ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયાના 15 દિવસ પછી માર્કશીટ મળશે

  • May 16, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાઓ ફેબ્રુઆરી- માર્ચમાં લેવામાં આવી હતી. તારીખ 5 મે ના રોજ આ પરીક્ષા નું પરિણામ જાહેર થઈ ગયું છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી.

વિદ્યાર્થીને કયા વિષયમાં કેટલા માર્કસ મળ્યા તે ઓનલાઇન જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. પરંતુ આગળના એડમિશન માટે બોર્ડની સત્તાવાર માર્કશીટ સિવાય આગળ વધી શકાતું નથી. બોર્ડે તારીખ 5 મેના રોજ પરિણામ જાહેર કર્યું છે અને હવે આજે બોર્ડની કચેરીથી દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તેમના જિલ્લાના વિદ્યાર્થીઓને માર્કશીટ મોકલવામાં આવશે.

બોર્ડ તરફથી માર્કશીટ મળ્યા પછી દરેક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેનું વિતરણ જે તે સ્કૂલને કરશે અને સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને સોમવારે માર્કશીટ આપવામાં આવશે. માર્કશીટ વિતરણમાં મોડું થયું છે ત્યારે રવિવારની રજાના દિવસે વિતરણ વ્યવસ્થા બંધ કરવાના બદલે જો ચાલુ રાખી હોત તો કમસે કમ એક દિવસ વહેલું વિતરણ શક્ય બનત.

બોર્ડ દ્વારા આ વખતે પ્રથમવાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન પ્રવાહની ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ પણ મે મહિનાની પાંચ તારીખે જાહેર કરવામાં આવ્યું હતું. તેની માર્કશીટ પણ હજુ વિદ્યાર્થીઓને બે દિવસ પહેલા એટલે કે તારીખ 14 ના રોજ મળી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે તો જીકાસ પોર્ટલ પર કોલેજોમાં એડમિશન માટેની દોડધામમાં લાગી ગયા છે. જ્ઞાતિ જાતિ અને આવકના દાખલા મેળવવાની લાઈનમાં ઊભા રહી ગયા છે. માર્કશીટ સહિતના આ બધા જ ડોક્યુમેન્ટ એકત્ર થયા પછી કોલેજમાં એડમિશન માટે કામગીરી થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application