આંદોલનકારીઓ સાથે કડક વલણ મોટી સંખ્યામાં અટકાયત શરૂ થઇ

  • March 29, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની ગાંધીનગર અત્યારે હડતાળનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતા ની સાથે સરકારે હડતાલ પર ઉતરેલા આંદોલન કારીઓ સાથે કડક વલણ અખત્યાર કર્યું છે આજે વ્યાયામ શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓની તબક્કાવાર અટકાયત શરૂ કરવામાં આવી છે.


સત્યાગ્રહ છાવણી આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને 10-12 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. જ્યારે રાજધાનીમાં આરોગ્ય કર્મીઓ ઉપરાંત વ્યાયામ શિક્ષકો પણ કાયમી કરવાની માગને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


આ તબક્કે રાજ્ય સરકાર દ્વારા આંદોલન કારીઓની મનમાની નહીં ચલાવવાનો નિર્ણય કર્યો છે.ગાંધીનગરમાં આજે આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત છે. આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પ્લેકાર્ડ લઈને ધરણા પર બેઠા હતા. આજે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતા જ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ વિરોધ કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓને ડિટેઈન કરી રહી છે. આરોગ્ય કર્મચારીઓને ટીંગા ટોળી કરી અને જબર જસ્તીથી પોલીસ વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે.


અહી નોંધવુ જરૂરી છે કે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવવાની માગ તેમજ ખાતાકીય પરીક્ષામાંથી પણ મુક્તી આપવાની માગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું હતું.


આજે આરોગ્ય કર્મચારીઓના આંદોલનને 10 દિવસથી વધુ સમય થવા છતાં પણ સરકાર તેમની માગ પૂર્ણ કરવાના બદલે અનેક આરોગ્ય કર્મીઓને છૂટા કરવા તેમજ સસ્પેન્શનના આદેશ આપ્યા છે.


આરોગ્ય કર્મચારીઓની ઉપરાંત વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત્ છે. વ્યાયામ શિક્ષકો છેલ્લા 13 દિવસથી ધરણા પર બેઠા છે. આજે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો. વ્યાયામ શિક્ષકોએ આજે પોતાની માગને લઈને યોગ-આસાનો થકી ભરતી કરવા અપીલ કરી. આંદોલન કરી રહેલા એક શિક્ષકે જણાવ્યું કે સરકારે લાંબા સમયથી શિક્ષકોની ભરતી નથી કરી.


સરકારનું માનવું છે કે વ્યાયામ શિક્ષકોને 20 હજાર પગાર આપીએ તે પૂરતું છે. જો ઉપરછલ્લી ભરતી કરવી હોય તો વ્યાયામ શિક્ષકો માટે ડિગ્રીની જરૂરિયાત જ નથી. ઘણા સમયથી સરકારે કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી એટલે અમારી માગ છે કે સરકાર રાજ્યની શાળામાં અન્ય શિક્ષકોની ભરતી કરે છે તે પદ્ધતિ પ્રમાણે વ્યાયામ શિક્ષકોની પણ કાયમી ભરતી કરે. ગાંધીનગરમાં આંદોલન કરનારા આરોગ્ય કર્મચારીઓ અને વ્યાયામ શિક્ષકો પોતાની માગ પર મક્કમ છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર અમારી માગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી હડતાળ બંધ નહીં કરીએ. આંદોલન કરનારાઓ પર સરકાર પણ લગામ કસવા જઈ રહી છે અને તમામ આંદોલનકારીઓને ડિટેઈન કરવાના આદેશ આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application