્યો હતો.

આ સાથે મુખ્યમંત્રીએ દરિયા કિનારે નિર્મિત રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન "હરસિદ્ધિ વન"નું લોકાર્પણ કર્યું હતું.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આજે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીમાં હર્ષદ માતાના મંદિરના સાનિધ્યમાં ૭૫મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીતેમજ મહાનુભાવોના હસ્તે "માતૃવન"ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આ અવસરે  કહ્યું હતું કે, "એક પેડ માઁ  કે નામ" અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોથી ત્રસ્ત છે, ત્યારે વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે "એક પેડ માઁ કે નામ" અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે "એક પેડ માઁ  કે નામ" અભિયાનને વેગવાન બનાવ્યું છે. હર્ષદ ગાંધવી ખાતે  નિર્માણ પામેલા ૨૩મા સાંસ્કૃતિક વન-હરસિદ્ધિ વનમાં ૪૧ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના છે. ૭૫મા વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે.

બાળકોમાં વૃક્ષ વાવવાના અને તેના જતનના સંસ્કાર કેળવાય એટલા માટે રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ  કલ્પના પણ ન  કરી શકે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી તેમજ સાંસ્કૃતિક નિર્માણનો આગવો વિચાર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે. "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત અહીં એક માતૃવન નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આસપાસના ગામના લોકો એક એક ઝાડ વાવશે ત્યારે અહીં વિશાળ વન ઊભું થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત આજે ૨૩મું સંસ્કૃતિક વન હરસિધ્ધિ મંદિર પાસે નિર્માણ પામ્યું છે.

દ્વારકાના આંગણે આ બીજું સાંસ્કૃતિક વન છે. અગાઉ દ્વારકા પાસેના જ્યોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું હતું. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન અને ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એ જ માત્ર ઉપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના દિશા નિર્દેશ મુજબ આપણે સાંસ્કૃતિક વનોને ધાર્મિક આસ્થાના તીર્થસ્થળો સાથે જોડ્યા છે અને તીર્થદર્શન સાથે પ્રાકૃતિક પ્રેમને ગુજરાતે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન, દ્વારકામાં નાગેશ્વર ખાતે નાગેશ વન સાથે હવે હરસિધ્ધિ વન તથા સુદામાનગરી પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મ સ્થળની પ્રવાસન સર્કિટ લોકોને આકર્ષશે.

દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે.

૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે "હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.

રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ૭૫મા વન મહોત્સવ પ્રસંગે જિલ્લાને ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની ભેટ મળી છે. આ સ્થળ દર્શનાર્થીઓ માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડ તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૫ કરોડથી વધુની રકમ હર્ષદ માતાજી મંદિર તેમજ આજુબાજુ વિકાસ માટે મંજૂર કર્યા હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા જન ભાગીદારી તેમજ સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ અને પ્રોત્સાહિત કરીને વન પેદાશોમાં વધારો કરવા બિન ઉત્પાદક જમીનનો ઉપયોગ કરી વૃક્ષારોપણ થકી આજીવિકાની વિપુલ તકો નિર્માણ કરવા માટે સામાજિક વનીકરણ વિભાગની અનેકવિધ યોજનાઓ અમલી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં દેશના ગૌરવ સમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા "પ્રોજેક્ટ લાયન" અમલમાં મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સિંહોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે વિશ્વ કક્ષાની લાયન હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા બ્રીડિંગ સેન્ટરની સ્થાપના કરવાનું પણ કાર્ય પ્રગતિમાં છે. ઉપરાંત ગીર વિસ્તારમાં વન્યપ્રાણી નિહાળવા માટે ગીર પૂર્વમાં જસાધાર નજીક નવીન સફારી પાર્કની સ્થાપના તેમજ આંબરડી સફારી પાર્કમાં નવીન સુવિધાઓ બાબતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૮.૫૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

આ અવસરે મંત્રીએ સૌ નાગરિકોને "એક પેડ માઁ કે નામ અભિયાન"માં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમના પ્રારંભે વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વન મહોત્સવ એટલે પ્રકૃતિનું સંરક્ષણ  કરીને આગામી પેઢીઓને હરિત, આરોગ્યપૂર્ણ અને શક્તિશાળી ભવિષ્ય આપવા માટેની ચળવળ. વન મહોત્સવની ઉજવણી માત્ર વૃક્ષારોપણ નથી, પરંતુ કુદરત પ્રત્યેના આદર અને પ્રેમનું પ્રતિક છે. પ્રકૃતિ સંરક્ષણની ધરોહરને હજુ શક્તિશાળી બનાવવા અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુ ને વધુ લોકોને સામેલ કરી રાજ્યમાં હરિયાળી વધારવા વન વિભાગ અલગ અલગ યોજનાઓ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે સાંસ્કૃતિક વનના નિર્માણને આગળ વધારતા અહીં ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તેમણે સૌને 'એક પેડ માઁ કે નામ' અભિયાનમાં જોડાઈને મોટા પાયે વૃક્ષારોપણ દ્વારા ધરતીને હરિયાળી કરવા આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં વનવિભાગ દ્વારા હરસિદ્ધિ વનની સુંદરતા પ્રસ્તુત કરતી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરાઈ હતી.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે ૭૫મા રાજ્યકક્ષાના વન મહોત્સવ નિમિત્તે વન વિભાગ તેમજ પોસ્ટ વિભાગ દ્વારા ખાસ સિક્કો તથા વિશેષ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રકૃતિના સંવર્ધન માટે યોગદાન આપનારા સેવાભાવીઓને "વન પંડિત પુરસ્કાર"થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં  અદાણી ફાઉન્ડેશનને રૂપિયા ૫૦ હજાર, નારણભાઈ કાનજીભાઈ રાવળને રૂ.૨૫ હજારનો ચેક આપીને બિરદાવવામાં આવ્યા હતા. 

ઉપરાંત મહેસાણા તથા ભરૂચ તાલુકા પંચાયત, વેલુ ગ્રામ પંચાયત, લક્ષ્મણભાઈ રાવલિયા, હરજીભાઈ કારેણા, લાભુભાઈ સગર, રમેશભાઈ સાંકળિયા, અરવિંદભાઈ ડેડાણીયા, સણજા ચિરાગભાઈ,  સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધવી ખાતે પધાર્યા બાદ સૌપ્રથમ હર્ષદ માતાજીના દર્શન કર્યા હતા અને રાજ્યના વિકાસ તથા નાગરિકોની સુખાકારીની કામના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી૨૩મા સાંસ્કૃતિક વન - હરસિદ્ધિ વન ખાતે પહોંચ્યા હતા. અહીં તકતી અનાવરણ કરીને મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક વનને લોકોને સમર્પિત કર્યું હતું. બાદ મુખ્યમંત્રીતેમજ મહાનુભાવોએ વનની સુંદરતા નિહાળી હતી. ત્યારબાદ માતૃવન ખાતે "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

નોંધનીય છે કે, કુલ મળીને પાંચ એકરમાં ફેલાયેલા અને રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્મિત હરસિદ્ધિ વનના લોકાર્પણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બીજા સુંદર સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં વન મહોત્સવ અંતર્ગત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કર્યું હતું. નવા સાંસ્કૃતિક વનના લોકાર્પણ સાથે દેવભૂમિ દ્વારકાના પ્રવાસન સ્થળોમાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.

આ કાર્યક્રમમાં જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ સુરિદ્ધિબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ સુમયબેન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (સા.વ.) ડો. એ.પી.સિંગ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) નિત્યાનંદ વાસ્તવ, જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.ધાનાણી,  નાયબ વન સંરક્ષક દેવભૂમિ દ્વારકા અરુણ કુમાર, નાયબ વન સંરક્ષક જામનગર આર. ધનપાલ સહિતના મહાનુભાવો તેમજ બહોળી જનમેદની  ઉપસ્થિત રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application